Quotes by Darshana Hitesh jariwala in Bitesapp read free

Darshana Hitesh jariwala

Darshana Hitesh jariwala Matrubharti Verified

@jari
(284)

જાગી ગયા એમ ને?
હવે ગઈકાલ જેવું જીવશો કે પછી...
અજ્ઞાત

દરેક સવારે આંખો ખુલે છે – પણ શું ખરેખર “જાગી ગયાં” કહીએ એ સાચું છે?

ઘણીવાર તો શરીર જાગે છે,
પણ મન? મન તો હજુ ગઈકાલની મૂંઝવણમાં ફરતું રહે છે. આપણે બસ “સમય પસાર” કરીએ છીએ –
અને એક દિવસ આખી જિંદગી પૂરી થઈ જાય છે.

ગીતાજીના લખ્યું છે, “एकोऽहं, द्वितीयो नास्ति, न भूतो न भविष्यति”
હું એક જ છું – મારી સમકક્ષ બીજું કંઈ નથી. ના હું ભૂતકાળમાં હતો, ન ભવિષ્યમાં હોઈશ.

આ કોઈ અહંકારથી ભરેલી અવાજ નથી –
આ છે એક આત્મબોધ, જે જાણી ગયો છે
કે હું જે છું, એ દરેક પળ માટે ખાસ છું. મારા જેવું અહીં બીજું કોઈ નથી. ને હશે પણ નહીં. કારણકે દુનિયામાં કોઈ બીજું વ્યક્તિ નથી, "જે તમારી જેમ વિચારે, જીવે, સપને જુએ, કે અનુભવે."

તમે “એકજ” છો – એમાં જ તમારી શક્તિ છુપાયેલી છે.

તો હવે પ્રશ્ન છે:
"જ્યાં અટક્યા છો ત્યાંથી નવી શરૂઆત કરશો કે નહીં?"

જીવન કોઈ ભૌગોલિક નકશો નથી કે જ્યાંથી પાછા ફરી શકાય નહીં. દરેક શ્વાસ એક નવી દિશાનો દ્વાર છે. તમારી આજ તમારું ભવિષ્ય રચી શકે છે –
પણ ફક્ત ત્યારે,
જ્યારે તમે “આજે” જીવવાનું પસંદ કરો. આજને માણો છો. આ ક્ષણને માનો છો.

“આજનો સંકલ્પ શું હોઈ શકે?”

– આજે હું મારી અંદર છુપાયેલા ભયોથી મુક્ત રહીશ.
– આજે હું મારી જાતમાં સંતોષ નહિ, પરંતુ ઊર્જા શોધીશ.
– આજે હું મારા સપના માટે આજે કોશિશ કરીશ.
– આજે હું મારા માટે જીવીશ.
– હું છું તો બધું જ છે. હું નથી તો કંઇ નહીં. કેમ કે…
"હું એક જ છું. મારા જેવું બીજું કોઈ નથી.
અને એ સમજ જે દિવસે થઈ જશે, એ દિવસે હું ફરી જન્મીશ."

એ નવો જન્મારો એટલે આપણી “આજ” આજને ભરપૂર જીવો. તમે ચોક્કસ તમારી મંજિલે પહોંચી જશો.

દર્શના હિતેશ જરીવાળા "મીતિ"

Read More

શીર્ષક: સમય બળવાન...

कुछ इस तरह मैंने ज़िन्दगी को आसान कर लिया,
किसी से मांग ली माफ़ी, किसी को माफ़ कर दिया।

~ अज्ञात

જીવન એ રણ છે – જ્યાં શબ્દો હથિયાર જેવું કામ કરે છે. શાંતિ, સમજદારી અને સમયનો અનુભવ જ માણસને સાચો વિજય આપે છે.

આપણે ઘણીવાર તાત્કાલિક દોષારોપણ કરવા ઉત્સુક થઇ જઈએ છીએ. પણ શું દરેક સત્ય બોલવા જેવું હોય છે? અને જો હોય પણ, તો શું દરેક વખતે એની રજૂઆત યોગ્ય હોય છે? કદાચ નહિ. કારણ કે સત્યની રજૂઆત પણ એક કળા છે, જેમાં સમય, સંજોગ અને સંવેદના સમજવી પડે.

સમય બધાનું ચિત્ર બદલવાનો સામર્થ્ય ધરાવે છે. જે આજે ખોટું જણાય છે, તે કાલે સાચું સાબિત થાય. જે આજે મૌન છે, એ કાલે કથન બની શકે છે. એટલે જ કહેવાય છે:
"સમય સૌથી બળવાન છે, માટે શાંત રહેવું વધુ સારું."

શાંતિમાં ઉદારતા હોય છે. જ્યારે આપણે પોતે શાંત રહીએ છીએ, ત્યારે આપમેળે આપણા વિચારો ભીતરમાં ઊંડા બને છે. આ શાંતિ આપણા માટે રક્ષણ પણ બને છે. – કારણ કે દરેક સંજોગમાં બોલવું જરૂરી નથી. ઘણાં પ્રશ્નોનો જવાબ શાબ્દિક નથી, પણ વ્યવહારિક છે.

અને જ્યારે વાત આવે દોષની, ત્યારે માનસિક દૃષ્ટિએ આપણે જે છે તે જ જોઈ શકીએ છીએ. વ્યક્તિની પરિસ્થિતિ સંજોગ કોઈ જોતું નથી. "આંખોમાં દોષ હોય તો દોષ જ દેખાય!"

માણસની નજર અને મન બંને જો નકારાત્મક હોય, તો દરેક ઘટના, દરેક વ્યક્તિમાં ખામી જોવા મળે.
પણ જેનું હ્રદય શુદ્ધ હોય, તે દુઃખદ સંજોગોમાં પણ આશાનો ચમકારો જોઈ શકે છે.

