“નારી શક્તિ - નારી પ્રતિષ્ઠા - ચર્ચાનો પ્રશ્ન “
“સ્ત્રી અને પુરુષના યથાર્થ ધર્મ તપાસવા જોઈએ અને તેટલા સારુ બંનેના બંધારણની તપાસ કરવી જરૂરની છે. સ્ત્રી જેવી પોષકશક્તિને જરૂરનાં જે સાધનો છે તે સિવાય પુરુષ અને સ્ત્રીના શારીરિક બંધારણમાં તફાવત જાણવામાં આવ્યો નથી. કેટલાક એમ જણાવે છે કે સ્ત્રીના મગજમાંનો પદાર્થ પુરુષના મગજમાંના પદાર્થ કરતાં અર્ધા કે પા શેર ઓછો છે. જો આમ હોય તો એ પુરાવાથી અમારા સિદ્ધાંતને બહુ પુષ્ટિ મળે એમ છે, પણ એ પુરાવો શંકા ભરેલો છે એમ ધારી તેનો ઉપયોગ કરવો યોગ્ય લાગતો નથી, પોષકશક્તિને જરૂરનાં સાધનો સિવાય સ્ત્રી અને પુરુષ વચ્ચે બીજો શારીરિક તફાવત નથી એમ કહ્યું તેથી એમ ન જાણવું કે પોષકશક્તિને જરૂરનાં સાધનો એના શારીરિક બલમાં કાંઈ ફેરફાર કરી શકતાં હશે નહિ. અથવા તે શક્તિનું કાર્ય કરનાર ઇન્દ્રિયોના વ્યાપારને લીધે સ્ત્રીના વ્યવહારમાં હરકત આવતી હશે નહિ. સ્ત્રીના અને પુરુષના હક સમાન ગણનાર એમ કહેવા માગે છે કે પુરુષો નોકરી કરતા હોય તો સ્ત્રીઓએ કરવી. પુરુષો વેપારની પેઢી ચલાવતા હોય તો સ્ત્રીઓએ ચલાવવી, પુરુષો જે જાતની છૂટ લેતા હોય તે સ્ત્રીઓએ લેવી. સ્તન અને ગર્ભાશય એ સ્ત્રીઓના પોષકતંત્રની મુખ્ય ઇન્દ્રિયો છે. ગર્ભાશય જ્યારે ભરાય છે, જ્યારે સ્ત્રી ગર્ભિણી હોય છે, ત્યારે સ્ત્રીને ઘરમાં રહેવું પડે છે ને લગભગ ૬ મહિના સુધી બહારના કામકાજમાં ફરાતું નથી એ જાણીતી વાત છે. પ્રસવ થયા પછી છોકરાની સંભાળ લેવામાંથી તેને અન્ય કાર્ય કરવાનો અવકાશ મળતો નથી. કદાપિ પુરુષો કહેશે કે અમુક સ્ત્રી કરતાં થોડા કામવાળો પુરુષ તેના બાળકની સંભાળ લે તો શી હરકત છે ? એ વાત ખરી પણ બાલકને પોષણ આપવાનું સાધન સ્તન તે તેની માતા પાસે રહ્યું તથા બાલકને પોતાની માને મૂકી બીજા પાસે રહેવાનો સ્વાભાવિક અણગમો હોય છે તેથી પણ એમ બનવું અશક્ય છે. હવે આ જાતની હરકત સ્ત્રીઓને સરાસરી ગણતાં અઢી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. તે ઉપરાંત વળી પ્રતિમાસે જે રજસ્રાવ થયાં જાય છે તેથી પણ ૪–૫ દિવસ (ધર્મની અડચણ બાજુ પર રાખતાં) શારીરિક દુઃખ પેદા થાય છે. ને કામકાજમાંથી વેગળે રહેવું પડે છે. સ્ત્રીઓના શારીરિક ફેરફારથી થઈ આવતાં આ બધાં વિપ્ન ધ્યાનમાં લેતાં એમ જણાયા વિના