સ્વર્ગ નું નિર્માણ
स्वर्गस्य प्राप्यते यस्मात् कर्मणा तत्सुखं भवेत्:
જે કર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તે જ સુખદાયી હોય છે.
ઘણું બધું શીખવું પડે છે, નાની ઉંમરે પણ, નાના દિલથી. એક નાનકડી દોહિત્રી અને તેની નાનીની આ વાત છે, જેમાં પ્રેમ અને સમજણનો ઊંડો સંદેશ છુપાયેલો છે.
નાનીને તેમની દસ વર્ષની દોહિત્રી ઉર્વી એ ઉત્સાહથી કહ્યું, “નાની, હું મમ્મી-પપ્પા સાથે મોલ જાઉં છું, તમે ઘરનું ધ્યાન રાખજો!”
નાનીએ હળવું હસીને જવાબ આપ્યો, “ઠીક છે, ડોલી. તમે જાઓ, મારા પગમાં થોડું દુખે છે, અને મોલમાં મને ખાસ રસ નથી.”
પણ ઉર્વી એ જીદ પકડી, “ના, નાની, તમારે પણ મોલ આવવું જ પડશે!”
તેની મમ્મી સુષ્માએ હસતાં હસતાં કહ્યું, “ઉર્વી, તારી નાનીને મોલની સીડીઓ ચઢવાનું નથી આવડતું, એસ્કેલેટર પણ તેમના માટે મુશ્કેલ છે. અને એમને તો ફક્ત મંદિર જવામાં જ રસ છે, મોલમાં શું કામ જવું?”
નાનીએ આ વાત સાથે સહમતી દર્શાવી, પણ ઉર્વી એ હઠ છોડી નહીં. “જો નાની નહીં આવે, તો હું પણ નહીં જાઉં!” તેની આટલી જીદ સામે નાનીનું કઈ ન ચાલ્યું, અને તે આખરે મોલ જવા તૈયાર થઈ. ઉર્વી નો આનંદ જોવા જેવો હતો.
પપ્પાએ બધાને તૈયાર થવા કહ્યું. મમ્મી-પપ્પા હજી તૈયાર થતા હતા, ત્યાં ઘરની સૌથી નાની ઉર્વીઅને સૌથી વડીલ નાની પહેલાં તૈયાર થઈ ગયાં. ઉર્વી એ નાનીને બાલ્કનીમાં લઈ જઈને એક રમત રમવાનું કહ્યું. તેણે ચોકથી બે લીટીઓ દોરી, એક ફૂટના અંતરે.
“નાની, આ એક પક્ષીની રમત છે. તમારે એક પગ આ બે લીટીઓ વચ્ચે રાખવાનો છે, અને બીજો પગ ત્રણ ઇંચ ઊંચો ઉઠાવીને આગળ મૂકવાનો છે,” ઉર્વી એ ઉત્સાહથી સમજાવ્યું.
નાનીએ આશ્ચર્યથી પૂછ્યું, “આ શું છે, ઉર્વી?”
“બસ, નાની, હું શીખવું છું!” ઉર્વી એ હસતાં હસતાં કહ્યું. પપ્પા કાર લઈ આવે ત્યાં સુધી નાની અને ઉર્વી એ આ રમત ખૂબ રમી.
મોલ પહોંચ્યા બાદ, એસ્કેલેટર પાસે મમ્મી-પપ્પા ચિંતામાં પડી ગયા કે નાની એસ્કેલેટર કેવી રીતે ચઢશે. પણ તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી જ્યારે નાની આરામથી એસ્કેલેટરની સીડીઓ ચઢવા લાગ્યા. ઉર્વી એ નાનીને ગુપ્ત રીતે સમજાવ્યું હતું, “નાની, અહીં તમારે ફક્ત એ જ પક્ષીની રમત રમવાની છે. જમણો પગ ઉઠાવીને ચાલતી સીડી પર મૂકો, અને પછી ડાબો પગ ત્રણ ઇંચ ઉઠાવીને આગળની સીડી પર મૂકો.” નાની અને ઉર્વીએસ્કેલેટર પર ઉપર-નીચે જઈને ખૂબ મજા કરવા લાગ્યાં.
