ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી વાંસવન નીરવ વસીએ મુરલીધરને હોઠે.
અંગુલિસ્પર્શ તણી આરતમાં ઝુરી રહ્યાં છે છેદ,
સુગંધભીની ફૂંક શ્યામની કરવી નિજમાં કેદ.
શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
આનાથી તો ભલો વાંસના વનમાં લાગે દવ,
ગોપી ઘેલી થાય નહિ તો બળ્યો બંસીનો ભવ!
યમુનામાં વહી જાય રાખ ને સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
-ભગવતીકુમાર શર્મા