Gujarati Quote in Blog by NituNita નિતા પટેલ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંગલનો ન્યાય…

જંગલમાં રોજ થતાં ખૂન અને માનવ તસ્કરીના વિરોધમાં આંદોલનો અને વિરોધનો સૂર ચરમસીમાએ પહોંચ્યો. સરકાર સામે વિપક્ષનું સતત દબાણ અને ચારે તરફ મીડિયામાં આજ સમાચાર. સત્તાપક્ષ દ્રારા જલદ બનેલા આંદોલનને ડામવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા.
આખરે સરકારે જુકવું પડયું અને આ અંગે તાપસ કરવા માટે એક નિષ્પક્ષ કમિટીની રચના કરવામાં આવી. એ કમિટી પોતાનો અહેવાલ આપે પછી જે પણ કોઈ આ માટે જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની સરકારે ખાત્રી આપી અને ત્યાં સુધી તમામ આંદોલનો સંકેલી લેવા માટે મનાવી લેવામાં આવ્યા.
એક મહિના પછી કમિટીએ પોતાનો અહેવાલ રજૂ કર્યો. કમિટીના અધ્યક્ષ સ્થાને સિંહભાઈને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને વાઘભાઈ, ચિત્તાભાઈ, દીપડાભાઈ, શિયાળભાઈ તથા વરુભાઈને કમિટીના સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેમાં જંગલના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા.
કમિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, આવી કહેવાતી કોઈ ઘટનાઓ બની જ નથી. પોલીસ સ્ટેશનમાં પણ આવા કોઈ ગુનાઓ નોંધાયા નથી કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓના પણ આવા કોઈ બનાવના અહેવાલ નથી. જે લોકો પોતાના સ્વજનોના ખૂન અને ગાયબ થવાની વાત કરે છે એ ખોટાં છે અને પૈસા આપીને બનાવતી ઉભા કરવામાં આવ્યા છે. જેઓની સામે કડક પગલાં લેવામાં આવશે. આ માત્ર અફવાઓ વિપક્ષ અને દુશ્મન દેશના જંગલના પ્રાણીઓ દ્રારા ફેલાવવામાં આવી છે. આવા બનાવ બન્યાના કોઈ પુરાવાઓ નથી. થોડા દિવસ પહેલાં પાંચ હરણ ગાયબ થયાં હતા જેઓ હજી સુધી પાછા ફર્યા નથી, એ વિશે પૂર્ણ તપાસ કરતાં માહિતી મળી કે તેઓ આ જંગલ છોડીને પાડોશી દેશના જંગલમાં સ્થળાંતર થયા છે.
એટલે આવી તદ્દન વાહિયાત પાયા વગરની વાતો ઉપર લોકોએ ધ્યાન આપવું જોઈએ નહીં. આતો ચૂંટણી નજીક આવે છે એટલે વિપક્ષોની તમને ડરાવીને અને ગેરમાર્ગે દોરીને વોટ બેંક ઉભી કરવાની ચાલ માત્ર છે. છતાં પણ આવા કોઈ બનાવ બનશે તો સરકાર તેમના સામે કડક હાથે પગલાં લેવાની બાંહેધરી આપે છે. તો ચિંતા ન કરો અને આવી કોઈપણ ફરિયાદ કે બનાવની તમને ખબર પડે તો હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવી. જેની તમામ જવાબદારી બિલાડાભાઈ અને વાંદરાભાઈને સોંપવામાં આવી છે.
સૌ કોઈ આવા આશ્વાસન સાથે સુરુચિ ભોજન લઈને છુટાં પડ્યા. એક હરણનું પરિવાર પોતાના નાના ભૂલકાઓને ઘરે મૂકીને હાજરી આપવા આવ્યું હતું. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા અને ઘરનો દરવાજો ખોલ્યો તો અંદરનું દૃશ્ય જોતાં જ એમની આંખો ફાટી ગયી! એમનાં બંને બાળકો મૃત હાલતમાં અર્ધ શરીરે પડ્યા હતા!!

શબ્દ અને વિચાર…
નિતુનિતા(નિતા પટેલ)

Gujarati Blog by NituNita નિતા પટેલ : 111324500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now