મન
मन के हारे हार है मन के जीते जीत ।
कह कबीर पिउ पाईए मन ही की परतीत ॥
કબીર કહે છે, મનની હાર એ હાર છે, અને મનની જીત એ જીત છે. એ મનની પ્રતીતિથી જ પ્રિયતમ રૂપી પ્રભુને પામી લેવા.
પ્રકૃતિમાં સદાકાળથી ઘટનાઓ પોતાના પ્રાકૃતિક ક્રમમાં બન્યા કરે છે. તેમાં આપણે આપણા અજ્ઞાન અને મમત્વથી તેને શુભ, અશુભ, જય, વિજય, રૂપ-અરૂપ એમ વિભાગી લઈએ છીએ. મહાન ધનપતિઓ પણ સંતોષના અભાવે દુઃખી થઈને મૃત્યુ પામતા
હોય છે. જ્યારે અકિંચન લોકો પણ શાંતિથી પોતાનું જીવન ત્યાગતા હોય છે. હજારો અંગરક્ષકોની વચ્ચે પણ સેનાપતિ પોતાને અસુરક્ષિત માનતો હોય છે જ્યારે સાધારણ માનવી કોઈપણ પ્રકારની બાહ્ય સુરક્ષા વિના સુરક્ષિતતાનો અનુભવ કરતી હોય છે. અત્યંત સફળ માણસો અસંતોષ અને ફરિયાદમાં પોતાનું જીવન વેડફી રહ્યા હોય છે અને સામાન્ય માણસો સાદું જીવન સુખરૂપ ગાળતા હોય છે. આમ સુખદુઃખ, સુંદર, કુરૂપ એ બધી વસ્તુઓ મહદ્અંશે આપણા મનનું આરોપણ હોય છે. મન જ આપણને જિતાડે છે. મન જ આપણને હરાવે છે. આત્મસંતોષ જ મોટું ધન છે. જ્ઞાન જ મોટો પ્રકાશ છે. નિર્ભયતા એ જ મોટી સુરક્ષા છે. પરમેશ્વરમાં શ્રદ્ધા એ જ મોટો સહારો છે. પોતાને જ પોતાના મનથી હરાવતું અને જિતાડતું મન જ છે.
આત્મશ્રદ્ધા એ આત્મસંકલ્પથી મન ઉપર નિયંત્રણ મેળવવું એ જ મોટી જીત છે. તમારું મન ચંચળ અને તમારા નિયંત્રણમાં ન હોય એ જ મોટી હાર છે. તમારું મન જ તમને સુખના ઉત્તુંગ શિખર ઉપર લઈ જાય છે અને દુ:ખની ખીણમાં ઝબોળે છે તે મનને વશ કરવું એ જ મહાન પુરુષાર્થ છે અને એ જ મનને પરમેશ્વરની ભક્તિ અને જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાન અવિદ્યા દૂર કરવામાં આવે તો, માનવમાત્રના પ્રિયતમ એવા પરમેશ્વર મનની સંકલ્પશક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. આ જ મનની શક્તિ છે. મનને પરમેશ્વરના ચિંતનમાં ધ્યાનસ્થ રાખે તે માનવીને મનથી જ પરમેશ્વરની કૃપા મળતી જ રહેવાની.
🙏🏻
- Umakant