સ્ત્રી એ આમ પણ શક્તિનો સ્રોત જ છે. એની સાબિતી આપવાની જ ન હોય. પણ હકીકત એ જ છે કે એની આ શક્તિથી ડરીને જ સમાજ એને ગમે તે રીતે નીચી રાખવાનો પ્રયત્ન કરે છે.
'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ', 'સ્ત્રી એટલે અક્કલની ઓથમીર' અને બીજી આવી ઘણી બધી ઉક્તિઓ માત્ર એટલાં માટે જ છે કે જેથી જે કોઈ એને સાંભળે કે વાંચે એનાં મનમાં પહેલાંથી જ સ્ત્રી માટે એક ગ્રંથિ બંધાઈ જાય.
આ જ છે આપણાં કહેવાતાં સમાજની વાસ્તવિકતા! સ્ત્રીને શક્તિનું સ્વરુપ સમજીને વાર તહેવારે એની પૂજા કરાય છે આ સમાજ દ્વારા, પણ જ્યારે ઘરની વહુ ગર્ભવતી હોવાનાં સમાચાર જાણે છે ત્યારે સૌથી પહેલી માંગણી થાય છે કુળદીપકની એટલે કે પુત્રની.
કોઈ દંપતિને બે પુત્રીઓ હોય અને એઓ એનાથી સંતોષ માની ત્રીજું બાળક લાવવાની ના પાડે તો ક્યારેક ખુદ એમનાં જ ઘરનાં લોકો એમને હેરાન કરે છે, ગમે તેમ ટોણા મારે છે.
તો શા માટે માત્ર એક બે દિવસ કે માતાજીનાં તહેવારો દરમિયાન સ્ત્રીનાં સન્માન કાર્યક્રમો ગોઠવવાનો દેખાડો કરવો? ઘરમાં રહેલી સ્ત્રીઓને જ ઉચ્ચ સન્માન આપી એને સદાય ખુશ રાખવાનો પ્રયાસ કરો એટલે આપોઆપ જ સ્ત્રી શક્તિની હકીકત દરેકને સમજાઈ જશે. પછી સન્માન સમારંભ યોજવા નહીં પડશે, એ સ્ત્રી સામેથી જ આખાય ઘરને અને પરિવારને સન્માન યોગ્ય બનાવશે.
- સ્નેહલ જાની