કારગિલ યુધ્ધ
ભાગ - ૧
કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી( જે બે દેશો વચ્ચેની ડે ફેક્ટો, de facto બોર્ડર છે.) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી. યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઇ. પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા. એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.
આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર લોજિસ્ટિક સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો (એટલે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા લોકો) વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે 1974 માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું, પાકિસ્તાને, તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી, ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને 1998 માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
1947 ભારતના ભાગલા પેહલા કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વના ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. 1947-1948 ના ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા(એલઓસી) આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો.(જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે) 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી બંને દેશોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને દેશોએ એલઓસી સીમાનું પાલન કરી સશસ્ત્ર સંઘર્ષ ટાળવા માટે વચન આપ્યું.
કારગિલ શહેર શ્રીનગરથી 205 કિમી (127 માઇલ) પર સ્થિત છે, કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે. હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે, ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર − 48° સેલ્સિયસ(−54 ° ફે) જેટલું નીચું હોય.
( વધુ વાંચો ભાગ - ૨ માં )