આખરે, જેવો સ્વભાવ હોય, તેવી જ તેની દુનિયા બને છે.
સ્વભાવ પ્રકૃતિ બની જાય છે. કોઈનું સાંકડું મન બધામાં છિદ્ર શોધે છે, તો કોઈનું નિર્દોષ મન બધામાં ભગવાન જોઈ શકે છે.

જન્મથી આપણે બધાને બોલવાની શક્તિ મળે છે,
પણ ક્યાં, ક્યારે અને કેવી રીતે બોલવું – એ શીખવું પડે છે. એ જ વાસ્તવિક સમજદારી છે.

તો ચાલો, હવે પછી જ્યાં શક્ય હોય ત્યાં શાંત રહીને સંજોગોને સમય આપીએ.
સત્યને સાચા સમયે રજૂ કરીએ, અને દોષ શોધવા કરતાં દ્રષ્ટિ સુધારીએ. કારણકે ક્યારેક ભીતરની શાંતિ પણ મહત્વની હોય છે.

સમયની ચાલ ધીમી છે પણ પરિવર્તન ચોક્કસ છે. – અને તે હંમેશા સાચા પક્ષે રહે છે. કોઈ આપણે ખોટા સમજે તો બિલકુલ ખોટું લગાડવું નહીં. એક હળવા હાસ્ય સાથે વિદાય લેવી યોગ્ય છે. 'Accept and go ahead..'
Be a practical...

જય શ્રીકૃષ્ણ 🙏
ભગવાન સૌનું ભલું કરે.✨
દર્શના હિતેશ જરીવાળા "મીતિ"
રાધે રાધે ❤️

Read More

વિષય: રથયાત્રા
શીર્ષક: જીવનરૂપી રથ
પ્રકાર: ગદ્ય (અછાંદસ)

પિંડમાં પ્રસ્થાપિત પરમાત્માની પ્રાપ્તિ,
મનથી મનોરથના મહોત્સવની ઉજવણી...
આત્માથી પરમાત્માની પરમ અનુભૂતિ,
રથયાત્રા એ શ્રીજગન્નાથજીની પાવન ઝાંખી...

આ રથયાત્રા માત્ર બહાર દોડતા રથની યાત્રા નથી, એ તો અંદર દોડતા મનની યાત્રા છે...
જયાં ભક્તિરૂપ રશ્મિઓથી જોડાયેલા ઘોડાઓ છે,
વિશ્વાસની પાંખો છે,
અને અહંને ત્યજી મુક્તિ તરફ દોડતું મન છે...

એ જ છે યાત્રાનું સચ્ચું સ્વરૂપ.
એ જ છે “મનોરથ”.... મનની ઈચ્છા નહી, મનની શ્રદ્ધા.

આ યાત્રા આંખની નહીં, અંતરદ્રષ્ટિની છે;
સ્પર્શથી નહીં, શ્વાસમાં થતી હાજરીની છે.
જ્યાં નયનમાં દર્શન ન હોય,
ત્યાં અંતરમાં અલૌકિક અનુભૂતિ હોય...
એ જ સચ્ચી યાત્રા છે, એ જ છે પરમ સાક્ષાત્કાર...
ભગવાનનો પ્રેમભર્યો સ્પર્શ...
ભગવાન જગન્નાથ સૌના જીવનરૂપી રથને યોગ્ય દિશા આપે,
અને સૌના અંતરમનમાં વાસ કરે…
જય શ્રીજગન્નાથ...
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે...

દર્શના "મીતિ"

Read More

જાણે એક મનોરથ, એક લાગણીની વણસાતી માગણી હોય. જો તું સાથે હોય!

તું હું ને વરસતો વરસાદ...

ન છૂટે આ પળ એક તું હું ને વરસતો વરસાદ,
એક છત્રીમાં બે જણ તું હું ને વરસતો વરસાદ..

મહેંકી ઊઠી ધરા ને ભીની ભીની ખુશ્બુ
સપનાના આભલે એક તું હું ને વરસતો વરસાદ..

બોલકી આંખો ને મૌન અહેસાસ વીજળી કહુ,
કે સ્પંદનો! બન્નેનો એક રાગ તું હું ને વરસતો વરસાદ...

ધીમી ધારે અનરાધાર રોમ રોમ ભીંજાય,
મંજિલ બને ભૂલભૂલૈયા એક છત્રી તું હું ને વરસાદ...

ને ઓચિંતી વીજળી ચમકે આલિંગન થઈ જાય,
પછી રહી જઈએ આપણે બે ને આ વરસતો વરસાદ...

Dmeeti

Read More

બે ચિત્રો વચ્ચે ચીતરાવું ફાવશે નહીં!
રંગોમાં અકારણ રંગાવું ફાવશે નહીં!

જરા એટલે જરા જ હોય!
માંગો અઢળક ને એમાંય ઉમેરો ફાવશે નહીં!

સ્વીકારું હું તમારા વગર જીવનનો સાર નથી,
એ જાણી સ્વાર્થી બનશો તો ફાવશે નહીં!

લાગણીની આ વાતો લાગણીમાં જ રાખો,
મને ખુલ્લેઆમ ચર્ચાવું ફાવશે નહીં!

બનાવી રાખ્યું છે ટેટૂ તમારા નામનું અમે,
શંકાના શિકાર થવું હવે ફાવશે નહીં...

આંખોની ભાષા સમજી શકો તો ઠીક!
હોઠોને વાતોનો હાશકારો ફાવશે નહીં...

લખું છું નવલકથા આખે આખી તમારા નામની,
વાંચી અભિપ્રાય ના આપો તો હવે ફાવશે નહીં!

Darshana Dmeeti

Read More