પોકારીને પાલો ભણે’—
પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, ને રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી અજાચી ચારણ ) ‘૨૬ કે ‘૨૭માં પ્રથમ ભેટ્યો ત્યારે જ એ ૬૦-૬૫ વર્ષનો વૃદ્ધ હતો. દૂબળો–પાતળો, દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે.
કહ્યું કે ‘પાલરવ ગઢવી ! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનારા પાલરવ ?’
‘અરે બાપા ! કહ્યા છે શામળાના દુહા. આ જોવોને બાપા ! ઇ તો એમ ભણ્યું બાપા, કે–
ભગવંત ભલા જોગ;
(કે’નાય) ભૂંડામાં ભગવંત નૈં;
(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ
પ્રાપ્રેવુ પાલો ભણે.
( અર્થ–ભગવાન તો ભલું જ કરનાર છે. કોઇનાં બુરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકૃત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે.
એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી લોઢાની સૂડી હતી તે ઊંચી ને નીચી, આજુ ને બાજુ ઘુમાવતાં ધુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત લાડ લડાવતા હોય તેવી ચેષ્ટા કરતે કરતે, અને પોતે જે બોલી રહેલ છે તે તો શંકારહિત ત્રિકાલાબાધિત અને પાકું પ્રમાણી જોયેલું સત્ય હોય એવી ખાતરીના તોરમાં શામળાના દુહા અર્થાત ઇશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા–સુભાષિતો ચાલુ કર્યાં–
વાગ્યાની તમને વગત
ઝાંઝર કીડીનાં જે;
દૈવ ! ધાઉં દેતે
સુણતા નથી શામળા !’
પછી અર્થ કરે – કહ્યું એમ બાપુ, કે હે દૈવ ! હે શામળા ! તમને તો કીડીના પગનાં ઝાંઝર વગડે તેની પણ ખબર પડે છે, તો પછી મારા પોકારને શું તમે સાંભળી શકતા નથી ? શું પોકાર ! તો એમાં એમ છે બાપુ ! કે શામળા ! અરે શામળા !
મોર્યે ન કીધી માધા !
કાંઇયે મેં કમાઈ,
ભલો થઈને ભાઈ !
સામું જોને શામળા !
કે હે શામળા ! મેં તો અગાઉ કાંઇયે કમાઈ કીધી નથી, માટે ભાઈ ! તું ભલો થઈને મારી સામે જો !
ભગવાનને ‘ભાઈ’ કહ્યો એક ગામડિયા ગઢવીએ : God not the Father, God not the Son, God not the Holy Ghost, but God our brother-man: એ કોઈક આધૂનિક જ્ઞાનીએ કહ્યું. પાલરવ ગઢવી જ્ઞાની હતો. મને હરીન ચટ્ટોપાધ્યાયનું પદ યાદ આવે છે—
‘બિન ભોજનકે ભગવાન કહાં !’
કારણ કે મારી હસ્તપ્રતમાં એ જ ભાવનો પાલરવનો દુહો દેખું છું–
હ ડ સે લા હ જા ર
પેટ સારુ ખાવા પડે;
દિયો તો અન્નદાતાર,
સૂઝે ભગતી શામળા !
અને પાલરવ જેવો એક કંગાલ, નિર્ધન, નિરાધાર વૃદ્ધ, કોઈક ઠાકોર કે ગરઢેરાની થોડીએક પ્રશસ્તિ શિષ્ટાચાર સારૂ કરવી પડી હશે તેની પણ ઈશ્વર સમક્ષ તોબાહ પુકારે છે–
મોઢે માનવીયું તણા
ગાયા મેં તો ગણ;
પરભુ ! કરશો પણ
શી ગત મારી શામળા !
માનવ-સ્તુતિથી શરમિંદ બનનાર લોકકવિ પૈસેટકે ભિંસાયો હશે એટલું તો એના શામળાના દુહા જ બતાવે છે–
કરજે મન કૉળે નહિ
નેણે ના’વે નીંદ
ગળકાંસાં ગોવિંદ !
શેત્રુંજીમાં શામળા.’
હે શામળા ! કરજ છે તેને લીધે દિલ ખીલતું નથી. નેણે નીંદ નથી. કરજની નદીમાં ગળકાં ખાઈ રહ્યો છું. 1/3