ઘરમાં કાંટાવાળા છોડ રાખવાથી મનમાં ચિંતા, શરીરમાં રોગ આવે
વૃક્ષ-શાસ્ત્ર
આપણાં શાસ્ત્રોમાં પણ વૃક્ષની મહત્તા અને ઉપયોગિતાનું વર્ણન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષો માટેની ખાસ દિશા અને કયું વૃક્ષ વાવવાથી શું શું લાભ થાય તે વિશે વિસ્તારે આપવામાં આવ્યું છે. વૃક્ષ દ્વારા આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં માણસને તાજો ઓક્સિજન પ્રાપ્ત થાય છે, સાથેસાથે તેનું ધાર્મિક મહત્ત્વ પણ એટલું જ છે.
પ્રભુને પણ વૃક્ષો ખૂબ પ્રિય છે. આપણે જાણીએ છીએ કે દરેક ભગવાનને પ્રિય એક ફૂલ તો હોય જ છે. તે ફુલ તેમને ચઢાવતાં સર્વ મનોકામના પૂર્ણ થતી હોય છે. આ વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, આજે આપણે વૃક્ષ સંબંધિત વાસ્તુને લગતી કેવીકેવી સાવધાની રાખવી જોઇએ તે વિશે વાત કરીએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો પીપળાના વૃક્ષને ઘરની પૂર્વ દિશામાં ઉગાડવામાં આવે તો ઘરમાંથી નિર્ધનતા દૂર થાય છે, તેમજ નાનાં બાળકોને કોઇ કારણે ડર લાગતો હોય તો તેનાથી દૂર થાય છે. જ્યારે લીંબુડીને ઘરની ઉત્તર દિશામાં ઉગાડવામાં આવે તો તેનાથી આંખને લગતાં કોઇપણ કષ્ટ દૂર થાય છે. ઘરની દક્ષિણ દિશા તરફ વડનું હોવું અશુભ ગણાય છે. ઘરના અગ્નિ ખૂણામાં પીપળાના વૃક્ષને ન ઉગાડવું, તેનાથી મૃત્યુદોષ થઇ શકે છે. ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય તુલસીનો છોડ ન ઉગાડવો.
શુભ વૃક્ષો પૂર્વ દિશામાં હોય તો પણ તમારા ઘરથી વૃક્ષો વચ્ચે થોડું અંતર હોવું જરૂરી છે, કેમ કે તેનો પડછાયો તમારા ઘર ઉપર સવારે ૬ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ન પડવો જોઇએ. સવારે જે સૂર્યપ્રકાશ ઘરમાં પડે તેને પડવા દેવો ખૂબ જરૂરી છે. આ સૂર્યપ્રકાશથી ઘરની આજુબાજુ ફરતી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે.
સવારે આવતાં સૂર્યપ્રકાશથી તે ઘરમાં સમૃદ્ધિ અને સુખશાંતિ આવતાં હોય છે, જો પૂર્વ દિશા તરફ ઉગાડેલાં વૃક્ષો તે પ્રકાશને અવરોધતાં હોય તો તે લાભ ઘરને નથી મળતો, આથી જ કહેવાય છે કે ઘરથી થોડા અંતરે આ વૃક્ષોનું વાવવાં જોઈએ.
કાંટાવાળાં વૃક્ષો ઘરમાં બને તેટલાં ઓછાં જ ઉગાડવાં. ખાસ કરીને કેકટસ જેવા ઘણા છોડ છે જેમાં માત્ર કાંટા જ હોય છે, તેમાં ફૂલ આવે તે પણ સાવ શોભાનાં જ હોય છે. આવા છોડ ઘરમાં ન ઉગાડવા જોઇએ. આવા છોડ ઘરમાં ઉગાડવાથી મનમાં ચિંતા અને શરીરમાં નકારાત્મકતા આવવા લાગે છે. ખાસ કરીને કેકટસને ઘરમાં ન જ રાખવું, કેમ કે તે સૌથી અશુભ ગણાય છે. તેના કારણે તબિયત ખરાબ થાય છે. ગુલાબનો છોડ ઘરમાં ઉગાડી શકાય છે, કેમ કે તે ભગવાનને ગમતું ફૂલ છે તેમજ તેમાં ફૂલ હોવાને કારણે તે કાંટાવાળો છોડ હોવા છતાં તેનાથી કોઇ નુકસાન નથી થતું.
જે છોડના પાનને કટ કરતાં તેમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળતું હોય તેવા છોડને પણ ઘરના બગીચામાં ન ઉગાડવો, કેમ કે તેનાથી ઘર ઉપર ધનને લગતી તકલીફમાં વધારો થાય છે.
જો ફળવાળા કોઈ વૃક્ષમાં ફળ આવતાં બંધ થઇ ગયાં હોય તો તેવા વૃક્ષને ઘરના બગીચામાં ન રાખવું, કેમ કે ફળ આપતાં બંધ થઇ ગયેલા વૃક્ષનો પડછાયો ઘર પર પડે તો અનેક વિપદા અને રોગોનો સામનો કરવો પડતો હોય છે.
વૃક્ષ ઉગાડતાં પહેલાં પણ અમુક ગ્રહો અને નક્ષત્ર જોઇને પછી જ તેને ઉગાડવું હિતાવહ રહેશે. શુક્લ પક્ષની આઠમથી લઇને કૃષ્ણ પક્ષની સાતમ સુધીનો સમય વૃક્ષો ઉગાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરેકે પોતાના ઘરમાં એક અશોક વૃક્ષ અને શમીનું વૃક્ષ અચૂક ઉગાડવું જોઈએ.