@ @ @ મિત્રતા એટલે...
'એક માણસ એવો જેનો ભરોસો કરું બની અંધ.
એટલો શીતળ વિસામો છે એ મારો ભાઈબંધ.'
ભાઈ સમા ભાઈબંધ પર વિશ્વાસમાં અંધ બની જવાય એટલી હદનો હૃદયનો ધબકાર,જગતનો આ એતબારનો,એકરારનો અને અંતરનો સંબંધ એટલે મિત્રતા... ફિલોસોફરો કહે છે 'વિશ્વાસી બનવું પણ અંધવિશ્વાસી ન બનવું...' પરંતુ જે સંબંધમાં વિશ્વાસ જેવા શંકાશીલ શબ્દની જગ્યાજ નથી એ સંબંધ છે મિત્રતા અને મિત્રતા રૂપી રંગમંચનું સુંદર પાત્ર એટલે મિત્ર.
મિત્ર એક એવો ચિત્રકાર છે જે જીવનના કેનવાસ પર મનફાવતા નહીં પણ મનને માફક આવતા રંગો પુરે છે.મિત્ર એ મારા જીવન સંગ્રામની સેનાનો એવો સૈનિક છે જે પરાજયમાં ઢાલ બની આગળ અને વિજયમાં પાછળ રહી મારો વિજય'પથ' તૈયાર કરે છે.
વૃક્ષને ઓર સુંદરતા બક્ષવા જિર્ણ થયેલા પર્ણ ખુદ નષ્ટ થઈ જઇ ફરી જીવિત થઇ તરુવરને જીવિત કરી દે છે આ પરિવર્તનના બે પાત્રો એટલે વૃક્ષએ હું અને પર્ણએ મારો મિત્ર... મિત્રતા એ મંદિર કે મસ્જિદ રૂપી મોહક અને 'મોહન' કે 'મૌલા'નું એવું સરનામું છે જ્યાં હૈદર અલી વિના પૂર્ણિયા પંડિત અધૂરો છે અને અધૂરી છે એમની વિજયગાથા... મિત્રતા એ રાજા અને રંકની એવી રાગીણી છે જ્યાં નંદલાલની નગરી એટલે જ સુદામા અને સુદામાની ઝૂંપડી એટલેજ નંદલાલ... જ્યાં મિત્રના બદલે મોત મેળવવા ખોટો સિક્કો ઉછાળતા જય ની 'જય' વિરુ વિના અધૂરી છે અને વિરુ ની 'વીરતા' જય વિના બેધાર છે...
ભગવાનથી પણ ભાગ્યશાળી છે એ ભેરુઓ કે જેઓ આ ભવસાગરમાં ભેગા મળ્યા છે... લડ્યા છે લાડથી... રડ્યા છે એકમેક માટે... હસ્યા છે એકબીજાથી...
'માધવના મનમંદિરની સુગંધ એનો મિત્ર સુદામો,
સુદામાની દરિદ્રતાની પાવનતા એનો મિત્ર લાલો.'
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (mo.9638816440)