વિઘ્નોને દૂર કરવાનો અવસર એટલે ગણેશ ઉત્સવ
ગણેશજીને ઘરે લાવવા, તેમની સ્થાપના કરવા, આરતી-પૂજા કરવા અને દસ દિવસ બાદ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી દેવું—એટલાથી જ ગણેશ ઉત્સવની પૂર્ણતા થતી નથી. ગણેશોત્સવનો સાચો અર્થ ત્યારે સાર્થક થાય, જ્યારે ગણેશજીના જીવન અને સ્વરૂપમાંથી કોઈ એક ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તેનાથી આપણા વિચારો, વર્તન અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે.
ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે પૂજવામાં આવે છે. પરંતુ ગણેશજીનું સ્વરૂપ પોતે જ જીવનનો સુંદર પાઠ ભણાવે છે. તેમનું મોટું મસ્તક વધુ વિચારવાની અને જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે, મોટા કાન બીજાની વાત ધીરજપૂર્વક સાંભળવાનો સંદેશ આપે છે, નાની આંખો એકાગ્રતા શીખવે છે અને નાનું મુખ ઓછું તથા મીઠું બોલવાની પ્રેરણા આપે છે.
ગણેશજીનું મોટું પેટ જીવનમાં સારી-નરસી પરિસ્થિતિઓને પચાવી જવાની ક્ષમતા દર્શાવે છે. તેમનું વાહન મૂષક આપણને ઈચ્છાઓ અને મન પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપે છે. આ ગુણોમાંથી જો આપણે માત્ર એક ગુણ પણ સાચા અર્થમાં અપનાવી લઈએ તો ગણેશોત્સવ આપણા માટે માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આત્મપરિવર્તનનું પર્વ બની શકે.
આજના સમયમાં માણસના જીવનમાં અનેક વિઘ્નો છે. તણાવ, ક્રોધ, અધીરાઈ, અહંકાર, ઈર્ષ્યા, મતભેદ અને નકારાત્મક વિચારો ઘણી વખત આપણા સુખમાં અવરોધ બને છે. તેથી ગણેશજીની સ્થાપના સાથે જો આપણે પોતાના મનમાં પણ સદ્વિચારની સ્થાપના કરીએ તો એ ગણેશોત્સવની સૌથી મોટી ઉપલબ્ધિ બની શકે.
દસ દિવસ સુધી ગણેશજીની પૂજા કર્યા પછી જ્યારે તેમનું વિસર્જન કરીએ ત્યારે માત્ર મૂર્તિનું જ વિસર્જન ન કરીએ, પરંતુ આપણા જીવનની કોઈ એક ખરાબ આદત, નકારાત્મક વિચાર અથવા અહંકારનું પણ વિસર્જન કરવાનો સંકલ્પ કરીએ. ગણેશજીને વિદાય આપતી વખતે આપણા અંદરનો ‘નવો માણસ’ જન્મે—ત્યારે જ ઉત્સવનો સાચો હેતુ સિદ્ધ થયો કહેવાય.
ગણેશ ઉત્સવ આપણને શીખવે છે કે ભગવાનને ઘરમાં લાવવું સરળ છે, પરંતુ ભગવાનના ગુણોને જીવનમાં લાવવા માટે જાગૃતિ અને પુરુષાર્થ જરૂરી છે. મૂર્તિનું સ્થાપન થોડા દિવસ માટે થાય છે, પરંતુ સંસ્કારનું સ્થાપન જીવનભર માટે થઈ શકે છે.
આથી ગણેશોત્સવમાં આ વર્ષે એક નાનો સંકલ્પ કરીએ—ગણેશજીને માત્ર ઘરે નહીં, પરંતુ હૃદયમાં સ્થાપિત કરીએ. તેમની મૂર્તિનું વિસર્જન દસ દિવસ પછી થશે, પરંતુ તેમના ગુણોનું સ્થાપન આપણા જીવનમાં કાયમ માટે રહે.
સાચો ગણેશોત્સવ એ નથી કે આપણે ગણેશજીને કેટલા ભવ્ય રીતે ઘરે લાવ્યા; સાચો ગણેશોત્સવ તો એ છે કે ગણેશજીને જીવનમાં લાવ્યા પછી આપણે કેટલા સારા માણસ બન્યા.
વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાંથી વિઘ્નો દૂર કરે અને તેમની પાસેથી મળેલો જ્ઞાન, ધૈર્ય, વિવેક અને સંયમ આપણા જીવનને નવી દિશા આપે—એ જ ગણેશોત્સવની સાચી ઉજવણી છે... મનમંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