One Of The Main Festivals Of Punjab Lohri's Importance And Reason
પંજાબનો પ્રખ્યાત તહેવાર લોહરી આવતીકાલે, તેનું ખાસ મહત્વ ને કારણ
દેશના જુદા-જુદા ભાગોમાં મકર સંક્રાતિનો તહેવાર વિવિધ રૂપ અને રીતિ રિવાજો સાથે ઉજવવામાં આવે છે. પંજાબ અને જમ્મૂ-કાશ્મીર વગેરે રાજ્યોમાં આ તહેવાર લોહરીના રૂપમાં ઉજવવામાં આવે છે. લોહરીનો તહેવાર મકર સંક્રાતિથી એક દિવસ અગાઉ ઉજવવાની પરંપરા છે. આ વખતે લોહરી 13 જાન્યુઆરી,સોમવારે છે. લોહરી સંગીત-નૃત્ય, એક બીજા સાથે મુલાકાત કરવાનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે.
લોહરી ઉજવવાની રીત
મકર સંક્રાતિના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત બાદ ઘરોની બહાર મોટા મોટા અલાવ (આગનું તાપણુ) સળગાવવામાં આવે છે. જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં સળગતા અલાવ બહુ જ સારો અનુભવ કરાવે છે. મહિલાઓ અને પુરષો સજીધજીને અલાવની ચારેબાજુ ભેગા થાય છે અને ભાંગરા નૃત્ય કરે છે. આ તહેવારના પ્રમુખ દેવતા અગ્નિદેવ છે એટલે ચેવડો, તલ, માવો, ગજક, ગોળ, ચીકી વગેરેની આહુતિ પણ અલાવમાં ચઢાવવામાં આવે છે.
નગારાંઓની તાલમાં ભાંગરા નૃત્ય મોડી રાત સુધી ચાલે છે. ત્યારબાદ બધાં એક બીજાને લોહરીની શુભેચ્છાઓ પાઠવે છે અને ભેંટ આપે છે. સાથે જ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે, પ્રસાદમાં પાંચ મુખ્ય વસ્તુઓ હોય છે તલ, ગજક, ગોળ, મગફળી અને મકાઈના દાણા. આધુનિક સમયમાં લોહરીના તહેવારમાં લોકો પોતાની વ્યસ્તતાથી સમય કાઢી ઘરથી બહાર આવે છે, એક બીજા સાથે મળીને પોતાના સુખ-દુઃખ વહેંચે છે, નાચ ગાન કરે છે અને ખુશીઓ મનાવે છે, આ જ આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય પણ છે.
લોહરીની કથા
દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો, કંસે બાળકૃષ્ણને મારવાના કેટલાક પ્રયાસ કર્યા હતાં. એક વાર જ્યારે બધા જ મકર સંક્રાતિનો તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે કંસે બાલકૃષ્ણને મારવા લોહિતા નામની રાક્ષસીને ગોકુળ મોકલી, બાલકૃષ્ણએ રમતાં રમતાં જ તેનો વધ કર્યો હતો.
આ જ ઘટનાની સ્મૃતિમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. લોહિતા નામક રાક્ષસીના નામ પર જ લોહરી તહેવારનું નામ પડયુ હતું. સિંધી સમાજમાં પણ મકર સંક્રાતિથી એક દિવસ અગાઉ ‘લાલ લોહી’ના રૂપમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.
લોહરીની રસપ્રદ વાતો
હોળીની જેમ જ લોહરીની સાંજે લાકડાઓ ભેગા કરીને સળગાવવામાં આવે છે અને તલ દ્વારા અગ્નિપૂજા કરવામાં આવે છે. આ તહેવારની રસપ્રદ વાત એ છે કે બાળકો ભેગાં થઈ ઘરે ઘરે જઈને લાકડાઓ ભેગા કરે છે અને લોહરીના ગીત ગાય છે. આ ગીતો પૈકી એક ગીત બહુ જ પ્રખ્યાત છે:
સુંદર મુંદરિએ ...હો
તેરા કૈન બેચારા, ...હો
દુલ્લા ભટ્ટી વાલા, ...હો
દુલ્લે ધી બ્યાહી, ...હો
સેર શક્કર આઈ, ...હો
કુડી દે બોઝે પાઈ, ...હો
કુડી દા લાલ પટારા, ...હો
જૂની કથા અનુસાર એક બ્રાહમ્ણની કુંવારી પુત્રી હતી જે બહુ જ સુંદર હતી, ડાકુઓએ તેનું અપહરણ કરી લીધુ હતું. દુલ્લા ભટ્ટી એક મુસલમાન હતો તેણે આ છોકરીને ડાકુઓથી બચાવી તેના લગ્ન એક બ્રાહ્મણ યુવક સાથે કરાવ્યા હતાં. આ દુલ્લા ભટ્ટીની યાદ આજે પણ લોકોના દિલોમાં છે અને લોહરીના અવસર પર ગીત ગાઈને તેઓ દુલ્લા ભટ્ટીને યાદ કરે છે.