ક્યા દેવી દેવતાને ક્યા ફૂલ ચઢાવવામાં આવે છે ? જાણો આ લેખ દ્વારા
વૃક્ષ શાસ્ત્રમાં અત્યાર સુધી આપણે વિવિધ પ્રકાર ઝાડ અને છોડના ધાર્મિક મહત્ત્વ વિશે માહિતી મેળવી છે. પરંતુ તે ધાર્મિક મહત્ત્વની સાથે જોડાયેલા દેવી દેવતા કયા ફૂલ પસંદ કરે છે, ક્યા દેવી દેવતાને ક્યુ ફૂલ ચડાવવું જોઇએ, તે વિશે આપણે માહિતી મેળવીએ.
શ્રી ગણેશ
ઘરમાં કોઇપણ ધાર્મિક કે સામાજિક પૂજા હોય, સૌ પ્રથમ પૂજા વિઘ્નહર્તાની કરવામાં આવે છે. ગણેશની પૂજામાં દરેક ફૂલોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમને પ્રિય ધરોનો ઉપયોગ કરવો તો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ગણેશજીને તુલસી ચડાવવી નિષેધ માનવામાં આવે છે. ગણેશજીને ત્રણ કે પાંચની સંખ્યામાં ધરો ચઢાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તથા ગણેશજીને જાસુદ ખૂબ જ પસંદ છે.
ભગવાન શિવ
ભગવાન શિવને દરેક પ્રકારના સુગંધિત ફૂલ પસંદ છે. ભગવાન શંકરને બીલીપત્ર ધતુરો, કેવડો વગેરે પ્રિય છે. આ ઉપરાંત ચમેલી, સફેદ કમળ, શમી, મૌલસિરી, પાટલા, નાગચંપા, ખસ, ગૂગળ, પલાશ, બેલપત્ર, કેસર વગેરે પણ પ્રિય માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર છે, તેમાં કૃષ્ણ અવતાર હોય કે અન્ય કોઇપણ અવતાર ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે. તુલસીના બે પ્રકાર છે, રામ તુલસી અને શ્યામ તુલસી આ બંને પ્રકારની તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ ઉપરાંત કમળ, ચંપો, મધુમાલતી, ચમેલી, ગલગોટો વગેરે જેવાં ફૂલ પસંદ કરે છે.
હનુમાનજી
હનુમાનજી તો ભગવાનની સાથે પોતાને રામ ભક્ત કહે છે, તેઓને દરેક ફૂલ ચડાવી શકાય છે. તેમને લાલ રંગના ફૂલ પસંદ પડે છે. હનુમાનજીને આંકડો પસંદ ખૂબ જ પસંદ પડે છે.
સૂર્યનારાયણ
ભગવાન સૂર્યનારાયણ વિશે શાસ્ત્રોમાં માનવામાં આવે છે, કે એક આંકડાનું ફૂલ સૂર્ય દેવને ચડાવવાથી સોનું મળશે તેવંુ માનવામાં આવે છે. આ ઉપરાંત સૂર્ય દેવને શમી, નીલકમલ, મધુમાલતી, લાલ કમળ વગેરે ચઢાવવાનું શુભ માનવામાં આવે છે.
દેવી શક્તિ
જે ફૂલ દેવતાઓને ચઢાવવામાં આવે છે, તે દરેક સુગંધિત ફૂલ દેવીઓને ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ ધતુરો, આકડો આ બંને ફૂલ ક્યારેય પણ દેવીઓને ચઢાવવામાં આવતા નથી. આ ઉપરાંત ગણેશજીને ચઢાવવામાં આવતો ધરો કોઇપણ દેવીને ચડતો નથી. પરંતુ આકડાના પાન અને ફૂલ ફક્ત દુર્ગાદેવીને જ ચઢાવવામાં આવે છે. દેવી લક્ષ્મીને કમળ અર્પણ કરવાનું પવિત્ર માનવામાં આવે છે, તથા અન્ય દેવીઓને લાલ ગુલાબ અર્પણ કરી શકાય છે.