શુભપ્રભાત મિત્રો.. :)
આજે કયાંક વાંચેલી એક વાત યાદ આવે છે.
જયાં ઘોંઘાટ ન હોય ત્યાં શાંતિ હોય જ એ જરૂરી નથી. સાચી શાંતિ ભીતરની હોય છે. મુશ્કેલીઓ, સંઘર્ષો, ઘોંઘાટો, અનેક તોફાનો વચ્ચે પણ જે ભીતરની શાંતિ...સ્વસ્થતા ન ગુમાવે એ જ સાચી શાંતિ...
એક રાજાએ દેશના શ્રેષ્ઠ ચિત્રકારોને બોલાવ્યા અને શાંતિનો સંદેશ આપતું હોય એવું ચિત્ર દોરવાની એક હરીફાઇ જાહેર કરી. જે ચિત્ર પહેલું આવે એના સર્જકને મોટા ઇનામની જાહેરાત કરી.
આ જાહેરાતના પ્રતિસાદમાં અનેક ચિત્રકારોએ પોતાની કલાકૃતિ રજૂ કરી. સમયમર્યાદા પૂરી થતાં રાજા પાસે અનેક સુંદર ચિત્રો આવ્યાં. રાજા કલાપારખુ હતો. તેણે એ બધાં ચિત્રો ધ્યાનથી એકદમ બારીકાઇથી નિહાળ્યાં. અંતે એમાંથી તેણે બે ચિત્ર પસંદ કર્યાં. હવે આ બેમાંથી શ્રેષ્ઠ કયું એ નક્કી કરવાનું હતું.
પહેલું ચિત્ર હતું એક શાંત સરોવરનું...સરોવરની ચારે બાજુ લીલોતરીથી છવાયેલા ઊંચા પહાડો હતા. સરોવરના શાંત પાણીમાં આ પહાડોનું પ્રતિબિંબ, ઉપર સ્વચ્છ, નીલવર્ણુ આકાશ અને કયાંક રૂના આછા ગોટા જેવાં શ્વેત વાદળ...શાંતિની આભા સર્વત્ર છવાયેલી સાફ જોઇ શકાતી હતી. કોઇ પણ વ્યક્તિ આ ચિત્ર જુએ એટલે એને એમાંથી પ્રગટ થતી શાશ્વત શાંતિ અચૂક સ્પર્શી રહે. ચિત્ર ખરેખર ખૂબ સુંદર બન્યું હતું. શાંતિના વિષયને એકદમ અનુરૂપ હતું. બધાને થયું કે નંબર તો આ ચિત્રને જ મળશે.
હવે રાજાએ બીજા ચિત્રને ધ્યાનથી નિહાળ્યું.
બીજા ચિત્રમાં પણ પહાડો હતા. પરંતુ એ સાવ સૂકાંભઠ્ઠ અને ઉબડખાબડ...ઉપર ગગનનું રૌદ્રસ્વરૂપ દીસતું હતું. મુશળધાર વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાઓથી કુદરતનું બિહામણું સ્વરૂપ સર્જાયું હતું. પહાડો વચ્ચે ભયાનક ગતિ સાથે પાણીનો ધોધ ધસમસતો હતો. ચિત્રમાં શાંતિનું તો નામોનિશાન નહોતું. બધા કહેતા હતા, ચિત્રકાર વિષય જ ભૂલી ગયો છે.
પરંતુ રાજાએ બારીકાઇથી ચિત્ર ફરી ફરીને નિહાળ્યું. તો એણે જોયું કે ધોધની પાછળના ખડકની તિરાડમાંથી એક નાનકડો છોડ ઊગી નીકળ્યો હતો અને એ છોડની વચ્ચે એક ટચૂકડા પક્ષીએ પોતાનો માળો બાંધ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહના પ્રચંડ અવાજની વચ્ચે પણ એ પક્ષી શાંત ચિત્તે પોતાના માળામાં નિરાંતવું બનીને મીઠા ટહુકા વેરી રહ્યું હતું.
રાજા ખુશ થઇ ગયો. આ ચિત્ર જ શ્રેષ્ઠ છે. ઇનામ આ બીજા ચિત્રને જ મળ્યું. ત્યારે બધાને આશ્ચર્ય થયું. કોઇને સમજાયું નહીં. આ ચિત્રમાં તો શાંતિનું નામોનિશાન નથી દેખાતું. આમાં તો શાંતિને બદલે તોફાન દેખાય છે.
સુખ-શાંતિના સમયે તો સહુ કોઇ સ્વસ્થતા જાળવી શકે...મુશ્કેલીના સમયે પણ જે શ્રદ્ધા ગુમાવ્યા સિવાય, અકળાયા સિવાય જીવનસંગીત રેલાવી શકે એ જ સાચો માનવી. ઇશ્વરે આપેલા સુખનો...ખુશીનો આપણે સ્વીકાર કરીએ છીએ તો એના જ આપેલા દુઃખનો અસ્વીકાર કેમ કરી શકીએ?
ત્યારે રાજાએ કહ્યું, 'જયાં ઘોંઘાટ ન હોય ત્યાં શાંતિ હોય જ એ જરૂરી નથી. સાચી શાંતિ ભીતરની હોય છે. મુશ્કેલીઓ, સંઘર્ષો, ઘોંઘાટો, અનેક તોફાનો વચ્ચે પણ જે ભીતરની શાંતિ...સ્વસ્થતા ન ગુમાવે એ જ સાચી શાંતિ...મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનનું સંગીત અટકતું નથી. અટકવું ન જોઇએ. જેમકે અહીં આ ચિત્રમાં એક ટચૂકડું પક્ષી ધસમસતા ધોધ વચ્ચે પણ પોતાનું જીવનગીત ગાઇ રહ્યું છે, કેમ કે એનું ભીતર શાંત છે.'
સાવ સાચી વાત નથી? સુખ-શાંતિના સમયે તો સહુ કોઇ સ્વસ્થતા જાળવી શકે...મુશ્કેલીના સમયે પણ જે શ્રદ્ધા ગુમાવ્યા સિવાય, અકળાયા સિવાય જીવનસંગીત રેલાવી શકે એ જ સાચો માનવી. ઇશ્વરે આપેલા સુખનો...ખુશીનો આપણે સ્વીકાર કરીએ છીએ તો એના જ આપેલા દુઃખનો અસ્વીકાર કેમ કરી શકીએ? દુખ, પીડા તો જીવનને સમજવાની શક્તિ આપે છે. જીવનને જાણવાની તક આપે છે.
નીલમ દોશી :)