ગઝલ : --- પુનર્મિલનની આશ વધે છે ....
કવિ : --- શ્રી કિશોર જિકાદરા ગાંધીનગર.
સાંજ ઢળે તો સંધ્યા સાથે પુનર્મિલનની આશ વધે છે ,
ના સમજાયું ? શા કારણથી સૂરજની લાલાશ વધે છે !
સૂરજનો મેં ફોટો પાડી , ખીંટી માથે ટિંગાડ્યો છે ,
જોવું છે કે મારા ઘરમાં એ રીતે અજવાસ વધે છે ?
આંખો ભીની કેમ રહે છે , સાથે અમને એય કહો કે -
કોનું સપનું આવે ત્યારે આંખોમાં ભીનાશ વધે છે !
પડખે બેસી સમજાવ્યું ' તું , દૂર વધારે ના થશો ભૈ !
અંતર બે હૈયાંની વચ્ચે , તેમ છતાં બિન્દાસ વધે છે !
પીવાથી ના ધરવ થયો તો છેતરપિંડી ધ્યાને આવી ,
ક્યાંય લખેલું ના જોયું કે આ પીણાથી પ્યાસ વધે છે !
માણસમાંથી માણસને હું બાદ કરું તો કાંઈ વધે નૈ !
બલકે આવો પ્રશ્ન કરો તો ખાલીપીલી ત્રાસ વધે છે !
સંકેતો હું પામી ગ્યો છું , તૈયારીમાં રહેવું પડશે ,
વૈદ્ય - હકીમો કેમ વદ્યા કે પરપોટાનો વ્યાસ વધે છે !
-- કિશોર જિકાદરા