જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૭
‘પોતાની ભૂલ સ્વીકારવી એ સૌથી મોટી શક્તિ છે.’
આ સુવિચાર આજના અહંકારથી ભરેલા અને 'પરફેક્ટ' દેખાવાની હોડમાં લાગેલા માનવી માટે એક અણમોલ જડીબુટ્ટી સમાન છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ભૂલ કરવી એ ગુનો માનવામાં આવે છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે બધા જ આપણું શ્રેષ્ઠ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરીએ છીએ અને આ પ્રક્રિયામાં આપણે એટલા ડરી ગયા છીએ કે જો આપણાથી કોઈ નાની અમથી ભૂલ થઈ જાય તો આપણે તેને સ્વીકારવાને બદલે તેના પર પૂર્વગ્રહો અને બહાનાના કેટલાય થર ચડાવી દઈએ છીએ.
આપણને લાગે છે કે "સોરી" કહેવાથી આપણે નાના થઈ જઈશું અથવા સામેવાળી વ્યક્તિ આપણી નબળાઈનો ફાયદો ઉઠાવશે. સત્ય એ છે કે ભૂલ સ્વીકારવી એ નબળાઈ નહીં પણ અત્યંત ઉચ્ચ કક્ષાનું આત્મબળ છે. જે માણસ અંદરથી પોલો હોય છે તે જ પોતાની ભૂલ છુપાવવા માટે જૂઠનો આશરો લે છે. જે મજબૂત અને પાયામાંથી સાચો છે તે જ છાતી ઠોકીને કહી શકે છે કે, "હા, મારાથી ભૂલ થઈ છે અને હું તેને સુધારવા તૈયાર છું." ગુજરાતીમાં કહેવાય છે કે, "ભૂલ કરે તે માણસ, પણ જે ભૂલ સ્વીકારે તે મહાત્મા."
આજના સમયમાં આપણે બીજાની ભૂલો શોધવા માટે ટેલિસ્કોપ લઈને ફરીએ છીએ અને પોતાની ભૂલો જોવા માટે પાટા બાંધી લઈએ છીએ. જ્યારે આપણે કોઈ બીજાની ભૂલ જોઈએ છીએ ત્યારે આપણે એક કડક ન્યાયાધીશ બની જઈએ છીએ અને જ્યારે પોતાની વાત આવે ત્યારે આપણે સૌથી હોશિયાર વકીલ બનીને દલીલો કરવા લાગીએ છીએ. આ વલણને કારણે જ આજના સંબંધોમાં મધુરતા ઓછી અને કડવાશ વધુ જોવા મળે છે.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડા હોય, ઓફિસમાં બોસ અને એમ્પ્લોઈ વચ્ચેના મતભેદ હોય કે મિત્રો વચ્ચેની તિરાડ હોય, મોટાભાગની સમસ્યાઓનું મૂળ એ છે કે કોઈ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. આપણે એવું માની લીધું છે કે જે ભૂલ સ્વીકારે તે હારી ગયો. હકીકતમાં જે ભૂલ સ્વીકારે છે તે એક એવા માનસિક બોજમાંથી મુક્ત થઈ જાય છે જે તેને અંદરથી કોરી ખાતો હોય છે.
જૂઠ અને બહાનાને સાચવવા માટે શક્તિ ખર્ચવી પડે છે. જ્યારે સત્યનો સ્વીકાર કરવાથી શક્તિનો સંચય થાય છે. કહેવાય છે કે "પોતાની કેડે (પીઠ) પોતે ન દેખાય," એટલે કે આપણી ખામીઓ આપણને નથી દેખાતી, પણ જો કોઈ બતાવે અને આપણે તેને હસતા મોઢે સ્વીકારી લઈએ તો એ આપણી સફળતાનું પહેલું પગથિયું બની જાય છે. આ વાતને એક માર્મિક અને પ્રેરક પ્રસંગ દ્વારા સમજીએ. જે આપણને ભૂલ સ્વીકારવાની અસલી તાકાતનો પરિચય કરાવશે.
એક બહુ મોટી કંપનીમાં રોહન નામનો એક યુવાન મેનેજર તરીકે કામ કરતો હતો. રોહન ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો. તેનામાં એક જ ખામી હતી. તે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નહીં. જો કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો તે તરત જ તેના હાથ નીચેના માણસો પર દોષનો ટોપલો ઢોળી દેતો. તેને લાગતું કે જો તે પોતાની ભૂલ સ્વીકારશે તો કંપનીમાં તેની પ્રતિષ્ઠા ઓછી થઈ જશે અને લોકો તેને બિનકાર્યક્ષમ માનશે. એકવાર કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો. રોહને બધી ગણતરીઓ કરી, પણ ઉતાવળમાં એક આંકડાની ભૂલ રહી ગઈ. પરિણામે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા ઉભી થઈ. રોહન અંદરથી ડરી ગયો હતો, તેને ખબર હતી કે ભૂલ તેની જ છે. પણ આદત મુજબ તેણે મીટિંગમાં બધો દોષ સપ્લાયર પર નાખી દીધો.
કંપનીના માલિક મહેતા ખૂબ જ અનુભવી અને પારખુ માણસ હતા. તેઓ સમજી ગયા હતા કે ભૂલ ક્યાં થઈ છે. તેમણે મીટિંગ પૂરી કર્યા પછી રોહનને પોતાની કેબિનમાં બોલાવ્યો. રોહનને લાગ્યું કે આજે તો તેને ઠપકો મળશે જ. પણ મિસ્ટર મહેતાએ શાંતિથી તેને કહ્યું, "રોહન, તને ખબર છે, આ ઓફિસમાં સૌથી વધુ પગાર કોનો છે?" રોહને કહ્યું, "સર, તમારો અને પછી મારો."
(વધુ હવે પછી)