આગળ આપણે જોયું કે કેસી વિજયાબેનથી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે.
કેસી પોતાના ઘરે જાય છે અને ભૂપતને બધી વાત કરે છે કે, "વિજયાબેન મીરાને લંડન મોકલવાની વાત કરતા હતા. એકવાર મીરા જો લંડન ગઈ, તો આપણે તેને કોઈ દિવસ જોઈ નહીં શકીએ. તે લોકોએ મીરાના લગ્ન એક ઊંચા ઘરના છોકરા સાથે નક્કી કરી લીધા છે અને તેને આપણા વિશે કંઈ કહ્યું નથી. આપણે ગરીબ છીએ, તે આપણને સ્વીકારશે નહીં. મીરા જો તેને આપણા વિશે કહેશે તો પણ તે આપણી સાથે સારો વ્યવહાર કરશે નહીં."
ભૂપત કેસીને કહે છે, "મને તો એમ હતું કે હવે મારી દીકરી વકીલાત કરી અને કમાવા લાગશે એટલે આપણે ઘડપણ શાંતિથી જીવીશું, પણ એ લોકો તો આપણી દીકરીને જ આપણાથી દૂર કરવા માંગે છે. હવે આપણે શું કરીશું?"
કેસી કહે છે, "હું વિજયાબેનને એમ નહીં કરવા દઉં. હું મારી દીકરીને પાછી અહીં જ મારી પાસે લાવીશ. એના માટે સારો છોકરો જોઈશ જે આપણને સાચવે અને આપણી જવાબદારી લે. મારી નજરમાં એક છોકરો છે જે તમારા ફ્રેન્ડનો છોકરો છે. જેમણે આપણી કેટલી વાર મુશ્કેલીમાં મદદ કરી છે. તમે તેને ઓળખો છો, હું માનવની વાત કરું છું. તે બહુ સારો છોકરો છે."
(કેસીના ઘરની બહાર આ બધી વાત નીતાની મમ્મી પ્રમીલા ઊભી સાંભળતી હોય છે.)
પ્રમીલા ડેલી ખખડાવીને અંદર જાય છે અને કેસીને કહે છે, "કેસી બહેન, તમે એકદમ બરોબર કહો છો. તમે કહો તો હું માનવના મમ્મીના કાને આ વાત નાખું. જો મીરાનું માનવ સાથે લગ્ન નક્કી થઈ જાય તો તમે તમારી દીકરી સાથે જ આખી જિંદગી રહેશો."
કેસી હા પાડે છે અને કહે છે, "એક શરતે કે એ લોકો અમને સાથે રાખે અને આખી જિંદગી માટે અમારી જવાબદારી લેતા હોય તો અમને કાંઈ વાંધો નથી. પણ એક પ્રોબ્લેમ છે, મીરાની સગાઈ થઈ ગઈ છે તે આપણે તેનાથી છુપાવવું પડશે."
પ્રમીલા બહેન કહે છે, "તમે બિલકુલ ચિંતા કરતા નહીં, એ બધું તમે મારા ઉપર છોડી દો. બસ તમે મીરાને અહીં આ ઘરમાં પાછી કેમ લઈ આવી તે વિશે વિચાર કરો." એમ કહીને પ્રમીલાબેન જતા રહે છે.
આ બાજુ મીરા બધી વસ્તુથી અજાણ કોલેજથી તેની મમ્મીની ચિંતામાં તેની (વિજયા) મોમને ફોન કરે છે. (વિજયા) મોમ ફોન ઉપાડે છે. મીરા તેની મમ્મી વિશે વિજયાને પૂછે છે, "શું થયું મોમ? તમે મમ્મીને સમજાવી દીધું ને બધું?"
વિજયા મીરાને કહે છે, "તારી મમ્મી નારાજ થઈને જતી રહી અને મને જેમતેમ અપશબ્દો બોલતી હતી. મેં તેને કહ્યું કે તારી સગાઈ કરી નાખી છે. તો તે ગુસ્સે થઈ અને મારી સાથે જેમતેમ વાત કરી અને કહ્યું કે, 'તમારી હિંમત કેમ થઈ મારી દીકરીની સગાઈ અમને પૂછ્યા વગર કરવાની!' મેં તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે સમજ્યા નહીં અને નારાજ થઈને જતા રહ્યા."
મીરા કહે છે, "મોમ, તમારે મારી મમ્મી સાથે આમ વાત ન કરવી જોઈએ. એક તો તે મારાથી નારાજ છે, હવે તે વધારે નારાજ થઈ જશે. હું તેમને જઈને સમજાવીશ."
