■ ગઝલ
ક્યાં કહું છું કોઈ સૂફી-સંત હોવો જોઈએ,
પણ મળે જે અમને એ ગુણવંત હોવો જોઈએ.
કંઇ નહીં તો સ્મિતની સોગાદ પણ અર્પી શકે
એટલો તો માનવી શ્રીમંત હોવો જોઈએ.
જેમ મૈત્રિનો અચાનક અંત આવી જાય છે,
દુશ્મનીનો કૈંક એવો અંત હોવો જોઈએ.
બ્હારથી પર્વત સમો દેખાય તેથી શું થયું -
ભીતરેથી માનવી બળવંત હોવો જોઈએ
આમ કંઇ તમને મુસાફિર સાવ ભૂલી જાય ના
ક્યાંક એનામાં છુપો દુષ્યંત હોવો જોઈએ.