RJ Shailaja - 13 - Last Part in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 13 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

R.j. શૈલજા - 13 - છેલ્લો ભાગ

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૧૩ : યુ ટર્ન..!

વાત એમ છે કે, એક બિઝનેસ ટુર પર તારા પપ્પા કિશોર ભાઈને ૧૨ વર્ષ પેહલા દિલ્હી જવાનું થયું.

દિલ્હીની ઓફિસમાં કામ કરતી કિશોર ભાઈની એક જુનિયર એમ્પ્લોઇ એટલે કે નેહા સાથે તેમનું અફેર શરૂ થયું.

કિશોર ભાઈ તો ટૂર પરથી પાછા ફર્યા પણ તેમના અફેરનું બીજ મુકાઈ ચૂક્યું હતું. નેહા પ્રેગનેન્ટ હતી. કિશોર ભાઈને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો તેમણે નેહાને અબોર્શન કરવાની સલાહ આપી. પણ નેહાની માતૃત્વની ઝંખના એ તેને આ પગલું લેતા અટકાવ્યું. નેહાના માતા પિતા હયાત ન હતા, એકલી જ રહેતી હતી. તેણે સિંગલ મધર તરીકે પોતાના બાળકને મોટું કરવાનો નિર્ણય લઈ લીધો હતો. ૯ મહિનાના અંતે એક ફૂલ જેવી ખુશી આ દુનિયામાં આવી. ડિલિવરી બાદ નેહાએ ખુશી ની ખુશખબરી કિશોર ભાઈને આપી.

તેણે તો બિચારી એ વચન પણ આપેલું કે ખુશીની વાત, અરે તેનો પડછાયો સુધ્ધાં કિશોર ભાઈના કુટુંબ પર નહી પડે.

પણ કિશોર ભાઈને ખબર હતી કે ક્યારેક ને ક્યારેક ખુશી મોટી થઈને રાધિકા બહેન અને શૈલજા તારી સામે આવશે તો ખરી જ.

હવે આગળ ની વાત તમે કહેશો કે હું કહું કિશોર ભાઈ?

તેજ એ પોતાની વાત ને આગળ વધારવા કિશોર ભાઈની સામે જોઈને કહ્યું.

ખુશી ના જન્મ પછી એક લાગણીભર્યો સંબંધ તેની સાથે મારો બંધાઈ ગયો હતી. મીટીંગના બહાને હું દર મહિને નેહા અને ખુશીને મળવા જતો. જેમ જેમ ખુશી મોટી થતી હતી તેમ તેમ મારો ડર પણ વધી રહ્યો હતો. હું કોઈને દુઃખી કરવા માંગતો ન હતો, પણ ઈશ્વર ને કઈક અલગ જ મંજૂર હતું. ખુશી ૨ વર્ષ ની હતી ત્યારે એક અકસ્માત માં નેહા ને મે ગુમાવી દીધી. નાનકડી ખુશી ને હું આપણાં ઘરે કયા સંબંધે લાવું એ મને સમજાતું ન હતું. તારી મમ્મી રાધિકાની સ્કૂલ પાસે આવેલા અનાથાલયનો ટ્રસ્ટી મારો મિત્ર હતો એટલે એક દિવસ હું ખુશીને ત્યાં મૂકી આવ્યો.

ટ્રસ્ટી મારો આ રાઝ જાણતો હતો. દર મહિને હું ખુશી માટે નવા કપડાં , રમકડાં અને અમુક રોકડ રકમ ટ્રસ્ટીને મોકલાવતો.

એ અનાથાલયમાં રાધિકા બાળકોને ભણાવવા જતી હતી. ફૂલ જેવી દીકરી ખુશીને જોતા રાધિકાને ઘણું વ્હાલ ઉમડતું. કેટલીય વાર હું પણ રાધિકા જોડે ત્યાં અનાથાલયમાં જતો. રાધિકા બધા બાળકોની પ્રિય શિક્ષક હતી, પણ ખુશીને રાધિકા જોડે અલગ જ લગાવ હતો.

એક દિવસ રાધિકા એ મને ખુશીને દત્તક લેવાની વાત કરી. મને એમ હતું કે ઈશ્વર મારા પર મહેરબાન થયો, જાણે કે મારા જીવનના બધા જ પ્રશ્નો એકસાથે ઉકલી ગયા, પણ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું.

તારો રેડિયો પર શો હતો તેના થોડાક અઠવાડિયા પેહલા જ ખુશી ક્યાંક ગાયબ થઈ ગઈ.