વિજયા મીરાને કહે છે, "તું સમજતી કેમ નથી? તે લોકો સ્વાર્થી છે, તે નહીં સમજે."
પણ મીરા કંઈ સાંભળવા માંગતી નથી, તે ફોન મૂકી દે છે. તે સીધી કોલેજથી ઘરે કેસીને મળવા તે ગરીબ વસ્તીમાં જાય છે. તે કાર એક બાજુ પાર્ક કરે છે અને ઊતરીને શેરીમાં વળે છે. મીરાની સહજ નજર ગેરેજની અંદર જાય છે, પછી તે આગળ ચાલે છે. મીરા ઘરે જાય છે, કેસી મીરાને આવતા જોઈ છે અને તે મીરાથી નારાજ થતાં બોલે છે, "તું અહીં વિજયાબેનની રજા લઈને આવી છે ને?"
મીરા કેસી પાસે માફી માંગતા કેસીને કહે છે, "મમ્મી, હું વિજયા મોમ તરફથી તમારી પાસે માફી માંગુ છું."
કેસી બોલે છે, "એ લોકોની હિંમત કેમ થઈ અમને પૂછ્યા વગર તારી સગાઈ નક્કી કરવાની? શું અમે તારા માતા-પિતા નથી? અમે વિજયાબેનને તને ઉછેરવા અને ભણાવવા સોંપી હતી. શું અમારો હક તારા પર નથી?"
મીરા કેસીને કહે છે, "શાંત થઈ જાઓ તમે. મોમનો તમારું અપમાન કરવાનો એવો કોઈ ઈરાદો નહોતો. આકાશ એક સારો છોકરો છે. હું તેને નાનપણથી ઓળખું છું. અને તે મને લૉની પ્રેક્ટિસ કરવા માટે લગ્ન પછી લંડન લઈ જવાનો છે. અમે ત્યાં લંડનમાં એડજસ્ટ થઈ જઈશું, પછી હું તમને બંનેને ત્યાં બોલાવી લઈશ. તમે બિલકુલ ચિંતા કરશો નહીં."
કેસી કહે છે, "મીરા, એવું તને લાગે છે, મને નથી લાગતું. આકાશ અમને સ્વીકાર કરે. તે અમને ગરીબ અને હલકા સમજે છે. તે અમારા ઉપર દયા ખાઈને અમને દરવાજા પર ઊભો રહેનાર ગેટકીપરની નોકરી તો આપી શકશે, પરંતુ સ્વીકારી નહીં શકે. અમે આટલા વર્ષ ઝેરના ઘૂંટડા પીધા અને તને અમારાથી દૂર રાખી તારા સારા માટે થઈને. હવે અમારી ઉંમર થઈ ગઈ છે તો તારી ફરજ નથી કે તું અમારું ધ્યાન રાખે? તારા ભાઈને તમે નાનપણમાં જ ખોઈ બેઠા, ગરીબીને કારણે તેનો ઈલાજ ન કરાવી શક્યા. આ તો તારા ભાઈની છેલ્લી ઈચ્છા હતી એટલે તને અમે વકીલાત ભણાવવા વિજયાબેનને સોંપી દીધી હતી. તું ભણી-ગણી અને કમાતી થઈ જા તો અમારું ધ્યાન રાખી શકે, પણ તારે અમને મૂકીને જતું રહેવું છે. ઠીક છે, જા તું જતી રહે. અમે તારા વગર ચલાવી લઈશું. અમે સમજીશું કે અમારે કોઈ સંતાન નથી."
મીરા કેસીને સમજાવવાની કોશિશ કરે છે પણ કેસી મીરાનો હાથ પકડીને તેને ઘરની બહાર મૂકી અને બારણું બંધ કરી દે છે. મીરા બારણું ખખડાવીને કેસીને બારણું ખોલવાનું કહે છે, પણ કેસી કંઈ સાંભળતી નથી.
મીરા નિરાશામાં આંખમાં આંસુ લઈને બહાર નીકળી જાય છે. તેને કંઈ સમજાતું નથી શું કરવું અને શું નહીં. તે પોતાની જાતને સંભાળતી આગળ ચાલે છે. શેરીનો વળાંક પૂરો થતાં મીરા પગથિયાં નીચે ઊતરતી હોય છે, ત્યાં સામેથી માનવ દેખાય છે. માનવ મીરાને જોતા કહે છે, "હાલો, તમે બરોબર છો ને? તમે અહીં ક્યાંથી?"
