કિસાન આંદોલન પરથી એક વાત યાદ આવી. 1988-89 માં હું વસાવડ હતો. એક ખેડૂતનાં મકાનમાં અર્ધું મકાન ભાડે રાખી રહેતો. બાજુમાં મેટ્રિક સુધી ભણેલા 60+ ખોડાબાપા રહે. સીઝનમાં કપાસ ઉપરાંત તેમણે મગની ખેતી કરી. મને કહે તમે મારા દીકરા જેવા છો. મગ મારા માટે કાઢી લઉં તે તમારા માટે પણ. આપણને 4 રૂ. કિલો પડશે.
મને નવાઈ લાગી. એનું ખેતર ને એણે કાઢી લેવાના? એ કહે ગામની દરેક ફસલ એક જૈન વાણિયો શાહુકાર છે એને જ ફરજીયાત વેંચવી પડે છે. (એનું નામ અહીં નથી આપતો) મારી જમીન એને ગિરવી નથી કે નથી ક્યાંય લોન પણ બીજે વેંચવાની કોઈની તાકાત નથી.
એને ફક્ત અર્ધો મણ એટલે 20 કીલો પોતાનાજ 4 રૂ. લેવા મળ્યા. બધી જ પેદાશ 3.50 ની કીલો કે 350 ની ક્વિન્ટલ લઈ લેવાઈ. પોતાની જ પોતે 50 પૈસા ઉમેરી ખરીદી! એમાંથી 10 કિલો મને આપતા હતા. મેં 5 કિલો જ, 4 રૂ. કિલો લીધા. રાજકોટમાં એ વખતે મગ સારા સ્ટોરમાં 42 રૂ. કિલો હતા!
વચેટીયાઓ કેટલા અને કેવી રીતે માલામાલ થાય છે એનો દાખલો.
દૂધ ત્યાંની ડેરીમાં મેં પહેલી વાર 6.5 ફેટ નું જોયું. એ લેવું હોય તો ડેરી ઘણા સસ્તા ભાવે લઈ, કદાચ 2 કે 2.25 નું લીટર , અમારી જેવાને 5 રૂ. લીટર આપતી. હું સામાન્ય સારું શેરીમાં રહેતા દૂધવાળા પાસેથી 3.5 નું લીટર લેતો જે 4 ફેટ જેવું હતું. એને જ ડેરીને એ દૂધ 2 રૂ. થી ઓછે વેંચવું પડતું.
32 વર્ષ પહેલાં ખેડૂતની આ દશા હતી. આજે તો એથી એ ખરાબ છે. એ 10 ગણો નફો ગયો ક્યાં, કોને કેટલા ગણો અને એ પૈસા ક્યાં વપરાયા?
પછી તો નિર્ધારિત કાયદાઓથી તેમને મરચાં લાગે જ ને?