મે અને રાધિકાએ અનાથાલયના ટ્રસ્ટીને મળીને તપાસ કરવા જણાવ્યું પણ એણે વાત પર ધ્યાન જ ના આપ્યું.

મને મારી રીતે તપાસ કરતા માલુમ પડ્યું કે અનાથાલયનો વોર્ડન માસૂમ છોકરીઓને ડ્રગ્સની લત કરાવતો અને મોંઘા ભાવે છોકરીઓને વિદેશમાં દેહવ્યાપાર માટે વેચી દેતો હતો. અને આ બધું જ ચાલતું હતું એ અનાથાલયના ટ્રસ્ટી એટલે કે મારા મિત્રની પરવાનગીથી.

મને તેના માટે નફરત થઈ ગઈ, ગુસ્સો પણ આવ્યો.

મે તેને જઈને ધમકી આપી કે જો ખુશી મને સોંપશે નહી તો તેના આ ગોરખ ધંધા ની ખબર હું પોલીસ સુધી પોહચાડીશ.

જે દિવસે તારો શો હતો શૈલજા ત્યારે અનાથાલાયમાંથી ટ્રસ્ટી નો ફોન મારા પર આવ્યો કે,

તમે પોલીસ ને કઈ કેહતા નહી, તમારી ખુશી અમે તમને સોંપી દઈએ છીએ.

હું ભાગતો ત્યાં પોહચ્યો.

ત્યાં પોહચીને જોયું તો ખ્યાલ આવ્યો કે તેમણે ખુશીની વાસ્તવિકતા મારી પત્ની રાધિકાને પેહલા જ જણાવી દીધી હતી.

રાધિકા ને સ્કૂલમાંથી ચુંટણીના કામથી જે ફોન આવેલો તે આ ટ્રસ્ટી એ જ કરેલો.

મે છુપાવેલું ખુશીનું રાઝ રાધિકા જાણી ગઇ હતી.

રાધિકાથી આ આઘાત સહન ના થયો,

હું કઈ પણ સમજાવું તે પેહલા એ ત્યાંથી નીકળી ગઈ, ઘરે પોહચીને ગળા ફાંસો ખાઈ લીધો અને તેનું કારણ રૂપે મારું નામ લખ્યું. બદનામીના ડરથી ખુશીની વાત અને તે અનાથાલાયના ગોરખ ધંધાની વાત મે પોલીસ થી છૂપાવી.

હું ખુશી રાધિકા અને નેહા ને ખોઈ ચૂક્યો હતો, હવે તને ખોવા નતો માંગતો હું શૈલજા, તને ખોવા હું નતો માંગતો.

ધ્રુસકે ધ્રુસકે રડતા કિશોર ભાઈ બોલ્યા.

બિચારી ખુશીને ડ્રગ્સનો ઓવેરડોસ આપ્યો અને પછી પેલા દાતરડાથી માથામાં વાર કરીને તેને સ્કૂલની પાછળ જ અનાથાલાયના વોર્ડન એ દફનાવી દીધી હતી.

તેજ એ દુઃખ સાથે કહ્યું.

દીકરી મને માફ કરી દેજે.

ઈશ્વરે મને મારા ગુના ની સજા આપી દીધી છે,

તારી મમ્મી, નેહા , ખુશી આ બધા જ રોજ રાત્રે મારા સપનામાં આવે છે,

અપરાધભાવનો આ બોજ મારા થી સહન નતો થઈ શકતો, આજે કેટલા વર્ષે હું સાચું બોલ્યો છું. તું મને છોડીને ના જતી દીકરી..

મોટે મોટે થી રડતા કિશોર ભાઈ બોલ્યા.

શૈલજા માટે આ બધી જ વાત સમજવી અને સ્વીકારવી ઘણી અઘરી હતી. તેની સામે એ વ્યક્તિ બેઠો હતો જે તેની મમ્મી રાધિકાના આત્મહત્યાનું એકમાત્ર કારણ હતો, જેને તે કેટલાય વર્ષોથી શોધી રહી હતી. આજે તેને એ અપરાધી મળી ગયો હતો પણ દુઃખ ની વાત એ હતી કે તે તેનો પોતાનો બાપ જ હતો.

કિશોર ભાઈ રડતા રડતા અચાનક ખુરશી પર જ ઢળી પડે છે.

