ગુરૂ બળવાન હોય તેને અન્ય કોઇ ગ્રહ નડી શકતા નથી
ગુરૂ જ્ઞાન, વિદ્વતા, ધર્મ, સાત્વિકતા અને ન્યાય ડહાપણ સમજદારી નિતિ- નિયમો, આદર્શ શિક્ષણ અને શુભતાનો કારક છે. ગુરૂ જીવનની શુભ ઘટનાઓનો પ્રતીક છે. ગુણ અને શીલનો દ્યોતક છે. ગુરૂ મહાનતા, ઔદાર્ય અને ઉદાત ભાવનાઓનો ગ્રહ છે. સૌભાગ્ય- ધન- સંપતિ- સંતતિ ભાગ્ય કર્મ અને લાભનો કારક છે.
ગુરૂ બળવાન હોય તો અન્ય કોઇ ગ્રહ નડી શકતો નથી. ગુરૂ પ્રધાન વ્યકિતમાં સારા ગુણો જોવા મળે છે. દુનિયાના સજ્જન માણસો અને સમજદાર વિદ્વાનો પર ગુરૂનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. જાણીતા ધર્મશાસ્ત્રીઓ, વિદ્વાનો, ન્યાયાધીશો, સેવકો, અધ્યાપકો અને ગણીત શાસ્ત્રીઓની કુંડળીમાં ગુરૂ બળવાન જોવા મળે છે. દુષ્ટો, અનિષ્ટો અને દુર્જનોથી આ ગુરૂપ્રધાન વ્યકિતઓ સમાજને બચાવે છે.
સંતો, વકતાઓ, કથાકારો, ઉપદેશકો પણ ગુરૂપ્રધાન હોય છે. પૂ. ડોંગરેજી મહારાજની કુંડળીમાં ગુરૂ કર્મસ્થાને જોતો હતો. તેમના દરેક કર્મો ઉદાત- મહાન- ધાર્મિક અને ઇશ્વરને સમર્પિત રહ્યા. સંતશ્રી મોરારી બાપુની કુંડળીમાં પણ ગુરૂ બળવાન છે. આમ સંતો, ગુરૂપ્રધાન જેવા મળે છે. આ વ્યક્તિઓ સમાજમાં વાતાવરણ શુદ્ધ અને સાત્વિક બનાવે છે. દુર્જનોના મહાન હૃદયના પરિવર્તન કરીને દુનિયાને જીવવા જેવી બનાવે છે.
ગુરૂ જો કેન્દ્રમાં ત્રિકોણ સ્થાને હોય તો બળવાન ગણાય છે અને ગુરૂ જાતકને શાંતિ, સંપતિવાન, ભાગ્યશાળી બનાવે છે. ભાગ્યેશનો ગુરૂ સાથે સંબંધ થયો હોય તો ઉત્તમ ભાગ્યનો યોગ થાય છે. ભાગ્યશાળી વ્યકિતઓની કુંડળીમાં ગુરૂ શુભ સ્થાને જોવા મળે છે. ભાગ્યબળે પૈસા મેળવનારા (લોટરી- શેર- જુગાર યા રેસકાર)ની કુંડળીમાં 5મા- 9માંનો સ્વામીઓનો સંબંધ ગુરૂ સાથે જોવા મળે છે.
લોજ (ભોજનાલય) અને રેસ્ટોરન્ટ (નાસ્તાગૃહો) ચલાવનારા ખાદ્ય ચીજ વસ્તુના ધંધાર્થીઓ, શરાફ (ધીરધાર કરનાર) વ્યાજવાળી ગેમ કરવાની અને પ્રોફેશનલોની કુંડળીમાં ગુરૂ કર્મ અને સાથે સંબંધમાં આવેલો હોય છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની કુંડળીમાં બુધ- ગુરૂનો સંબંધ જોવા મળતો હોય છે. શેરદલાલ અને અન્ય નાણાંકીય સંસ્થાઓને લગતા કામ કરનારાઓની કુંડળીમાં બુધ- ગુરૂનો સંબંધ જોવા મળે છે.
ગુરૂ લોકોને સેવા કરાવે છે. તેમના માન- આત્માને તૃપ્ત કરે. સુખી કરે એટલે એવી બધી લાઇનો કે જયાં સેવા- સુખ- કલ્યાણ કરવાની ભાવના કામ કરતી હોય તે ક્ષેત્ર ઉત્તમ ગણાય.
પહેલા સ્થાને ગુરૂ જાતિવાન, શિસ્તપાલક, ધાર્મિક, સદ્ગુણી, ઉગ્ર સિદ્ધાંતવાદી બને છે. એકંદરે જીવન સુખી જાય છે.
બીજા સ્થાને ગુરૂ જીવનમાં પૈસા સામાન્ય આપે છે. સુખી રાખે છે. જીવનમાં આર્થિક જીવન સરળ રાખે છે.
ત્રીજા સ્થાને ગુરૂ ભાગ્યવાન બનાવે છે, અનેક શુભકાર્યો કરાવે છે. આર્થિક રીતે સુખી કરાવે અને અનેક મોટી યાત્રાઓ કરાવે છે.
ચોથે ગુરૂ સંપતિવાન, ધાર્મિક અને સદ્કાર્યો કરાવી ઉન્નતિ કરાવે છે. ઉચ્ચ સ્થાન, ભોગવવા આપે છે.
પાંચમે ગુરૂ વિદ્યાવાન, લાભવાન, ભાગ્યશાળી બનાવે છે. સંતાનસુખ પણ આપે યા નથી આપતો.
છઠ્ઠો ગુરૂ નોકરી કરાવે યા જીવનમાં હેરાનગતિ લાવે, સુખ મળતુ નથી, પૈસો- સંપતિ આ બધુ અટકે છે.
સાતમો ગુરૂ શુભ ફળ આપે છે.
આઠમો ગુરૂ ધાર્મિક અને ઉત્તમ શુભ કાર્યો દ્વારા કિર્તી મેળવે, પૈસો સારો આવે.
નવમો ગુરૂ મોડો ભાગ્યોદય કરાવે છે, વિદેશયાત્રા માટે શુભ છે.
દસમો ગુરૂ આગેવાન, નેતા, ઉચ્ચ પદાધિકારી, સદ્કર્મો કરાવનાર કીર્તિ અને સુખ સંપતિ આપનાર છે.
અગિયારમો ગુરૂ જાતકને એકંદરે લાભવાન બનાવે છે, સંતાનોથી સુખી રાખે છે.
બારમો ગુરૂ અનિષ્ટ ફળ આપે, અલ્પાયુષી બનાવે અકસ્માતથી મૃત્યુ સૂચવે છે, બારમો ગુરૂ બધુ ત્યજાવે છે.
આ બાબત મા ગુરુ ગ્રહ ની યુતિ પ્રતિયુતિ તેમજ ગુરુ કઈ રાશિનો છે તેમજ કયા નક્ષત્ર માં છે તે જોયા પછી નિદાન કહેવાય