*ખેલ મોટો છે, દિલ્હીની આગ ગુજરાત સુધી પણ ફેલાઈ શકે છે: જાગતા રહેજો, સાબદા રહેજો!*
*રામ મંદિર, કાશ્મીર, 370, CAA સુધી બધા જ મોરચે પછડાટ ખાધા પછી કોંગ્રેસ હડકાઈ થઈ છે*
*યુનિવર્સિટીમાં પ્રવેશ કરી ને પોલીસે કશું જ ખોટું કર્યું નથી, તોફાનીઓને માર પડે એ જરૂરી*
કૉન્ગ્રેસ સહિત સત્તાવિહીન પક્ષોનો અસલી ખેલ હવે શરું થાય છે. દિલ્હીના સિલમપુરથી અમદાવાદ સુધી સળગાવવાનો. ગુજરાતના કેટલાક ઘેલા બૌધ્ધિકોય "અલ્લા હુ અકબર" કરી રહ્યા છે. દેશના ભોગેય ભાજપને ભીડવી શકાતો હોય તો એ લોકો તૈયાર છે. સાવધ રહો...એમને ઓળખો... નાગરિકતા સુધારા(CAA)નું સમર્થન કરો, NRCની માગ કરો. સરકારને મજબૂતી આપો. લડાઈ તમારા ઉંબરા સુધી આવી શકે છે. કૉન્ગ્રેસનો બુઝતો વધુ ઝબૂકશે. કાશ્મિર અને રામમંદિરથી ફૂંગરાયેલા એનું વેર લેવા નવા કાયદાની આડમાં બહાર આવ્યા છે. આમાં મુસ્લિમો ગેરસમજનો ભોગ છે પણ હિન્દુ વિરોધીઓ કાવતરાખોરી કરી રહ્યા છે. હિન્દુ સામે બવંડર ઉભું કરવાનું. હિન્દુ હિતને જરાય સાંખી ન શકનારી મંડળીઓ સક્રિય થઈ છે. પ્રતિભાવ અને પ્રતિકાર જરુરી બનશે. દેખના હૈ જોર કિતના હિન્દુ-દેશ વિરોધીયોં મેં હૈં.
ઉપરોક્ત લખાણ વિખ્યાત પત્રકાર જશવંત રાવલનું છે. તેમણે સાચું જ લખ્યું છે, કાવતરું મોટું છે. લોકોને ગેરમાર્ગે દોરવા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. જામિયા યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ અનુમતિ વિના કઈ રીતે પ્રવેશી શકે એવી વાહિયાત ચર્ચાઓ પણ ઇરાદાપૂર્વક છેડવામાં આવી છે. શું એવી કોઈ જોગવાઈ છે જે પોલીસને જામિયા કે અન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ કરતા રોકી શકે? કાયદાકીય રીતે એવી જોગવાઈ છે કે, અપરાધીને પકડવા પોલીસ કોઈપણ પરિસરમાં પ્રવેશ મેળવી શકે છે. સીઆરપીસી ધારા 41 મુજબ પોલીસને અધિકાર મળેલો છે કે, તે આરોપીને વોરંટ આપ્યા વિના ગમે ત્યાં અને ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. પોલીસને કોઈપણ માહિતી અથવા તો શંકાના આધારે આરોપીને પકડવાનો અધિકાર છે.
સીઆરપીસી ધારા 48 મુજબ પોલીસ પાસે વોરંટ ન હોય તો પણ આરોપીને પકડવા દેશના કોઈપણ જગ્યાએ પીછો કરવાનો અધિકાર છે. આ જ કાયદાની કલમ ધારા 47(1) અનુસાર પોલીસને વિશ્વાસ હોય કે આરોપી આ જ વિસ્તારમાં છે તો તેમને એ વિસ્તારમાં પ્રવેશવાની અને તપાસ કરવાની અનુમતિ મળેલી છે. ધારા 47(2) અનુસાર કોઈ કારણોસર પોલીસ અધિકારી તે જગ્યા પર પ્રવેશ નથી કરી શકતા તો તે જગ્યાનાં દરવાજા કે બારીઓ તોડીને પણ પ્રવેશ મેળવી શકે છે. ધારા 165 અને 166 અનુસાર પોલીસ તપાસનાં વોરંટ વિના પણ પ્રવેશી શકે છે અને ધારા 47(2) મુજબ પ્રવેશ માટે બળનો ઉપયોગ પણ કરી શકે છે.
ધારા 165 અને 166 હેઠળ પોલીસ અધિકારી સર્ચ વોરંટ વિના કોઈપણ સ્થળે પ્રવેશ કરી શકે છે અને કલમ 47(2) મુજબ પ્રવેશ માટે બળનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ પરિસરનો માલિક અથવા પ્રભારી પોલીસ પ્રવેશનો વિરોધ કરે છે, તો પોલીસ કાર્યવાહીમાં અડચણ કરવા બદલ આઈપીસીની કલમ 212 હેઠળ ગુનેગારને દોષી ઠેરવી શકાય છે. અને આઈપીસી ધારા 353 મુજબ તપાસ દરમિયાન કોઈપણ પોલીસ કર્મચારી ઝખમી બને તો 332 ધારા મુજબ તેમને જેલની સજા પણ થઈ શકે છે. ઉપરોક્ત કાયદાની વિવિધ જોગવાઈ મુજબ પોલીસ જામિયા કેમ્પસમાં ગેરકાયદેસર પ્રવેશી એવી વાહિયાત વાતો ન કરવી જોઈએ. કાયદાનાં રક્ષકોએ શાંતિ-સલામતી જાળવવા કાયદામાં રહીને કાયદાનું કાર્ય જ કર્યું છે.