-: વિદેશીરોકાણ નો દુષ્કાળ :-
તંત્રીલેખનાં અંશો-૧
ભારતમાં હાલ પ્રવર્તી રહેલાં મંદીના પ્રવાહો નું એ કારણ છે કે દેશના વાણિજ્ય જગત પર સરકારનું કોઈ મોનિટરિંગ રહ્યું નથી. પ્રવાહો પલટાય ત્યારે તેને તેજી તરફ પૂન:સ્થાપિત કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આપણે ત્યાં સરકાર વિવિધ મંત્રાલયો પર મોનીટરીંગ કરતી નથી. પરિણામે દેશના વ્યવસાય, ઉધ્યોગ અને સેવાક્ષેત્ર માં પ્રવેશેલી મંદીના પ્રવાહો પુરપાટ આગળ વધી રહ્યાં છે. એને રોકવાની કે ટોકવાની કેન્દ્ર સરકારની દાનત કે ક્ષમતા બેમાથી એકેય નથી.
સોશિયલ મીડિયામાં મજાકમાં એવી જાહેરાત વાયરલ થઈ છે કે ચિરંજીવી વિકાસ, તું જ્યાં હોય ત્યાથી પાછો આવી જા કારણકે તારી બધી મુશ્કેલીઓ કોરોનાએ પોતાને માથે લઈ લીધી છે. પણ એમાં હકીકત પણ છે. વિકાસના નામે ભારતે તરતી મૂકેલી તરંગલીલાની વિફળતા હવે કોરોના પર ઓઢાડવામાં આવે છે. બજારમાં મૂડી સતત ઘટી રહી છે. એટલેકે નવા રોકાણકારો કે બેન્કો ધ્વારા આ ઔધ્યોગિક સાહસો માં ઠલવાતી મૂડીના પ્રમાણ ઘટી રહ્યાં છે. પણ ઘણાં લાંબા સમયથી વિદેશી રોકાણકારોએ તો પીછેહટ કરી જ લીધી છે. અને હજૂ પણ તેઓ શેરબજારમાથી કટલોસના સિધ્ધાંત પ્રમાણે અને અન્ય ક્ષેત્રોમાથી તબક્કા વાર થોડો નફો જતો કરીને પણ ઝડપી પીછેહટ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર પાસે તેઓને રોકવાની કોઈ યોજના નથી. નાણાંપ્રધાન સિતારામને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે વિદેશી રોકાણકારોને ભારતમાથી ભગાડી મૂકવા માટેના જ નિવેદનો કરેલા છે.
શા માટે કેન્દ્રની એન.ડી.એ.સરકાર વિદેશી રોકાણકારોને દેશમાથી ખાલસા કરવા ચાહે છે તે રહસ્ય ભારતીય અર્થશાસ્ત્રીઓ સમજી શક્યા નથી. સાતેક વર્ષ પહેલાં કોઈ ટેકનીકલ ગ્રેજ્યુએટ યુવાનને રૂપિયા દસ હજારની નોકરી ની ઓફર કરવી તે તેનું અપમાન ગણાતું હતું. અને આજે તેનેએ ઓફર કરવી તે તેનું અને આખા પરિવારનું સન્માન ગણાય છે.