સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના માર્ગદર્શન અનુસાર સાધનાનાં સોપાનો પાર કરતાં અંતે સિદ્ધિ મળે. આ ઇષ્ટ સિદ્ધિ અભીષ્ટની પ્રાપ્તિ કરાવે છે. ચતુર્વિધ પુરુષાર્થોની સિદ્ધિ માટે પણ સાધના પૂરી લગનીથી થવી જરૂરી છે. ચારેય પુરુષાર્થોમાં મોક્ષ કે ઇષ્ટદેવની પ્રાપ્તિ હમેશાં અધ્યાત્મ-માર્ગે થાય છે. અધ્યાત્મ-પથ એટલે પરમતત્ત્વના સાક્ષાત્કારનો પથ. આ સાક્ષાત્કાર માટે સાધકનો પુરુષાર્થ એ સાધના છે. સાક્ષાત્કારની અભીપ્સા ધરાવનાર વ્યક્તિ સાધક છે. સાધનાના માર્ગે સતત પ્રયત્ન તે પુરુષાર્થ છે. આ પુરુષાર્થ એક રીતે ઉગ્ર તપશ્ર્ચર્યા છે. આધ્યાત્મિક સાધનાનાં મુખ્યત્વે બહિર્રંગ અને અંતરંગ સ્વરૂપો વિભાજિત કરી શકાય. બહિર્રંગ સ્વરૂપમાં યજ્ઞયાગાદિ, પૂજાપાઠ, કર્મકાંડ, જપ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે બહિર્રંગ સાધનાઓ છે. માનસજપ, ચિંતન-મનન, ધ્યાન, ધારણા, સમાધિ, શરણાગતિ, પ્રપત્તિ, આત્મનિવેદન વગેરે અંતરંગ સાધનાઓ છે. સાધનાનાં વિધેયક અને નિષેધક એમ બે સ્વરૂપો છે. જપ, ધ્યાન, પૂજાવિધિ, સ્તવન વગેરેનું અનુષ્ઠાન કરવામાં આવે તે સાધના વિધાયક છે. હિંસા કરવી નહિ, ક્રોધનો ત્યાગ કરવો, તૃષ્ણા સેવવી નહિ વગેરેના મૂળમાં અશુદ્ધ તત્ત્વો પ્રતિ નકારાત્મક અભિગમ ચિત્ત માટે જરૂરી ગણવામાં આવે છે.
🙏🏻
- Umakant