" વેદનાને વ્હાલ "
જૂની વેદનાઓ જ્યાં સુધી શાંત થઇને રુઝાઇ નહીં જાય ત્યાં સુધી તમે નવી ઇચ્છાઓ કે નવા સ્વપ્નોને તમારાં જીવનમાં સ્થાન નહીં આપી શકો, જીંદગીને આગળ વધારવા મનની હળવાશ જરૂરી છે, અને એ ત્યારેજ શક્ય બનશે જ્યારે અકળાવતી સ્મૃતિઓનો ભાર સતત ખંખેરતા રહેશો,
નિષ્ફળતા, વિશ્વાસઘાત, અસફળ સંબંધ કે પછી દુનિયા છોડી ગયેલ અંગતોને ભૂલવા શક્ય નથી હોતા, પણ એ વેદનાને સતત યાદ ન કરીને એની તીવ્રતા ઓછી ચોક્કસ કરી શકાય, બની ગયેલ ઘટના અને એ પછી એ વીતી ગયેલ સમયનો સ્વીકાર કરી, આવનારી નવી ક્ષણોને શણગારવાનો પ્રયાસ,એ તમારો સંઘર્ષ હળવો કરી શકશે,
આપણે યંત્ર નથી પણ માણસ છીયે, એટલે લાગણીઓના ઘા તરત રીપેર ન થઇ જાય, પણ જો એના ઉપર વિચારોનો ઉપચાર થાયજ નહીં તો એ ઘા વધારે ઉંડા થતા જાય અને તમારા પ્રયાસોમાં સૌથી મોટા અવરોધ સાબિત થાય, લાગણીઓ તાકાત બને ત્યારે અશક્ય કામો પણ શક્ય બનાવી શકે અને એજ લાગણીઓ જો નબળાઇ બની બેસે તો સક્ષમ વ્યક્તિને પણ લાચાર બનાવી શકે છે, એટલે જો વિચારો ઉપર નિયંત્રણ રાખશો તો વિતેલી વાતો વર્તમાનમાં વસવાટ નહીં કરી શકે,
" સમયનાં નિર્ણયનો સ્વીકાર કરવો, એ જીંદગીને જીવવા ફરી એક નવી તક આપવા જેવી વાત છે, માણસ તરીકે લાગણીઓથી 'ભરપૂર' ચોક્કસ રહો, પણ 'મજબુર' ક્યારેય ન બનતા..."
હેમલ ત્રિવેદી....