માં, ખરું વ્યક્તિત્વ ધરાવે છે તું,
પહેલા દીકરીને માનસિક રીતે તૈયાર કરે છે,
એવું કહીને કે 'એક દીવસ દરેક દીકરીઓને વિદાય થઈ બીજાનાં ઘરે જવું પડે છે',
અને પછી વાતે વાતે દીકરીનાં લગ્નની વાત કરીને,
એને પણ પૂરેપૂરો અહેસાસ અપાવી દે છે,
કે એને નહિ જવું હોય બીજા ઘરે તો પણ મોકલી જ દેવાશે,
અને ત્યારે દીકરી મનોમન વિચારતી રહે છે,
કે આટલી આધુનિક દુનિયા બની રહી છે,
અને તેમ છતાં દીકરી મા-બાપ માટે બોજારૂપ હશે?
માં! વિદાયની વાત કરીને તું,
અમને ઘડીના છઠ્ઠા ભાગમાં પારકી કરી દે છે,
અને પછી દીકરીઓ પણ હોંશિયાર છે હોં!
એને પણ માંને પારકી કરતા આવડે છે,
જ્યારે એ લગ્ન પછી પિયરમાં થોડાક દીવસ રોકાવા આવે છે,
ત્યારે એને કશું જ નથી મળતું હોતું ઘરમાં,
અને આ દ્રશ્ય જોઈને,
માં! તું એવું વિચારે છે ને કે દીકરી ખરેખર હવે પારકી થઈ ગઈ,
આટલું કરીને દીકરી તને એટલો જ અહેસાસ અપાવવા માંગે છે,
માં! અમને બીજે ઘેર ફાવી ગયું છે અને અમને આ ઘરનો અને તમારા બધાંનો મોહ છૂટી ગયો છે,
આખરે તો અમે દીકરીની જાત,
ક્યાં સુધી પિયરનો કે માંનો મોહ રાખીશું?
મોહ રાખીને તમારો, અમે શું કામ દુઃખી થઈએ?
માં! તને ખબર જ છે કે એક દિવસ અમે તમારા બધાથી પારકાં થઈ જઈશુ,
તો પછી તું વિદાય વખતે બાથ ભરીને કેમ રડે છે?
તું પણ પારકી થઈને આવી છું આ ઘરે,
તો પછી તારી દીકરીને હસતા મોઢે વિદાય આપ ને!
રડીને તું અમને એવો અહેસાસ ન કરાવીશ,
કે અમે પારકા થઈ જવાનાં છીએ,
પણ હસીને વિદાય આપીને તું અમને એટલું મહેસૂસ કરાવી દે,
કે આ ઘરનાં દરવાજા હંમેશા ખુલ્લા જ છે,
તમે દીકરીઓ ક્યારેય અમારા માટે પારકી નથી!
માં! દુનિયા તો અમને પારકી કરે જ છે,
પણ કમ-સે-કમ તું તો અમને પરાઈ ન કર!