શૈલજા હજી પણ સ્તબ્ધ બનીને ઊભી હતી.

કિશોર ભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

વ્યક્તિ જ્યારે વધારે લાગણીશીલ થઈ જાય તો ચક્કર આવવા ઘણું સ્વાભાવિક છે, અત્યારે તેઓ એકદમ સ્વસ્થ છે. તમે એમને મળી શકો છો.

ડૉક્ટર એ તેજ અને શૈલજાની સામે જોઇને કહ્યું.

શૈલજા તારે કિશોર ભાઈને મળવું જોઈએ. એમને એમના ગુનાની ઘણી મોટી સજા ઇશ્વરે આપી દીધી છે. તું એમનો છેલ્લો સહારો છે, જો તું મોઢું ફેરવું લઈશ તો કિશોર ભાઈ જીવી નહી શકે.

તેજ એ શૈલજા ને જોતા કહ્યું.

તેટલામાં સમીર પણ ત્યાં પોહચી જાય છે.

શૈલજા મને બધી જ વાત ની માહિતી મળી. તેજ એ મને બધું જ જણાવ્યું. હું તારા મનની પરિસ્થતિ સમજી શકું છું, મારી એક જ ઈચ્છા હતી કે તારા મમ્મી રાધિકા બહેનની આત્મહત્યાનું કારણ બહાર આવે. એક મિત્ર તરીકે હંમેશા હું તારી સાથે જ છું. અને વિનંતી છે તારા પપ્પા કિશોર ભાઈને માફ કરી દેજે.

આટલું કહી સમીર કિશોર ભાઈને મળવા માટે જાય છે.

હું સમજી શકું છું શૈલજા, સ્વીકારવું અઘરું છે. થોડોક સમય આપી દે બધી જ વસ્તુઓમાં રૂજ આવી જશે.

શૈલજા ને પોતાની બાહોમાં લઈને તેજ બોલ્યો.

હું મારા પપ્પા ને છોડીને જઈ નહી શકું, તમારી બધાની વાત સાચી છે, મારે એમને માફ કરી દેવા જોઈએ.

શૈલજા આટલું બોલીને કિશોર ભાઈને મળવા જાય છે.

શૈલજા ને જોતા જ કિશોર ભાઈ પોતાના પલંગ પરથી નીચે ઉતરીને શૈલજાના પગ પકડી લે છે,

બેટા મને માફ કરી દે,

હું જાણું છું કે મારી ભૂલો માફ કરવા લાયક નથી,

પણ તું માફ નહિ કરે તો હું જીવી નહી શકું

રડતા રડતા કિશોર ભાઈ બોલ્યા.

પપ્પા, તમે ઊભા થઈ જાઓ. મારા પગ પકડીને મને પાપમાં કેમ નાખો છો? તમારી એક ભૂલ એ કેટલી બધી જીંદગી બરબાદ કરી, પણ તમે એની સજા ભોગવી ચૂક્યા છો અને કદાચ છેલ્લા શ્વાસ સુધી આ અપરાધ ભાવ તમારો પીછો નહી છોડી શકે. પણ હું તમને ક્યારેય એકલા નહિ મૂકી શકું. હંમેશા તમારી પડખે ઊભી રહીશ.

કિશોર ભાઈનું મન થોડું શાંત થાય છે.

બીજા દિવસે સવારે,

માર્તક દેવ બાબાના આશ્રમમાંથી તેમના અનુયાયીઓ શૈલજ ના ઘરે પોહચે છે અને શૈલજા ને કહે છે,

તમારે જલ્દી થી આશ્રમ આવું પડશે.

શૈલજા ને સવારે અચાનક આ રીતે બોલાવવાનું કારણ સમજાતું નથી. પણ તેના જીવનના બધા જ સવાલો ના જવાબ શોધનાર બાબા માટે તેને પરમ શ્રધ્ધા બંધાઈ ચૂકી હોય છે, તે કોઈ પણ સવાલ પૂછ્યા વિના આશ્રમ પોહચી જાય છે.

આશ્રમમાં આજે વધારે જ ભીડ ભર્યું વાતાવરણ છે, એક ગમગીનીનો માહોલ છે.

ત્યાં હાજર મોટા મોટા નેતાઓ, આશ્રમના અનુયાયીઓ શૈલજાને જોતા જ પોતાના ૨ હાથ જોડે છે, ઘણા શૈલજાને પગે લાગવા આવે છે.

