માણસ જ્યારે અતિશય ખુશ હોય ત્યારે પણ તેની અંદર એક ડર તો હોય જ છે કે તેની આ ખુશીઓને કોઈની નજર ન લાગી જાય.પણ ખરેખર આ ખરાબ નજરને ઓળખી તાત્કાલીક તેને જળ મૂળથી કાઢવામાં ન આવે તો તે એક બિમારીનુ સ્વરૂપ લઈ લે છે, અને એવી બિમારી જે નરી આંખે દેખાતી પણ નથી.એ નજરની જાણ અનંતને હતી, પરંતુ ભોળપણની આંખને આ દુનિયાદારીના ચશ્મા કઈ રીતે લગાવવા?
આજે આરાધનાએ જ્યારે તેના દોસ્ત અનંતને તેના મંગેતર અને ટૂંક સમયમાં પતિ થવા જઈ રહેલા અમન સાથે મુલાકાત કરાવી ત્યારે ત્રણેયની વાતચીતને અંતે અમન જે લુચ્ચાઈ ભર્યુ હસ્યો અને અનંતને કાનમાં જે કહ્યુ તે સાંભળી અનંતને અમન પર જે થોડો ધણો પણ વિશ્વાસ હતો તે પણ ખતમ થઈ જાય છે.અનંત હવે બરોબર સમજી જાય છે કે આરાધનાની અમન સાથેની આ સગાઈ એટલે જાણી જોઈ પોતાની જાતને એક અંધકાર ભરેલી ગર્તામાં ધકેલી દેવુ હતુ,એનો અણસાર આરાધનાને કેમ નથી આવી રહ્યો એ વિચારી વિચારી અનંત પાગલ થઈ રહ્યો હતો.બસ,અમનને જવાબમાં માત્ર એટલુ કહી શક્યો કે એ તો સમય કહેશે
આ બાજુ આરાધનાને અનંતને રોકવો હતો અને તેને રોકીને પૂછવા માંગતી હતી કે, અમને તેના કાનમાં એવુ તે શું કહ્યું જેનાથી તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો? જે સાંભળી તેના ચહેરાના ભાવ અચાનક શૂન્ય થઈ ગયા હતા.
અમન, તે અનંતને કાનમાં એવુ તે શું કહ્યુ કે? અનંતનો ચહેરો આમ અચાનક ઉદાસ થઈ ગયો અને આ સમયની શું વાત થતી હતી.આમ, મને એક પણ શબ્દ બોલ્યા વગર અહીં થી ચાલ્યો ગયો.આરાધનાએ અમનને હળવેથી પુછ્યુ.
અરે,મે એને એના કાનમાં માત્ર સાચું જ કહ્યુ છે.આમ, પણ મે અનંત વિશે તારા જ મોઢેથી એવુ સાંભળ્યુ છે કે અનંત ને ખોટુ બોલનાર લોકો પસંદ નથી. તો ...બસ મે એને સત્ય જ કહ્યુ છે.અને હા, આરાધના તને હજુ એક આજનુ સત્ય કહુ આ ગુલાબી રંગના તે પહેરેલા ચોલી અને તારો આ શ્યામ વર્ણ બન્ને એક બીજાને ખૂબ સરસ કોમ્પ્લીમેન્ટ કરી રહ્યા છો.અમને જવાબ આપ્યો.
આરાધના સમજી ન શકી કે અમન તેને કોમ્પ્લીમેન્ટ આપી રહ્યો છે કે તેને ટોંટ સાથે સંભળાવી રહ્યો છે, પરંતુ આજ આરાધનાને અમન માંથી થોડી અભિમાનની ગંધ આવી. પરંતુ આરાધના આંખ પર અમનના મોહ ની એવી પટ્ટી બંધાયેલી હતી કે તેને અમન વિશે વધારે કંઈ નકારાત્મક વિચાર જ આવતા નહી.
છતા, આરાધનાના મનમાં ધણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા,તેને જણાવવુ હતુ કે અમન અને અનંત બન્ને એકબીજાને દુશ્મન નહી પણ દોસ્ત સમજે. પણ આપણે દરેક વખતે જેવુ મનમાં ધારીને ચાલતા હોય તેવુ જ આપણી સાથે ધટે એવુ બનતું નથી.બસ, આરાધના સાથે પણ એવુ જ થયું.અત્યારે તો અમન અને અનંતના નજરના અને કહી શકાય કે દ્રષ્ટિકોણના તીર છુટી ચુક્યા હતા.આરાધના એકલી કદાચ લાખ કોશીશ કરી લે પણ કોઈનો દ્રષ્ટિકોણ બદલવો એ કોઈ જંગ લડવા કરતા પણ વધારે મુશ્કેલ હોય છે.અને એ જંગ દરેક સ્ત્રીએ તેના પૂરા જીવનકાળ દરમિયાન પોતપોતાની જગ્યાએ લડવી જ પડતી હોય છે.આરાધના તો એક શ્યામ વર્ણ છોકરી અને પાછી પોતાને દરવખતે સમાજ અને સમાજના લોકો સામે સાબિત કરવા મથતી કે ચામડીના રંગ મહત્વ આપતો સમાજ આંતરિક સૌંદર્યને જોવાની આંખ ક્યારે કેળવશે.આ બધી બાબતો સામે લડતા લડતા અને સામાજિક સાયુજ્ય સાથે થોડા સમય પહેલા જ તેની સગાઈ અમન સાથે થઈ હતી, માટે આરાધના તેની ઈચ્છા હોવા છતાં તે તેના મંગેતરને એકલો છોડી અનંતને રોકી શકી નહીં.આરાધના અત્યારે પોતાની જાતને એક અજીબ જ જાળમાં ફસાયેલી અનુભવી રહી હતી.જાણે તેના પગને કોઈએ મજબૂરીના મજબૂત દોરડાથી બાંધી દીધા હોય,
અનંત જ્યારે આરાધના પાસેથી ચહેરા પરના શૂન્યભાવ સાથે નીકળે છે ત્યારે બન્ને વચ્ચે મિત્રતા, સ્નેહનુ માત્ર મૌન હતુ જે બન્નેની આંખો જ સમજતી હતી.
અનંતની અમન સાથેની આ એક મુલાકાત બાદ અનંત સડસડાટ ત્યાંથી નિકળી જાય છે.આરાધના ઉભા ઉભા અનંતને જતો જોઈ રહી હતી.
થોડા સમયબાદ કોઈ બહાનુ શોધી આરાધના અમનથી દુર જઈ પાગલની જેમ તેના દોસ્ત અનંત ને શોધવા લાગે છે. પણ અનંત આરાધનાને ક્યાંય મળતો નથી. આરાધના મોબાઈલ માંથી અનંતને ઘણા કોલ્સ પણ કરે છે, પરંતુ...No Reply
શું આરાધના અનંતને આટલી ભીડ વચ્ચે શોધી શકશે?ક્યાં જતો રહ્યો અનંત? અનંત આરાધનાથી કેમ દૂરી બનાવી રહ્યો હતો? અને સૌથી ?મહત્વનુ અમને અનંતને એવુ તે શું કહ્યુ કાનમાં કે અનંત તે વાત સાંભળતા જ અહીંથી જતો રહ્યો? સમય તો તેનુ કામ કરતો જ હોય છે. શું વળાંક લે છે અમન , અનંત અને શ્યામ રંગ આરાધનાનુ આ જીવન. જાણવા માટે વાંચતા રહો શ્યામ રંગ...લગ્ન ભંગ...25