ત્યારબાદ, બધા સિનેમા હોલમાં ગયા. અંદર ઠંડક હતી, તો ઉર્વી એ મસ્તીભર્યા સ્મિત સાથે પોતાની બેગમાંથી શાલ કાઢી અને નાનીને ઓઢાડી દીધી. તે પહેલેથી જ તૈયારી સાથે આવી હતી.
ફિલ્મ પછી, બધા રેસ્ટોરન્ટમાં ખાવા ગયા.
પપ્પાએ નાનીને પૂછ્યું, “મમ્મી, તમારે શું ઓર્ડર કરવું?” પણ ઉર્વી એ ઝડપથી પપ્પાના હાથમાંથી મેનૂ છીનવી લઈને નાનીને આપી દીધું, “નાની, તમને વાંચતા આવડે છે, તમે જ નક્કી કરો કે શું ઓર્ડર કરવું.” નાનીએ હસતાં હસતાં મેનૂ વાંચીને ખાવાની વસ્તુઓ નક્કી કરી.
ખાધા પછી, નાની અને ઉર્વી એ વિડિયો ગેમ્સ રમી, જે તેઓ ઘરે પણ સાથે રમતા હતા. ઘરે પાછા જતા પહેલાં, નાની વૉશરૂમ ગયા. તેમની ગેરહાજરીમાં, પપ્પાએ ડોલીને પૂછ્યું, “ઉર્વી , તને તારી નાની વિશે આટલું બધું કેવી રીતે ખબર છે, જે મને, તેમના દીકરા હોવા છતાં, ખબર નથી?”
ઉર્વી એ તરત જવાબ આપ્યો, “પપ્પા, જ્યારે તમે નાના હતા, ત્યારે નાની તમને ઘરે છોડીને ક્યાંય જતાં હતાં? બહાર જતા પહેલાં તેઓ તમારા માટે કેટલી તૈયારી કરતાં હતાં—દૂધની બોટલ, ડાયપર, કપડાં, ખાવા-પીવાનું? તમે કેમ ધારો છો કે નાનીને ફક્ત મંદિર જવામાં જ રસ છે? તેમની પણ એ જ સામાન્ય ઈચ્છાઓ છે—મોલ જવું, બધાની સાથે મજા કરવી, ખાવું-પીવું. પણ વડીલોને લાગે છે કે તેમની સાથે આવવાથી તમારી મજા બગડશે, એટલે તેઓ પોતે જ પાછળ હટી જાય છે અને પોતાના દિલની વાત નથી કહી શકતા.”
પપ્પાનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, પણ તેમના દિલમાં ખુશી હતી કે તેમની દસ વર્ષની દીકરી આટલી સમજણ વાળી થઇ ગઈ.
સ્વર્ગ આકાશ માં નથી. સ્વર્ગ થી કોઈ આવેલો નથી કે સ્વર્ગ વિષે કહે. અને જનાર ચોક્કસ નથી.
સ્વર્ગ ક્યાય છે તો ફક્ત અહીજ છે જે આપણે નિર્માણ કરવું પડે છે.
दाम्पत्यमनुकूलं चेत्किं स्वर्गस्य प्रयोजनम्।
दाम्पत्यं प्रतिकूलं चेन्नरकं किं गृहमेव तत्॥
જો મનુષ્યનું દામ્પત્ય જીવન અનુકૂળ હોય, તો સ્વર્ગની શી જરૂર છે? અને જો મનુષ્યનું દામ્પત્ય જીવન પ્રતિકૂળ બની જાય, તો નરક શું છે? તે ઘર જ નરક બની જાય છે.
(દામ્પત્ય = પરિવારના અર્થ માં ) ( ઉર્વી = અર્થ - પૃથ્વી, વિશાળતા.)
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥21॥ શ્રીમદ ભગવદ ગીતા ૯-૨૧
આ સંસારમાં પ્રેમ નો વિસ્તાર કરવાથી સ્વર્ગ નું નિર્માણ થાય છે અને લુપ્ત થવાથી મૃત્યુ લોક માં પ્રવેશ થાય છે.