બધા જ મોટા માણસો નતમસ્તક બનીને શૈલજા સામે ઊભા હોય છે.

શૈલજાને કશું સમજાતું નથી.

ધીરે ધીરે ચાલતા શૈલજાના પગ અચાનક અટકી જાય છે. તેના ચેહરા પર ચિંતા અને ગભરાટના ભાવ ઉભરી આવે છે.

તેની સામે માર્તક દેવ બાબાનો પાર્થિવ દેહ પડ્યો છે.

ગઈ રાત્રે જ તેવો સ્વર્ગ સીધાર્યા છે, અને આ આશ્રમની સર્વ સત્તા અને તેમની ગાદી તમને સોંપીને ગયા છે.

બાબાના અંગત અનુયાયીએ શૈલજાની પાસે આવીને કહ્યું.

શૈલજાને બધું સમજ ની બહાર જાય છે.

આટલી મોટી જવાબદારી મારા માથે? શા માટે?

શૈલજા બોખલાઈ જાય છે.

આ પત્રમાં તમારાં માટે સંદેશ લખીને ગયા છે.

શૈલજાના હાથમાં એક પત્ર મૂકીને અનુયાયીએ કહ્યું.

શૈલજાએ પત્ર વાંચવાનું શરૂ કર્યું,

બેટા, આશા રાખું છું કે તને તારા બધા જ સવાલોના જવાબ મળી ગયા હશે. મે તને કીધું હતું ને કે દરેક શકિતનો ઉપયોગ એક મોટી કિંમત માંગે છે. જેમ આપણા મનુષ્યો ની એક દુનિયા છે, આત્માની પણ તેવી જ એક દુનિયા છે. એકબીજાની દુનિયામાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. મે એ નિયમ તોડ્યો તો એની સજા મારે જીવ આપીને ચૂકવવી પડી અને તારે એ સજા ચૂકવવી પડશે એ દુઃખ સાથે કે તારા પપ્પા જ તારી મમ્મી રાધિકાની આત્મહત્યા નું કારણ હતા.

દરેક વ્યક્તિ દેવ પણ છે અને દાનવ પણ, આપણે તેનામાં શું જોઈએ છીએ તેના પર જ આ સમાજ નો આધાર છે. આશ્રમની જવાબદારી અને કઠોર તપથી સિદ્ધ કરેલી મારી શક્તિઓ તને આપું છું.

જ્યારે પણ મદદ ની જરુર પડે ફક્ત મારું સ્મરણ કરજે તને મારો અનુભવ થઈ જશે.

શૈલજા ક્યાંય સુધી પત્ર અને માર્તક દેવના નશ્વર દેહને જોઈ રહી.

દેવી, તમારે અગ્નિદાહની વિધિ પૂર્ણ કરવી પડશે, આ હક ફક્ત તમારો જ છે.

એક અનુયાયી શૈલજાની પાસે આવીને કહ્યું.

માર્તક દેવ બાબા ને મુખાગ્નિ આપ્યા બાદ શૈલજા ત્યાં ઊભા ઊભા વિચારી રહી હતી.

છેલ્લા કેટલાય દિવસોમાં તેની સાથે બનેલી ઘટનાઓ એક પછી એક તેની આંખોની સામેથી પસાર થવા લાગી.

તેનું ધ્યાન અગ્નિની જ્વાળા માં હતું, અચાનક તેને અલગ અલગ આવજો સંભળાવા લાગ્યા, અનેક ચેહરાઓ દેખાવા લાગ્યા. આત્માઓને જોવાની, તેમને સાંભળવાની, તેમને અનુભવ કરવાની સિદ્ધિ માર્તક દેવ એ શૈલજા ને આપી હતી.

જીવના કલ્યાણ માટેની એક રોશની શૈલજાની આંખોમાં પ્રજ્વલિત થઈ અને “રેડિયો જોકી” તરીકેના શૈલજા ના જીવન નો અધ્યાય પૂર્ણ થયો અને “દેવી” તરીકેના એક નવા અધ્યાય ની શરૂઆત થાય છે.

સંપૂર્ણ..!


જો તમને નવલકથા ગમી હોય તો ફિડબેક ચોક્કસથી આપજો.

udavatherat93@gmail.com

મારા ઇમેઇલ આઇડી પર તમે પ્રતિક્રિયા આપો શકો છો.


આભાર

©All rights of this content belongs to the original author of (Dr. Herat Udavat) this book. Copying or publishing of this content without the author’s permission is not permitted.