મીરા કહે છે, "આઈ એમ ઓકે, હું અહીં મારી એક મિત્રને મળવા આવી હતી."
માનવ કહે છે, "હું તમને મળવા માગતો હતો, ત્યાં તમે મને મળી ગયા."
મીરા કહે છે, "કેમ મને મળવા માગતા હતા? શું કામ હતું તમારે?"
માનવ કહે છે, "તે દિવસે તમે તમારી એક વસ્તુ મારા ગેરેજ પાસે ભૂલી ગયા હતા, તે તમને પાછી આપવી હતી."
મીરા કહે છે, "કાંઈ વાંધો નહીં, બીજી વખત આપી દેજો." એમ કહી મીરા આગળ ચાલવા લાગે છે.
માનવ કહે છે, "ઊભા રહો, મારી પાસે જ છે તમારી વસ્તુ." એમ કહી માનવ પોતાના ખિસ્સામાં હાથ નાખીને એક સુંદર બ્રોચ હોય છે તે મીરાને આપે છે. મીરા 'થેન્ક યુ' કહીને તે બ્રોચ માનવના હાથમાંથી લઈ લે છે.
માનવ પૂછે છે, "તમારું નામ શું છે?"
મીરા કહે છે, "મારું નામ મીરા છે. અને તમારું નામ શું છે?"
માનવ કહે છે, "મારું નામ માનવ છે."
મીરા કહે છે, "ઓકે બાય, હું જરા ઉતાવળમાં છું." એમ કહીને બંને છૂટા પડી જાય છે.
મીરા ઘરે જાય છે તો તેના મોમ અને ડેડ તેની વાટ જોતા બેઠા હોય છે. ધનરાજ મીરાને પૂછે છે, "ના પાડી હોવા છતાં તારે પાછું ત્યાં જવાની શું જરૂર પડી?"
મીરા કહે છે, "હું થોડાક દિવસ માટે મારા મમ્મી-પપ્પાના ઘરે રોકાવા જવાની છું."
ધનરાજ મીરાને ના પાડે છે, "તારે ત્યાં રોકાવા જવાની બિલકુલ જરૂર નથી."
વિજયા કહે છે, "મીરા, તે લોકો તને મૂર્ખ બનાવી રહ્યા છે."
પણ મીરા માનતી નથી, કહે છે, "હું ત્યાં જઈશ અને મારા માતા-પિતા સાથે બે-ત્રણ દિવસ રહીશ અને હું તેને મનાવીશ એટલે તે લોકો માની જશે."
ધનરાજ ગુસ્સામાં કહે છે, "મીરા, જા પાછી તે ગંધારી વસ્તીમાં અને કોઈ દિવસ પાછી આવતી નહીં! અમે તને ભણાવી-ગણાવી અને એજ્યુકેટેડ એટલા માટે જ કરી હતી કે તું તે વસ્તીમાં પાછી જઈને રહે?"
વિજયા ધનરાજને કહે છે, "શાંતિ રાખો, હું મીરાને સમજાવું છું."
પણ મીરા કંઈ સમજવા માંગતી નથી. તે પોતાના કપડાંનો થેલો ભરી અને બહાર નીકળે છે.
ધનરાજ મીરાને કહે છે, "આજે જો તે આ ઘરની બહાર પગ મૂક્યો તો હવે કોઈ દિવસ પાછી આવતી નહીં!"
મીરા કહે છે, "ડેડ, તમે સમજતા કેમ નથી? મારા મમ્મી-પપ્પાને મારી જરૂર છે."
વિજયા કહે છે, "મીરા, એ લોકો તને મૂર્ખ બનાવી રહ્યા છે. તું ન જા, તું એકવાર ગઈ તો પછી પાછી નહીં આવી શકે. તારા માતા-પિતા પોતાના સ્વાર્થ માટે થઈને તારી જિંદગી બરબાદ કરવા માંગે છે."
મીરાને કાંઈ સમજાતું નથી પણ તે થેલો લઈને બહાર નીકળી જાય છે. તે મનમાં ને મનમાં વિચારે છે કે તે મારા માતા-પિતા છે એટલે દીકરી તરીકે મારે તેના માટેની કંઈક ફરજ છે, જે મારે પૂરી કરવી જોઈએ અને હું તે કરીશ.
આગળ પાંચમાં ભાગમાં:
આગળ આપણે જોઈશું મીરાના માતા-પિતા પોતાના સ્વાર્થ માટે થઈ અને ખોટી જગ્યાએ મીરાના લગ્ન નક્કી કરશે કે નહીં?