ગુજરાતમાં પાંડવોના કાળના આ હનુમાન મંદિરમાં મળે છે શનિ પનોતીથી મુક્તિ
21મે 2020, ગુરૂવારે અમાસ છે આ દિવસે ન્યાયના દેવતા શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવ ન્યાયના દેવતા હોવાથી લોકોને તેમના સારા-ખરાબ કામની સજા પનોતી રૂપે આપે છે. લોકો શનિના કહેરથી બચવા માટે વિવિધ ઉપાય કરતા હોય છે. ગુજરાતમાં પણ એક પ્રાચીન મંદિર છે આજે અનેક લોકો પનોતીથી છુટકારો મેળવવા આવે છે. ગુજરાતના જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ હનુમાન મંદિરે મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે. જો તમે પણ શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોવ તો શનિ જયંતી પહેલાં જ આ મંદિરની મુલાકાત લો. યાર રહે આ મંદિરમાં પ્રાચીનકાળમાં પાંડવો આવ્યા હોવાના પણ પુરાવા પ્રાપ્ત થાય છે.
આજે અમે તમને ગુજરાતના ઔતિહાસિક હનુમાન મંદિર વિશે બતાવવા માગીએ છીએ જે અનેક સદીઓથી પૂજાતું આવ્યું છે. અહીં મળેલી પૌરાણિક વસ્તુઓથી જાણી શકાય છે કે પાંડવો અહીં આવ્યા હતા અને રોકાયા હતા. દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણને જમીન ઉપર મારતા જલધારા વહાવી હતી તેની નિશાનીઓ આજે અહીં છે સાથે જ ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. જાંબુઘોડાના રમણિય જંગલોની પાસે આવેલ હોવાથી સાક્ષાત ભક્તોને કુદરતી સૌંદર્યને પણ માનવાની તક મળે છે.
ઝંડ હનુમાન મંદિર અંગે વાત કરીએ તો આ સ્થળે આવેલી ઝંડ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં આવેલા સેંકડો વર્ષ પુરાણા શિવ મંદિર, રેતાળ પથ્થરોમાંથી કોતરે ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ, મહીસાસુગર માતાજીની ભગ્ન અવસ્થાની મૂર્તિઓ, ઢાલ અને રોમન તલવાર સાથેના સૈનિક યોધ્ધાઓનો પાળીઓ વિગેરે અનેક સ્થાપત્યો જોતા આ સ્થળ ભુતકાળમાં અત્યંત જાહોજલાલીથી ભરપુર તેવુ સમૃધ્ધ સ્થળ હશે તેવું માનવાના અનેક કારણો છે!!
આ હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ પણ અલૌકીકતા દર્શાવે છે અને જેઓ શનિની પનોતીથી પિડાતા હોય છે તેઓ સૌ આ સ્થળે શનિદેવના દર્શને પણ અવાર-નવાર કાયમ આવતા હોય છે.
ઝંડ મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી બાજુના ખેતરમાં એક વિશાળ શિવ મંદિર છે જે શિવ મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલુ હોય તેમ જણાય છે. આ શિવાલયની અંદર આવેલુ શિવલીંગ અતિ તેજસ્વી છે જેને સ્થાનિકો સમય આવે પુંજાપાઠ કરી સાચવે છે આવુ જ એક અન્ય નાનુ શિવાલય ભગ્ન અવસ્થાનું હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. ઝંડ હનુમાનજીના સ્થળથી આગળ ભીમની ઘંટીના કહેવાતા સ્થળે જવાના રસ્તા ઉપર પણ એક શિવાલય છે. તથા ત્યાંથી આગળ જતા જમણા હાથે બે ત્રણ શિવ મંદિરો સંપૂર્ણ ભગ્ન અવસ્થામાં ઉભેલા દેખાય છે. આ સ્થળે રોમન સૈનિકની અનુભૂતિ કરાવતા સૈનિકોના શિલાને દર્શાવતો પાળીયો બેનમૂન છે.
લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગર ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડી ફોડીને પુરી દેવામાં આવેલુ છે જેથી અંદર ભોંયરામાં જવાનો માર્ગ બંધ થઇ ગયો છે. ઝંડ હનુમાન દાદાની મૂર્તિ જે ડુંગર ઉપર છે તેની સામેના ડુંગર ઉપર હિંગરાજ માતાની મૂર્તિ તથા તેમનું મંદિર ભગ્ન અવસ્થામાં છે. ત્યાં આરસ પહાણના પથ્થર ઉપર કોતરેલ પગલા છે આ સ્થળે જવા ફકત પગદંડી રસ્તો છે.