આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ.
સ્નેહના બિંદુથી ચાતકને મળે સંતોષ, પણ !
મુજ તૃષા એવી કે, ચાહતનો સમંદર જોઈએ.
માનવી દાનવ બને સિદ્ધિની સંગતમાં રહી,
એટલે ના વિશ્વમાં કોઈ સિકંદર જોઈએ.
મૌનની ભાષા તો વંચાતી નથી મુજથી, હવે !
કૈંક તો બોલો તમે, આજે તો ઉત્તર જોઈએ!
આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું સઘળું સમય પર જોઈએ.
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.
એ ખરું ‘મનહર’ કોઈ દર્શન નથી આપી શકયો,
છે ગઝલ જીવનનું દર્શન જો ખરેખર જોઈએ.
#મનહરલાલ_ચોકસી