અર્ધનારીશ્વર
प्रपंचसृष्टयुन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय ।
जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय
॥ ७ ॥ ( શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર)
એક ભાગમાં સૃષ્ટિના સમસ્ત પ્રપંચને પ્રગટાવનાર લાસ્યનૃત્ય છે, બીજામાં સમસ્ત સૃષ્ટિનું સંહારક તાંડવ છે, એકમાં જગજ્જનની છે, બીજામાં જગતપિતા, આવા શિવાને અને શિવને નમસ્કાર.
કાલિદાસના "કુમાર સંભવમમાં" કે "શિવ પુરાણમાં" રજુ થયેલ શિવ પાર્વતીના વિવાહની કથા એમના પ્રેમનની કથાનો આપણને પરિચય છે. આપણા શાસ્ત્રો પ્રમાણે પાર્વતી માતા શંકર ભગવાનને પામવા માટે ખૂબ ઉગ્ર તપ કરે છે. અને પોતાના પતિ તરીકે એમને મનોમન વરી ચૂક્યાં હોય છે. ભગવાન શિવ માતા પાર્વતીનો આવો અનહદ પ્રેમ જોઈને એમના ઉપર પ્રસન્ન થાય છે અને એમનો સ્વીકાર કરે છે. શિવજીએ વિચાર્યું કે મને પામવા આવી ઉગ્ર તપશ્ચર્યા કરનાર પાર્વતી મારા વિના એક ક્ષણ પણ રહી શકશે નહીં. તેથી એમણે પાર્વતીમાતાને પોતાના દેહના ડાબા અર્ધભાગમાં કાયમી સ્થાન આપી દીધું. અને ‘અર્ધનારીશ્વર’ બની ગયાં.
શક્તિ શિવનું અભિભાજ્ય અંગ છે. શિવ નરના દ્યોતક છે તો શક્તિ નારીની. તેઓ એકબીજાના પુરક છે. શિવ વગર શક્તિનું અથવા શક્તિ વિના શિવનું કોઈ અસ્તિત્વ જ નથી.
કહેવાય છે કે, અર્ધનારીશ્વર એ સમસ્ત સૃષ્ટિના વિકાસનું મૂળ છે. ખુદ ભગવાન શિવ સ્ત્રી અને પુરુષ એક સમાન છે, એક છે એ વાતનું ઉદાહરણ આપે છે. તો પછી સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં કેમ નથી આવતી? આપણો દેશ પિતૃમૂલક દેશ કેમ છે? માતૃમૂલક કેમ નથી? બંને એક સમાન છે તો બંનેને અધિકાર પણ એક સરખા જ હોવાના. કોઈ દિવસ શાંતિથી બેસીને અર્ધનારીશ્વર ફોટાને ધ્યાનથી જોજો. અથવા તો અર્ધનારીશ્વર સ્તોત્ર વાંચવા જેવું છે અને સમજવા જેવું છે. બંને વિરુધ્ધ છતાં એક, બંને ભિન્ન છતાં અભિન્ન. એકરાર અને એકાકારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.
ભગવાન સદાશિવે માતા પાર્વતીને પોતાનાં અડધાં અંગમાં સ્થાન જ નથી આપ્યું પરંતુ એનો સંપૂર્ણપણે સ્વીકાર પણ કર્યો જ છે. એમના અંગોથી લઈને, એમના સ્વભાવનો કે સ્ત્રી સહજ થતી વેદનાઓનો પણ સહર્ષ સ્વીકાર કર્યો છે.
શિવમંદિરોમાં પણ શિવલીંગ જ્યાં સ્થાપિત રહે છે તે યોનિ સ્વરુપ ગણાય છે. જે ઉમાનું સ્વરુપ છે. તો લીંગ શિવનું સ્વરુપ છે. આમ બન્ને એક તત્વ છે.
ભગવાન શંકરના અર્ધનારીશ્વર અવતારમાં શિવનું અડધું શરીર સ્ત્રી અને અડધું પુરૂષનું છે. શિવનો આ અવતાર સ્ત્રી અને પુરુષની સમાનતાને દર્શાવે છે. સમાજ, પરિવાર અને જીવનમાં જેટલું મહત્વ પુરુષનું છે એટલું જ મહત્વ સ્ત્રીનું પણ છે.
પુરુષનો સ્વભાવ આક્રમક છે તો સ્ત્રીનો સમર્પણનો. એથી જ આપણને મહાકાલ ભોળોનાથ પણ લાગે છે. અને જગતજનની મહાકાળી લાગે છે.
ઓશો એમના "કૃષ્ણ" નામક પુસ્તકમાં કહે છે કે, " પ્રત્યેક પુરુષની અંદર એનું પણ સ્ત્રીઅંગ હોય છે. અને પ્રત્યેક સ્ત્રીની અંદર એનું પણ પુરુષ અંગ હોય છે. મનસ્ ને જાણનારા લોકો કહે છે કે પ્રત્યેક સ્ત્રીની અંદર પુરુષ છે, પ્રત્યેક પુરુષની અંદર સ્ત્રી છે." આ બધું ગૂઢ રહસ્ય આપણને ન સમજાય પણ એકરૂપતા તો સમજાય જ ને!
શિવના દિવસોમાં શક્તિ ઉપાસના કરવી એ પણ એક શિવ ભક્તિ જ છે.
કિંજલ દિપેશ પંડ્યા (કુંજદીપ)