બે દિવસ પહેલાં 27.12ના ગાલિબની 222મી જયંતિ નિમિત્તે ઓમ કોમ્મ્યુનિકેશન પ્રસ્તુત કાર્યક્રમ રૂબરૂ જોયો.
ગાલિબ, અંતિમ મોગલ બહાદુરશાહ જફર ના રાજ કવિ હતા. તેમની શાયરીઓ ઘણે અંશે અખા ના છપ્પા જેવી, રમૂજ સાથે ઊંડો કટાક્ષ અને મર્મ પર ચોટ આપતી હતી. અમુક તો ખૂબ રમુજી. જેમ કે કોઈએ કહ્યું કે સ્વર્ગમાં મદિરા ની નદીઓ વહે છે. ગાલીબે કહ્યું કે આપણને તો સુરહીમાં જ મળે પછી ઉપર ખોબો ભરી પીવા કોણ જાય?
જન્નત માટે અમુક કરવું ને અમુક નહીં તેના સામે ખૂબ રમુજી પણ ધર્માંધ ગુરુઓને ઉદ્દેશી ચાબખા માર્યા છે.
ગાલિબ 13 વર્ષની ઉંમરે સુંદર ગઝલ લખી એ વખતે સહુથી પ્રખ્યાત ગઝલકાર 80 વર્ષના મીર પાસે કોઈ સાથે ગયા. મીર એ તેની ગઝલ વાંચી તરત કહ્યું કે સરસ. તું કોઈ ઉસ્તાદ પાસે તાલીમ લે નહીતો જે છે એ જ મારી ઉંમરે પણ રહેશે. આ આપણી જેવા લખનારને લાગુ પડે છે.
16 વર્ષના ગાલીબને તેઓ કોઈ પુસ્તકની દુકાન પાસે બેસતા ત્યારે ઉપર રહેતી એક નાચનારી ની 13 વર્ષની છોકરી ખૂબ ગમી જતાં લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો. તેની યાદમાં તેને ઉદ્દેશી ઘણી શાયરીઓ લખી છે. આખરે એ છોકરી પૈસામાં વેંચાઈ ગઈ અને દિલ ઘવાયેલા ગાલીબે વળી એ પ્રકારની ગઝલો લખી.
પોલિટિકલ ચાબખા તો વીંધી નાખે તેવા હોય છે.
શ્રી.રઈશ મણિયારે ફારસી અને ઉર્દુમાં પણ અઘરા શબ્દોની શાયરી ગઝલો શુદ્ધ ગુજરાતીમાં અનુંવાદીત ખૂબ પરફેક્ટ કરી છે. રઈશ મણીયાર ઘણા યુવાન લાગ્યા. સુંદર રીતે ગાલિબની અનુવાદિત રચનાઓનું રસપાન અને સમજૂતી આપી.
અંતે ગીત અને સંગીત સાથે ગાલિબની ગઝલ પ્રસ્તુત થઈ.
નરસિંહ કે અખા નિજેમ 222 વર્ષે પણ એક ઉર્દુ કરતાં પણ ફારસી શાયર ભારતીય ધરતી પર અમર રહી શકે છે તે સાહિત્યરસિકો તેમ જ લખનાર અને તેને જીવતો રાખનાર સાહિત્યકાર માટે ગૌરવની વાત છે.