કુંડળીમાં સૂર્ય અને ગુરુની યુતિ કેવું ફળ આપે?
સૂર્યએ ગ્રહોનો રાજા છે. પિતા, સર્જનશક્તિ, હૃદય, આત્માનો કારક સૂર્ય છે. કુંડળીમાં જ્યારે સૂર્ય અન્ય ગ્રહ સાથે જોડાય છે ત્યારે તેની અસરો અલગ અલગ હોય છે. જ્યારે એક જ રાશિમાં બે ગ્રહો 12 અંશ કે તેથી ઓછા અંતરમાં હોય ત્યારે તે બે ગ્રહોનું જોડાણ કે યુતિ થઇ કહેવાય. સામાન્ય રીતે સૂર્ય સાથે ગુરુ અને શુક્ર ગ્રહ જોડાય તો તેની અસર શું થાય તે અહીં જણાવીશું.
સૂર્ય-ગુરુ: એક રાજા છે તો એક ગુરુ છે. બે મહાન અસ્તિત્વનું જોડાણ એટલે સૂર્ય-ગુરુની યુતિ. આવી વ્યક્તિઓ તેજસ્વી, પ્રભાવશાળી અને જ્ઞાની હોય છે અને સાથે સાથે તેમનામાં અહમ્ પણ હોય છે. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેઓ ભીડમાં પણ પોતાના તરફ ધ્યાન ખેંચનાર હોય છે. તેઓનામાં નેતૃત્વના ગુણ હોય છે. મોટેભાગે તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવનાર હોય છે. જોકે આ યુતિ ધરાવનાર વ્યક્તિઓ પોતાના અહમને અહંકારમાં ન ફેરવાઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
સૂર્ય-શુક્ર: સૂર્યના તેજને શુક્રનો વેગ મળે છે. આવા વ્યક્તિઓ અન્યને પોતાના તરફ આકર્ષી શકે છે. શુક્ર એ કલા, પ્રેમ, લાગણીનો કારક ગ્રહ છે. તેનામાં રચનાત્મકતા છે. તેને સૂર્યનું તેજ અને પ્રોત્સાહન મળતા તે ખીલી ઊઠે છે. આ યુતિ ધરાવનાર વ્યક્તિઓ સારા કલાકાર પણ હોઇ શકે છે. જોકે લગ્નજીવન માટે આ યુતિ વિવિધ પ્રશ્નો કે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સૂર્ય પુરુષ ગ્રહ છે, જ્યારે શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. આથી કેટલીક વાર આ યુતિ ધરાવનાર પુરુષો સ્ત્રીઓને લગતા વ્યવસાય જેમ કે ફેશન ડિઝાઇનિંગમાં હોય અને સ્ત્રીઓ પણ પુરુષપ્રધાન વ્યવસાયમાં હોઇ શકે છે.