ક્રિકેટઃ કાયદો બધાને માટે સરખો, ભલભલા તેમાંથી છટકી શકતા નથી એ ઉક્તિને સમર્થન આપતા ઓપનર લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંનેને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંને ટીમનો ભાગ રહેશે નહી. ઉલ્લેખનીય છે કે ટીવી શો 'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા તેમના સાથી કે.એલ રાહુલ સાથે આવ્યા હતા અને તે દરમિયાન તેણે મહિલાઓ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી.
રામ-રહીમને સજાઃ સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીતસિંહ રામ રહીમ સહિત 4ને દોષી જાહેર કર્યા છે. સજાનું એલાન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા પ્રમુખ ગુરમીતસિંહને વીડિયો કોન્ફરન્સથી હાજર કરાયો હતો. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પંજાબ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી હતી.
પીએમ ઇન ગુજરાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટમાં ઉપસ્થિત રહેશે. જેને પગલે પીએમ બે દિવસ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 17 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેમજ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા પણ જશે.
અનોખો નિર્ણયઃ નમકીન-મિઠાઇ મેન્યુફેક્ટરર્સના નેશનલ કોન્ક્લેવના છેલ્લા દિવસે દેશભરના 1000થી વધુ વેપારીઓએ આરોગ્ય સાથે સંકળાયેલ એક નિર્ણય લીધો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે નમકીન અને મિઠાઇને તૈયાર કરવામાં મીઠુ અને સાકરનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરશે, કેમ કે તેનું સેવન આરોગ્ય માટ સારુ હોતુ નથી.
ચિદંબરમઃ સીબીઆઇએ ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમની પત્ની નલિની ચિદંબરમ સામે એવા આક્ષેપ બદલ આરોપનામુ ઘડ્યું છે કે તેમને ચિટ ફંડ કૌભાંડમાં સંકળાયેલ શ્રદ્ધ ગ્રુપ ઓફ કંપનીઝ પાસેથી રૂ. 1.4 કરોડ મેળવ્યા છે.
સીબીઆઇઃ સીબીઆઇ ચિફ આલોક વર્માને ડિરેક્ટર પાસેથી હટાવીને તેમની નિમણૂંક ડીજી ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડમાં કરતા વર્માએ નોકરીને તિલાંજલિ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે તેઓ 1979ની બેચના આઇપીએસ ઓફિસર છે અને 31 જાન્યુઆરીના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા.
IIPમાં ઘટાડોઃ દેશના ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ નવેમ્બરમાં ઘટીને 0.5 ટકા સુધી આવી ગઇ હતી જે છેલ્લા 19 મહિનાનું સૌથી નીચુ મથાળું દર્શાવે છે. ખાસ કરીને કન્ઝ્યુમર અને કેપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં ઘટાડો થતા આ વૃદ્ધિ ઘટી છે.
જેટ એરવેઝઃ લિઝર્સને જેટ એરવેઝ લિમીટેડે તેમના તમામ બાકી નાણાં 31 ડિસેમ્બર સુધીમાં આપી દેવાની ખાતરી આપી હોવા છતાં તે ચૂકવણી કરવા માટે સક્ષમ નહી હોવાથી નરેશ ગોયલને લિઝર્સને તેમના કેટલાક પ્લેન પાછા આપી દેવા પડે તેવી નોબત ઉભી થઇ છે.
બેરોજગારીઃ જ્યારે સરકારે 2016-17માં નોટબંધી લાદી ત્યારે બેરોજગારીનો દર વધીને ચાર વર્ષના સૌથી ઊંચા મથાળે સ્પર્શી ગયો હતો, તેની સાથે અનેક લોકો લેબર ફોર્સમાં જોડાયા હતા એમ લેબર બ્યુરોનું એક તારણ દર્શાવે છે. બેરોજગારીનો દર 3.9 ટકાના સ્તરે હતો જે 2015-16માં 3.7 ટકા અને 2013-14માં 3.4 ટકાના સ્તરે હતો.
માર્કેટઃ દેશની બીજા ક્રમની કંપની ઇન્ફોસિસના પરિણામ પૂર્વેની ધારણા અને પસંદગીની બેન્કો અને ઓટો શેરોમાં ઘટાડો થતા આજે સેન્સેક્સમાં 97 પોઇન્ટનો ઘટાડો થઇને 36,010 પર અને નિફ્ટી 27 પોઇન્ટના ઘટાડા સાથે 10,795ના મથાળે બંધ આવી હતી.