શ્રીલંકા અને તમિલો
દક્ષિણ ભારતના તમિલો લગભગ ૧૫૦ વર્ષ પહેલાં કૉફીના બગીચામાં કામગીરી બજાવતા મજૂરો તરીકે શ્રી લંકા યાને કે સિલોન ગયા હતા.
રોકાણ કાયમી ન હતું, કેમ કે કૉફીનાં બીયાં
ચૂંટવાની સીઝન પૂરી થયે તેઓ હોડી દ્વારા મન્નારનો સાંકડો અખાત પાર કરી સ્વદેશ પાછા ફરતા હતા અને મહિનાઓ બાદ નવી સીઝન વખતે ફરી શ્રી લંકા જતા હતા. પચાસેક વર્ષ સુધી એ રીતે આવન-જાવન ચાલ્યા બાદ ૧૯૧૮ માં એવું બન્યું કે જેણે શ્રી લંકામાં ભારતીય તમિલોનું રોકાણ કાયમી બનાવ્યું અને છેવટે જાતિવાદના નામે એ દેશને લોહિયાળ આંતરવિગ્રહમાં પણ હોમી દીધો
શ્રી લંકામાં કૉફીના બગીચાઓને ફૂગનો વ્યાપક
ચેપ લાગતાં બધી ફસલ નાશ પામી. નિષ્ણાતો ખૂબ
મથ્યા છતાંય એ ફૂગનું મારણ શોધી ન શક્યા, માટે
કૉફીને બદલે ચાનું વાવેતર હાથ ધરવામાં આવ્યું.
ચાના પત્તા લગભગ બારેય માસ ચૂંટી શકાતાં
હતાં અને તે કામ પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સારી
રીતે કરી શકતી હતી. પરિણામે
શ્રી લંકામાં ભારતીય મહિલાઓ સહકુટુમ્બ અને સ્થાયી ધોરણે
વસી ગઈ. વખત જતાં તેમના વંશજો પોતાના અધિકારો માટે LTTE (Liberation Tigers of.Tamil Eelam)ના બેનર હેઠળ સશસ્ત્ર આંદોલને ચડવાના હતા, માટે એમ કહી શકાય કે ફૂગના ચેપ પછી ચાના વાવેતરે શ્રી લંકામાં બેમુદતી હિંસક
યુદ્ધના બીજ પણ રોપી દીધા હતા.