#MoralStories
રાતના બાર વાગ્યાના સમયે નવનીતભાઈના ઘરનો ડોરબેલ વાગતાં અડધી ઊંઘમાં તેઓ ઊભા થઈ ઘરનો દરવાજો ખોલ્યો. પોતાના પુત્ર અજયને આવેલો જોઈ તેઓ હેબતાઈ ગયા. તેમા પણ તેના માથે ઉઝરડા જોઈ તેઓ સમજી ગયા કે અજય કોઈની જોડે મારામારી કરીને આવેલો. તેના મોઢેથી વાઈનની ગંધ પણ આવતી હતી. તે સીધો તેના રૂમમાં જતો હતો ત્યાં જ નવનીતભાઈએ કહ્યું, " બેટા, કેમ અચાનક પાછો આવી ગયો? તું તો તારા મિત્રો જોડે ટ્રિપ પર જવાનો હતો ને? અને તારા માથ પર આ ઘા કઈ રીતે પડ્યા?" પોતાના પિતાએ આટલું પૂછ્યું ત્યાં તો અજય ઉલટાનો તેમના પર વરસી ગયો. " પપ્પા, હવે હું યુવાન થયો છું. મારી દરેક બાબતમાં તમારે દખલગીરી કરવાની જરૂર નથી. તમે તમારુ કામ કરો. " આટલું બોલી તે પોતાના રૂમમાં જતો રહ્યો. અવાજ થતા નવનીતભાઈના પત્ની શર્મિલાબેન પણ જાગી ગયા. તેમણે અજયની વાત તેમના પત્નીને કરી. નવીનીતભાઈની આંખોમાં આંસું ભરાઈ ગયા. તેમના પત્નીએ તેમને સાંત્વના આપી કહ્યું," બધું ઠીક થઈ જશે, તમે ચિંતા ના કરો. "
આ પ્રસંગ બન્યા બાદ થોડા દિવસો પછી રવિવારના દિવસે નવનીતભાઈ અને તેમના પત્ની બેઠા હતા ત્યાં જ ડોરબેલ રણકી. શર્મિલાબેને ઊભા થઈ દરવાજો ખોલતા અજય કોઈક અજાણી સ્ત્રી સાથે ઘરમાં પ્રવેશી તેના માતા પિતાને ઉદ્દેશીને કહ્યું, " આ જુલી છે. મે તેની જોડે લગ્ન કરી દીધા છે." ત્યાં જ નવનીતભાઈએ વચ્ચે કહ્યું, "પણ, બેટા એકવાર..." ત્યાં તો તેમને અટકાવી અજયે કહ્યું, " મારા જીવનસાથીની પસંદગી મારે જ કરવાની હોય ને !" એટલું કહીં તે જુલીને લઈ તેના રૂમમાં જતો રહ્યો.
નવનીતભાઈ વિચારી રહ્યા હતા કે પોતે પોતાની યુવાનીમાં પૈસાને પ્રાધાન્ય આપ્યું અને પોતાન પુત્રના જીવન ઘડતરમાં સમય ન આપતા આજે આ દિવસ જોવાનો વારો આવ્યો..