Hasya Manjan - 34 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 34 - તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 34 - તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે..

 

                                  હોળી દિવાળીમાં ફેરવાય, કે કાળી ચૌદશ ઉપર શરદ પૂર્ણીમાની ચઢાઈ થાય, ધંતુરાઓને કોઈ ફરક નહિ પડે. વસંત ઋતુમાં પણ મરશિયા ગાય એવા..! અમુક તો એવા રીઢા કે,  સંસ્કૃતિના ચોપડા ચાવી જાય તો પણ, જ્ઞાનની ફૂટ નહિ ફૂટે..!  બંધ ઓરડામાં ગોંધી, મોરારી બાપુની અત્યાર સુધીની બધી રામ કથા સંભળાવો તો પણ,  રાક્ષસમાંથી સાક્ષર નહિ થાય. દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉજાસનું પર્વ, ઉલ્લાસનું પર્વ, એમને અંધારી આલમ જ ફાવે. દિવાળી હોય, ધન તેરસ હોય કે બેસતું વર્ષ હોય, કારણ વગરનો રૂઆબ છાંટીને બગડેલા ટામેટા જેવો લાલઘુમ થઈને નહિ ફરે ત્યાં સુધી ફીલિંગ નહિ આવે.  ‘હમ નહિ સુધરેંગે..!  દિવાળીમાં દેવું કરીને પણ લોકો ઠનઠનપાલ થાય, ત્યારે આ લોકોને, આગજની એ જ આતશબાજી..! ક્યાં તો મરવું, મારવું કે કોઈના બુચ મારીને ઝીંગાલાલા થવું..! શીતળા સાતમ હોય કે, શરદ પૂર્ણીમા, ધંતુરાને બંને સરખા..! બોળેલું વૈઢું પણ સરખું ને, ચંદી પડવાની ઘારી પણ સરખી..! બદામ પિસ્તાની ઘારી સાથે પણ પાણીચું નહિ ચાવે ત્યાં સુધી ટાઢક નહિ વળે.!

                             શીઈઈઈટ..! દિવાળીના સપરમાં તહેવારોમાં હું પણ ક્યાં કુંડળી કાઢવા બેઠો ? એક વાત ભીંત ઉપર લખી રાખવાની કે, પંચાગમાં ભલે ને દિવાળી હોય, પણ ઘરમાં ઘરવાળી હોય તો જ દિવાળી ઝામે..! દિવાળી અને ઘરવાળી વચ્ચે આસોપાલવ અને આંબાના પાન જેટલો જ તફાવત..! દિવાળી ભૂલ્યા એક વગર દર વર્ષે દર્શન આપે.  ઘરવાળી નું નક્કી નહિ, સ્પ્રિંગ છટકી તો બેચાર દિવાળી સુધી સાસરેના ઉંબર જોવા પણ  નહિ આવે..! છુટાછેડાની નોટીશ જ આવે..! દિવાળી કરતાં ઘરવાળી ઘણી અઘરી મામૂ..! આવું બનતું નથી પણ આ તો એક વાત..! ચમનિયાની જ વાત કરું તો, દિવાળી કરતાં ચમનીયાએ ઘરવાળીને બહુ સાચવી છે. એક તો માંડ-માંડ મળેલી. ચાલી ગઈ તો દિવાળીએ ઘૂઘરા ખાવાને બદલે, ‘વગાડવા’ ના વધારે આવે..! બીજો problem એ કે, વાઈફ એટલે એની વિઘ્નહર્તા. ચમનીયાનું આખું વર્ષ તો રેશમી મલમલ જેવું જાય. પણ  દિવાળી આવે ને, દીવા હોલવાવા માંડે, ને  ફોડચી મગજમાં ફૂંક મારવા માંડે. કારણ કે, સાલમુબારક કરવાવાળા કરતાં ઉઘરાણીવાળા વધારે આવે..! પણ ચંચી એટલી ચંચળ કે, ધણીને આંચ નહિ આવવા દે. એના માટે દિવાળી કરતાં ઘરવાળી વધારે શુકનિયાળ..!  એના કપાળમાં કાંદા ફોડું, સારા પતિ મળે એ માટે કુંવારીકાઓ, આડા-ઉભા-સાકરિયા સોમવાર કરતી હોય, ત્યારે ચમનીયાના કિસ્સામાં ઊંધું..! પોતે જ સોમવારો કરેલા હોય એમ, ફાવટવાળી ઘરવાળી મળેલી. બાકી દિવાળી આવે ને ચમનીયાનું મગજ ફાટ ફાટ થવા માંડે. લોકોને વિશ્વ સુંદરીના સ્વપ્ના દેખાય, ત્યારે ચમનીયાને લેણદારો દેખાય..!  લેણદારો ભેગા મળીને પથારી ઉપર ભાંગડા કરતાં હોય એવું લાગે..!

