"ધ ઈન્ડિપેન્ડેન્ટ્સ ડે"
લેખક:- કમલેશ જોષી
જો સવારે ઉઠ્યા બાદ તમે ઓઢેલી ચાદર તમે ખુદ જ સંકેલતા ન હો, જો તમારું નહાવાનું પાણી અને કપડા તમે જાતે જ બાથરૂમમાં મૂકતા ન હો, જો ઓફિસમાં પટ્ટાવાળો આઘો પાછો હોય તો પાણી પીવા માટે પણ તમે તેના આવવાની રાહ જુઓ, જો તમારી સોસાયટીમાં ખુલ્લું રહી ગયેલું અને નડતરરૂપ બની ગયેલું ઢાંકણું બંધ જ કરવાનું હોય, એક-બે વ્યક્તિ થી થઈ જ શકતું હોય, છતાં મ્યુનિસિપાલિટીના કર્મચારીની રાહ જો તમે અને તમારી સોસાયટી જોતા હો, જો તમે રાજકારણી હો અને ચૂંટણી ટાણે તમારે મત મેળવવા દારૂની બોટલો કે ભજીયા પાર્ટીઓ કે રૂપિયાની નોટો મતદાતાને આપવી પડતી હોય, તમે સરકારી કર્મચારી હો અને પગાર સિવાયની 'કટકી' ખાધા વિના તમને કામ ઉકલતુ ન હોય તો ૧૫મી ઓગષ્ટનો 'ઈન્ડિપેન્ડેન્ટ્સ ડે' તમારા માટે નથી. ઈન્ ડિપેન્ડેન્ટ એટલે સ્વાધીન, સ્વાવલંબી. જે પોતાના વાણી, વર્તન અને વિચાર માટે કોઈ પણ પ્રકારની લાચારી-દબાણ કે મજબૂરીનો અનુભવ કરતો ન હોય તે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર સ્વાધીન કહેવાય.
જો તમે રાજકારણી હો અને તમે તમારી પાર્ટી લાઈનથી જુદો, સાચો અને સ્વતંત્ર અભિપ્રાય સમાજ સમક્ષ ખુલ્લેઆમ મૂક્યો હોય તોજ ૧૫મી ઓગષ્ટે ધ્વજવંદન કરજો. જો તમે મતદાન કરતી વખતે તમારા મિત્ર, અંગત સગાં કે દારૂની બોટલ આપનાર 'ના-લાયક' ઉમેદવારની બદલે 'લાયક-કવોલિટી વાળા' ઉમેદવારને મત આપ્યો હોય તો જ 'જનગણમન' ગાજો. જો ડોક્ટર તરીકે દર્દીને રિપોર્ટ કરાવવા કે દવા લેવા અંગેનું પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે કોઈ દવા કંપની કે તેના એમ.આર. સાથેના તમારા સંબંધો નું કોઈ જ દબાણ તમે અનુભવતા ન હો, તો જ તમે રાષ્ટ્રધ્વજને સલામી આપજો.
મિત્રો, જ્યારે કોઈ સિદ્ધાંતવાદી શિક્ષક, ઈમાનદાર રાજકારણી, સમાજની આંખ ઉઘાડતો લેખક કે વિશ્વમાં દેશનો ડંકો વગાડનાર ખેલાડી, શ્રદ્ધા-ભક્તિ અને જ્ઞાનની ખરી ઉપાસના કરતા સંત કે બોર્ડર પર પોતાના પરાક્રમ થી દેશની રક્ષા કરતો સૈનિક ૧૫મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજને સલામી આપે છે ત્યારે ત્રિરંગાની શાન કંઈક જુદી જ હોય છે.
મોટા ભાગે જેની પાસે સત્તા, શક્તિ કે સંપત્તિ વધુ હોય છે તે વ્યક્તિને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા ભીતરી દુશ્મનો 'ગુલામી'ની જંજીરોમાં જકડી લે છે. 'આઝાદી'ના આ પાવન દિવસે કદાચ જો તમે ધ્વજવંદન ચૂકી ગયા હો, દેશભક્તિ ગીત ન ગાઈ શક્યા હો, કોઈને ફોરવર્ડેડ મેસેજ ફોરવર્ડ ન કરી શક્યા હો તો ચાલશે પરંતુ આજના દિવસે 'ભીતરે વ્યાપેલી પરાધીનતા-પરતંત્રતા-ગુલામી' સામે 'સ્વાધીનતા-સ્વતંત્રતા-આઝાદી' નો શંખ નહીં ફૂંકો તો નહીં ચાલે. આ ભીતરી સંગ્રામ તમારે ખુદે જ, એકલા હાથે લડવાનો છે. ભીતરે નસેનસમાં વ્યાપી ગયેલા બદમાશી અને બેઈમાનીના સામ્રાજ્ય સામે તમારે જ 'ગાંધી' બની સત્યાગ્રહ કરવાનો છે. 'ભીતરી ગુલામી' સામે ૧૫ ઓગષ્ટના આજના શુભ ચોઘડિયે 'સત્યાગ્રહ' શરૂ કરવાનો સંકલ્પ લેનાર તમામ ફ્રીડમ ફાઈટર્સને મારા સો-સો સલામ.
"દેખતે હૈં જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈં?"