તું બહાર બધે ના શોધ, તને ભીતરમાં મળશે.
પ્રગટાવ સ્નેહનો ધોધ, તને ભીતરમાં મળશે.
થઈ શાંત ચિતને કરી જો ચિંતનને મનન તું,
તજી દે એકવાર તું ક્રોધ, તને ભીતરમાં મળશે.
શાસ્ત્રો વાંચીને મળે જ્ઞાન એની ના નહિ લેશે,
સૌથી સવાયો આત્મબોધ, તને ભીતરમા મળશે.
એકવાર મૂકી દે માયાને મમતા ઈશનો અનુરાગી,
પછી નહિ નડે કોઈ અવરોધ, તને ભીતરમાં મળશે.
અંતરની અમીરાત તારી અદભુત હરિનિવાસ,
નથી જરૂરત દેવાની બોધ, તને ભીતરમાં મળશે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.