                          પંચાગમાં આમતો દિવસ અને રાતના બે જ પ્રકારના ચોઘડિયા હોય. પણ ચમનીના દિવાળીના ચોઘડિયા અલગ..! સારા ચોઘડિયા પણ નઠારા બની જાય, ને ખરાબ ચોઘડિયાઓ ચમનીયાના ઓટલે પડાવ નાંખીને પ્રેતનાચ કરતા હોય..! બોસ લેંઘીમાં ખિસ્સા કેટલા છે એ મહત્વનું નથી, પણ ખિસ્સામાં માલ કેટલો ભરેલો છે એ મહત્વનું છે. ચમનીયો ખિસ્સા તો સંખ્યાબંધ રાખે, ધોતિયામાં પણ ખિસ્સા મુકાવે..! પણ બધા ખિસ્સા ખાલ્લી..! ભાડુઆત વગરના ખંડેર મકાન જેવા..! ખિસ્સા ઊંચકવાનો પણ ભાર લાગે..! ખિસ્સા ભરેલા હોય તો કાળી ચૌદશ પણ રૂપાળી લાગે. આ તો ધન તેરસના દિવસે જ  બેડરૂમમાં હિપોપોટેમસ ઘુસી ગયો હોય એવું લાગે.  હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે માતા લક્ષ્મીજીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી કહેવામાં આવી છે. પણ દિવાળી આવે ને માતાજી મોંઢું ફેરવી લે. ચમનીયાનું ‘બ્લડ પ્રેસર’ ધનતેરસથી ઊંચું-નીચું થઈને ડિસ્કો કરવા માંડે.

                          કસ્સમથી કહું કે, સામી દિવાળીએ ડરામણી કે ગભરામણી વાત તો  મારે ના કરવી જોઈએ, કારણ કોઈની દિવાળી નહિ બગડે એમાં પણ આપણી દિવાળી હોય છે ..! પણ દિવાળીમાં ગલગલીયા કરાવવા હોય તો, નેતાના ભાષણ જેવી છાંટ તો નાંખવી પડે દાદૂ..! દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે, પણ મલકાટ ઓછો ના થવો જોઈએ..! અમને પણ હસાવવાની ખંજવાળ આવતી હોય તો મૂંગામંતર થઈને બેસી થોડું રહેવાય..? સૌના ગાલ ગલગોટા જેવા લાલ રાખીએ તો દિવાળીને પણ એમ થાય કે, આ લોકો ખાલી ખીસ્સે પણ મારો મલાજો જાળવે છે..! તંઈઈઈઈ..!

                      બાકી સમુદ્ર શાસ્ત્રમાં તો કહ્યું છે કે, પુરુષને ડાબી હથેળીમાં ખંજવાળ આવે, તો માનવું કે લક્ષ્મી નારાજ છે, અને સ્ત્રીને જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો માનવું કે, ધનલાભ થવાની સંભવના છે. પણ ચમનીયા માટે જેવા દિવાળીના દિવસો શરુ થાય એટલે, એક બાજુ ડાબા હાથની હથેળીમાં ખંજવાળવાના ખેલ ચાલે ને, બીજી બાજુ માળિયા સાફ કરવાની ડયુટી લાગી જાય..! દાદર ચઢ ઉતર કરવામાં જ વાઘબારસનો વાઘ ‘ઉંદરડો’ બની જાય..! એટલે તો ખલીલ ધનતેજવી સાહેબે લખવું પડે  કે...  

                           અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
                           તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

                               લાસ્ટ બોલ

આ ફટકડી ફટાકડાની સાળી થાય કે?

ના કેમ ? ગમી ગઈ હોય તો વાત નાંખુ..? જરાક તો સુધર...!

તારા કપાળમાં કાંડા ફોડું..!

------------------------------------------------------------------------------------------------