રહેશે નહિ કે જગતકર્તાએ સ્ત્રીજાતિને કોઈ પણ જાતના સખત કામ સારુ બનાવેલી જ નથી. અર્થાત્ તેનાથી નોકરી, વેપાર વગેરે કામો જેમાં એક દિવસની ગેરહાજરીથી હજારો જાતની ઊથલપાથલ થઈ જાય તે થઈ શકે જ નહિ તેને વાતે તેને ઈશ્વરે બનાવેલી જ નથી. આપણને આથી પણ આગળ વિચારતાં એ વાત વધારે સ્પષ્ટ થશે. માણસના મનની શરીર ઉપર અને શરીરની મન ઉપર ઘણી મોટી સત્તા છે એ વાત જાણીતી છે. જો શરીર સારું તો મન સારું અને મન સારું તો શરીર સારું, કેવલ માનસિક–કલ્પિત વ્યાધિથી વિનાશ થયાના દાખલા જેમ થોડા નથી, તેમ રોગી શરીરને લીધે રોગી મનવાળાના દાખલા પણ ઓછા નથી. આ વાતમાં પુરુષ કરતાં સ્ત્રી વધારે જોખમદાર છે. તેના ગર્ભમાં જે બાલક પોષાય છે તેનું રૂપ તેની શક્તિ–માનસિક–પોતાની માના મનોબલ ઉપર આધાર રાખે છે. 'મનમાં હર્ષ કે શોકનો એકાએક ધક્કો લાગવાથી અધુરાઈ ગયાની વાત સર્વના જાણ્યામાં હશે જ. એક સ્ત્રી ત્રીજે મહીને રીંછના બચ્ચાને જોતાં ઘણી જ ગભરાઈ ગઈ અને બીની. તેના પહેલાંનાં ૧૧ છોકરાં ચપલ અને બુદ્ધિશાળી છતાં પણ આ તેનો બારમો છોકરો કેવળ મૂર્ખ જન્મ્યો. તે ચૌદ વર્ષની ઉમર સુધી જીવ્યો ત્યાં લગી રીંછના જેવા ચાળા કરતો.' વળી 'જે સ્ત્રીને પોતાના પતિ ઉપર ઉદાર પ્રેમ હોય અને તે પરદેશમાં દુઃખના ઝપાટા વેઠતો પડ્યો હોય તો, પેલી પ્રેમી પત્નીનું ચિત્ત એની પાછળ ભમ્યાં કરે છે; એના જ રૂપનું ધ્યાન ધર્યાં જાય છે. આવા પ્રસંગમાં જન્મેલું છોકરું બાપને મળતું આવે છે..... જો સ્ત્રી પોતાની જાતને બહુ ખૂબસૂરત કે હોશિયાર માની પોતાના વિચારમાં મગરૂર હોય તો છોકરું તેના પોતાના જેવું થશે. જો સ્ત્રી પોતાના બાપ, ભાઈ, વૈદ, પડોશી, કોઈનું રૂપ વખાણતી હશે અથવા કોઈ કારણથી પણ તેને મનમાં લાવ્યાં કરતી હશે તો તેના જેવું રૂપવાળું પોતાનું છોકરું નીવડશે.' આ રીતે જેનું મન બાલકના રૂપ અને ગુણ ઉપર અસર કરી શકે છે તેને આનંદી, પ્રફુલ્લ અને શાન્ત મન રાખવાની કેટલી જરૂર છે ! સાધારણ વ્યવહારકાર્યમાં પડવાથી મનને જે ખેદ, કોઈ વાર ખેદજન્ય મૃત્યુ, કોઈ વાર હર્ષ, કોઈ વાર આડા અવળા કાળા ધોળા વિચાર થાય છે તેમાંથી દૂર રહેવું સ્ત્રીઓને જેટલું જરૂરનું છે તેટલું બીજા કોઈને નથી. આ ઉપરથી પણ જણાશે કે સ્ત્રી જાતિને ઈશ્વરે કોઈ જાતના પુરુષવ્યાપાર કરવાને સર્જી નથી. “
🙏