આ વિધિથી કરો માં બગલામુખીની પૂજા, શત્રુઓથી મળશે મુક્તિ
શાસ્ત્રો દેવી બગલામુખી માં દુર્ગાનું જ એક રૂપ છે. દશ મહાવિદ્યાઓમાં બગલામુખી આઠમું સ્વરૂપ છે. તેમનું સ્વરૂપ સોના સમાન અર્થાત પીળુ છે. માં બગલામુખી પીળાં વસ્ત્રો ધારણ કરે છે. સુવર્ણ સિંહાસન પર, સુવર્ણના અલંકારોથી સુશોભિત છે. માતાજીને પીળો રંગ બહુ પ્રિય છે. આથી પીળાં ફૂલ, પીળું આસન, હળદર વગેરે પૂજાપો વપરાતાં હોય છે.
કેટલાક ઉપાસકો મંત્ર સિદ્ધ કરવા હળદરની પીળી માળા વાપરતા હોય છે. આથી માતા બગલામુખી ‘પીતાંબરા’ અને ‘પીતકાલિ’ કહેવાય છે. ભગવતી પીતાંબરાને બગલામુખી પણ કહે છે. તંત્રની દશ મહાવિદ્યાઓમાં બગલામુખી આઠમી મહાવિદ્યા છે જે શ્રીકુલથી સંબંધિત છે. વિષ્ણુનાં તેજથી યુકત હોવાનાં લીધે વૈષ્ણવી છે. મંગળવાર યુકત ચૌદશની અર્ધરાત્રીએ આ દેવીનો આવિર્ભાવ થાય છે. દૈવી પ્રકોપથી બચવા માટે પૌષ્ટિક કર્મ તથા શત્રુ નિગ્રહ માટે વિશેષ ઉપાસના થાય છે.
ભગવતી બગલામુખીની સાધના સુખ અને સૌભાગ્ય આપવાવાળી છે. જો સંયમ અને નિષ્ઠાથી સાધના કરવામાં આવે તો જીવનમાં ડગલેને પગલે સફળતા આપવાવાળી છે.
દેવી બગલામુખીની સાધના કરવા માટે સાધકે પીળાં વસ્ત્ર, પીળું આસન, પૂજાની પીળી સામગ્રી અને માળા પણ પીળી હોવી જોઇએ. હળદરની માળા, પૂજાનાં ફૂલ પણ પીળાં જ રાખવાં શ્રેષ્ઠ છે અને બેસનથી (ચણાના લોટથી) બનાવેલા પદાર્થ નૈવેધમાં રાખવા અથવા ખીરમાં કેસર મેળવી દેવીને અર્પણ કરવામાં આવે છે.
દેવી બગલામુખીની સાધના કરવાથી શત્રુઓનો થશે નાશ
દેવી બગલામુખીની પૂજા કરવાથી શત્રુઓ પર જીત મેળવી શકશો. મા બગલામુખીનું શત્રુ જીહ્વા પકડીને મુદગરથી શત્રુ પર વાર કરવાનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. આજના યુગમાં શત્રુઓ અસ્ત્ર શસ્ત્ર લઇને રણમેદાનમાં વાર નથી કરતા પરંતુ જીહ્વા(જીભ)થી ઉત્પન્ન શબ્દ સ્વરૂપે વાર કરીને સામાજિક કલંક દ્વારા કે પછી મંત્ર તંત્રથી સાધકનો નાશ કરવા તત્પર રહે છે. તેવામાં માતાજીનું આ સ્વરૂપ સુપેરે સર્વમાન્ય બની ગયું છે.
માનો દિવ્ય મંત્ર –
શ્રી પીતાંબરાયૈ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો.
બગલામુખી દેવીનાં મંદિરોઃ
• ઉજૈન પાસે નલખેડામાં બગલામુખી દેવી બિરાજે છે.
• મધ્ય પ્રદેશમાં ઝાંસી પાસે બસિયામાં પણ માતાજીનું સ્થાનક છે.
• પ.બંગાળમાં દેવધર જિલ્લામાં પીતકાલિ સ્વરૂપે બગલામુખી દેવી બિરાજમાન છે.