આજે દિવાળીનો શુભ દિન. ચંન્દ્રકાંત શેઠની એક સુંદર રચના
*“તારી તે વાટ અને મારુ છે તેલ,
મહી જ્યોતિ તે આપણા બેની.
તારુ તે ફૂલ અને મારુ પતંગિયુ,
મધુરપ તે આપણા બેની.*
વર્તમાન સમયમાં સમૂહજીવનની ભાવના ઘણી ઓછી થતી રહી છે, મોટાભાગના લોકો એકલ દોકલ જીવન વિતાવી રહ્યા છે તેમાં પણ પતિ-પત્ની બંને જ્યાં નોકરી-વ્યવસાય સાથે સંકળાયેલ હોય ત્યાં તો બાળકો પણ ઘણીવાર એકલતાનો ભોગ બનતા હોય છે અને બની રહ્યા છે તેને કારણે જ વર્તમાન સમયમાં નાના બાળકો કુદરતી રમત છોડી મોબાઈલની ગેમ અને યુટ્યુબ તરફ વળ્યા છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ આપણા તહેવારો આપે છે. તહેવાર એટલે રજા. રજા એટલે પરિવાર સાથે સમય. સમગ્ર વર્ષ દરમ્યાન દુર દુર વ્યવસાય અર્થે વસવાટ કરતા પરિવારજનો પણ મોટેભાગે દિવાળીના તહેવારોમાં પોતાના વતનમાં એક જગ્યાએ ભેગા થઈને સમૂહમાં આ મહાઉત્સવની ઉજવણી કરતા હોય છે. દિવાળી સાથે હિદું કેલેન્ડરનું વર્ષ પૂર્ણ થતું હોય છે અને બીજા દિવસે નુતન વર્ષનો શુભારંભ થાય છે એ પણ એવા જ નવીન આશાઓ અને ઉમંગ સાથે કે જેથી આવનાર સમગ્ર વર્ષ દરમ્યાન અનેક નવા આયોજનો, સારા અને શુભ કાર્યો સતત કરતા રહીએ.
મારા અને અતુલ્ય વારસો પરિવાર તરફથી આપ સૌને શુભ દિવાળી અને નુતન વર્ષાભિનંદન
મુકુન્દ સોલંકી તથા પરિવાર