જાણો આ વખતે ક્યારે છે પવિત્ર મહાશિવરાત્રિ, ભોલેનાથની પૂજાનું ક્યારે છે શુભ મુહૂર્ત
હિન્દુધર્મમાં પ્રમુખ તહેવારોમાં મહાશિવરાત્રિ એક ખાસ તહેવાર છે. સોમવારનો દિવસ ભોલેનાથની પૂજા અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખરા દિલથી શિવજીની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ દુ:ખ દર્દ દૂર થાય છે. મહા અને શ્રાવણ માસ ખાસ છે કેમકે આ બે મહિનામાં ખાસ શિવજીની પૂજાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિએ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરી શુક્રવારે ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રિનું મહત્વ
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
મહાશિવરાત્રિનું શુભ મુહૂર્ત
21 તારીખે સાંજે 5 કલાક અને 20 મિનિટ અને 22 ફેબ્રુઆરી શનિવાર સાંજે સાત કલાક 2 મિનિટ સુધી રહેશે.
શિવરાત્રિની પૂજા વિધિ
શિવરાત્રિએ ભગવાન શિવજીને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. કેસરથી તિલક કરવું જોઈએ. આખી રાત અખંડ જ્યોત જલે તે રીતે દિપ પ્રગટાવવો જોઈએ. ચંદન લગાવવું જોઈએ.
બીલ્વપત્ર, ભાંગ ધતુરો, તુલસી, જાયફળ, કમળકાકડી, સોપારી, કેસર ધરાવી સુખડીનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. પૂજામાં સોડસોપચાર ચડાવી ॐ નમ: શિવાય, ॐ નમો ભગવતે રૂદ્રાય મંત્રનો જાપ કરવો જોઈએ.