રામકૃષ્ણ પરમહંસ આજે પણ છે સર્વ વ્યાપી, તેમના વિશે જાણીએ એટલું ઓછું
ભારતીય સંતોના તેજો તિમિર એવા સ્વામી રામકૃષ્ણ પરમહંસની આજે જ્યારે આજે જન્મજયંતી છે ત્યારે કેટલીક વાતો સ્વામીજી વિશે…. સ્વામીજી વિશે બહુ ઓછા લોકોને ખબર છે કે તે ચમત્કારોમાં બિલકુલ નહોતા માનતા. તેમની શક્તિઓ એટલી વિશાળ હતી કે રોજ ભગવાન શિવ સાથે વાતો કરી શકતા. મહાકાળીના પરમ ઉપાસક સ્વામી રામકૃષ્ણ પરમહંસ એ ભારતીય સંતોના એ શિરમોર વ્યક્તિ છે કે જેણે સંત અને સાધુઓને એક દિશા આપવાનું કામ કર્યું છે.
જો તમે સ્વામી રાકમૃષ્ણ પરમહંસની આત્મકથા ન વાંચી હોય તો જરૂર વાંચજો. ચાર ભાગમાં લખાયેલું આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. જે વાંચવાથી તમને આધ્યાત્મિક જગત વિશેની અનેક હકીકતો વિશે ખ્યાલ આવશે. ચમત્કારો આપમેળે થતાં હોય છે. તે કરવાથી નથી થતાં.
બહું જ સરળ અને સહજ એવા રામકૃષ્ણ જ્યારે મહાકાળીના ધ્યાનમાં ડૂબી જતાં ત્યારે બહાર આવતા દિવસો લાગી જતાં. કહેવાય છે કે આજે એ સ્થિતિ પર છે જ્યાં જન્મ અને મૃત્યુના ફેરા હોતા નથી. રામકૃષ્ણ પરમહંસને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તે આજે પણ તમારી સાથે વાર્તાલાપ કરે છે. રામકૃષ્ણ પરમહંસને શરીર છોડ્યા અનેક વર્ષો થઈ ગયા આમછતાં તેમની આજે પણ અનુભૂતિ થાય છે.
તમને કદાચ આ વાત માન્યામાં નહિં આવે પણ તેનો પરચો મળ્યો હતો. થોડાંજ વર્ષો પહેલાં રાજસ્થાનના આબુમાં પોતાનું નિવાસસ્થાન બનાવીને જીવનના અંત સુધી ત્યાં જ રહેનારા રાજસ્થાનના આલા દર્જાના સંત વિમલા તાઈને. વિમલાતાઈએ જ્યારે શરીર છોડ્યું ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંત્યેષ્ઠી કરવામાં આવી હતી.
ભારતના કેટલાંક અતિ મહાન સંતોમાં વિમલા તાઈની ગણના કરવી જ પડે. એક વાર તેમને અચાનક જ એવો ભાસ થયો કે તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસે દર્શન આપ્યા. તેમને થયું કે આ કદાચ ભાસ જ હોઈ શકે. જો રામકૃષ્ણ પરમહંસ આવે તો બંગાળી મિઠાઈ સંદેશ તો જરૂર લાવ્યા વગર ન રહે. તેમનું ધ્યાન તૂટ્યું. આ વિશે વિચારતા તેઓ બેઠાં હતા. ત્યાં તેમના દ્વારે ટકોરા પડ્યા. તેમણે ખોલીને જોયું તો સામે સ્વામી શ્રદ્ધાનંદ તીર્થ ઉભા હતા. આ પણ એક આલા દરજ્જાના સંત હતા. આબુમાં દેલવાડા ખાતે આવેલા લાલ મંદિર એ તેમનો આશ્રમ હતો. તેઓને જોઈએ વિમલા તાઈએ ખુબજ આદર સત્કાર કર્યો. પછી પૂછ્યું કે મહર્ષિ આપ આજે અચાનક.. ત્યારે તેમણે પોતાની જોળીમાંથી એક મિઠાઈનું બોક્સ કાઢ્યું અને કહ્યું કે સવારે રામકૃષ્ણ પરમહંસ મળ્યા હતા. તેમણે તમને આ સંદેશ મીઠાઈ આપવાનું કહ્યું છે. તેથી આપવા આવ્યો છું.
વિમલાતાઈની ખુશીનો પાર ન રહ્યો. તેમને એ અહેસાસ થઈ ગયો કે સ્વામીજીની સાચે જ હાજરી થઈ હતી. આમછતાં તેમણે જોયું કે મીઠાઈના બોક્સ પર કોલકાતાની એક દુકાનનું બિલ હતું. જે ગઈકાલે જ ખરીદવામાં આવી હતી. એ બિલમાં આપેલા નંબર પર જ્યારે વિમલાતાઈએ ફોન કર્યો ત્યારે એ દુકાનદારે જણાવ્યું કે આવો દેખાવ ધરાવતા એક મહાત્મા કાલે આવ્યા હતા અને ‘સંદેશ’ મીઠાઈ લઈ ગયા હતા. વિમલા તાઈને સમજતા વાર ન લાગી કે એ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતે જ હતા..
ભારતીય સંસ્કૃતિમાં આવા સંતો અને મહાત્માઓ થઈ ગયા છે. આ ભવ્ય વારસાને કારણે જ આજે પણ દેશ ટકેલો છે.