જ્યોતિની લગ્નજીવનની શરૂઆત એકલાંગ મૌનથી થઈ હતી. જ્યોતિની માતા જ્યોતિ નાની હતી ત્યારે જ દેવલોક પામી હતી. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. તેની સોતેલી માતાએ જ્યોતિને બાળપણથી જ નોકરાણીની જેમ કામ કરાવ્યું હતું.
જ્યોતિ મોટી થઈ સોતેલી માએ પૈસા લઈને જ્યોતિને એક એવા ઘરે લગ્ન કરાવ્યા ,જ્યાં નરક કરતાંય ખરાબ વર્તન થતું વહુ સાથે. જ્યોતિના પતિના આ બીજા લગ્ન હતા. જ્યોતિની સાસુમાં બહું જ ચાલાક હતા. તે તેના પતિ અને પુત્રને પોતાના બંધનમાં બાંધીને રાખતા. તેઓ તેની સાસુનું કહ્યું જ માનતાં.એમને જ જ્યોતિના પતિની પહેલી પત્નીને ઘરમાંથી કઢાવી હતી.
જ્યોતિએ લગ્ન પહેલાં સાસરીયાનાં મીઠા સપનાં સેવ્યા હતા, પણ તેના બધાં સપનાં પર પાણી ફરી ગયું.જ્યોતિએ સાસુમાં માં માની ઝલક કલ્પી હતી પણ લગ્ન કરીને જ્યોતિએ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ સાસુની તીખી વાતો અને પતિના ઠંડા વલણથી એને ખબર પડી ગઈ કે આ ઘર તેની માટે નરક સમાન સાબિત થશે.
રોજિંદા શબ્દપ્રહારો, કામમાં ખોટ કાઢતા ટીકા અને દહેજ માટેની ઉગાહીની વાતો – એ જ્યોતિની જીવનની રોજીંદી ક્રિયા બની ગઈ હતી. એક મધ્યરાત્રે જ્યોતિ અચાનક જાગી અને તે રસોડામાં પાણી પીવા ગઈ ત્યારે તેને રસોડાની બારીમાંથી અંધારામાં કોઈ આવતું નજરે પડ્યું. એના પગના પગલાં આપોઆપ ઉપરના માળ પર ગયા. આ ઘરમાં તો જ્યોતિ, પતિ અને સાસુ-સસરા જ હતા. તો આ બીજું કોણ? જ્યોતિનો શ્વાસ થંભી ગયો. પતિ ઊંઘમાં હતો અને સાસુ-સસરા પણ.
સવાર થઈ. જ્યોતિએ તેના પતિને આ વાત કરી . પણ તેના પતિએ હસીને આ વાત ઉડાવી દીધી
"તારા મનનો વહેમ છે અને ભય છે, આ તારા પાગલપણછે તો હું શું કરું?"
પરંતુ પછીથી તો આવી અજુબી ઘટનાઓ રોજ બનવા લાગી. જ્યોતિના કપડાં પર અજાણ્યા લોહીનાં ડાઘ જોવા મળતા. રસોડામાં ખુલ્લી છરી પર લોહી ચોટેલું દેખાતું. એક રાત્રે તો જ્યોતિના ઓરડાની દિવાલ પર લાલ રંગથી લખેલું વાક્ય દેખાયું
"તારા મોતનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે!"
જ્યોતિએ ફરીથી આ વાત પતિને કહી, પણ પતિએ કહ્યું
"તું પાગલ થઈ ગઈ છે, મને લાગે છે કે ડોકટરને બતાવવું પડશે."
બીજા દિવસે જ્યોતિનું મૃતદેહ છતના હુકમાં લટકતું મળ્યું. બાજુમાં છત પર કપડાં સુકવતી તેમની પડોશણનું ધ્યાન ગયું તેને બુમાબુમ કરી મુકી , તેનો અવાજ સાંભળી બધા બહાર આવ્યાં તેના સાસરિયાંવાળા આ જોઈ રડતાં રડતાં બોલ્યા કે
"આ તો ઘણાં દિવસથી ડિપ્રેશનમાં હતી, લાગે છે કે પોતાના જ હાથેથી આત્મહત્યા કરી લીધી."
પોલીસ આવી, તપાસની શરૂઆત કરી સાસુ-સસરા અને પતિએ એકબીજાને બચાવવાના ખુબ પ્રયાસ કર્યા . પણ જ્યોતિની જૂની ડાયરી કમ નસીબે પોલીસના હાથે લાગી ગઈ અને ડાયરીમાં લખાયેલા શબ્દોએ સત્ય ઉઘાડી નાખ્યું:
."મારા ઘરના લોકો જ મારા જીવના દુશ્મન છે. જો ક્યારેક મારું મૃત્યુ થાય, તો એની પાછળનું રહસ્ય મારા પતિના હાથમાં છે."
સાથમાં એ ડાયરીમાં એક ચિત્ર પણ હતું – એક ધૂંધાળું ચહેરો, જે જ્યોતિના બેડરૂમની બારીમાંથી રોજે રોજ એને જુએ છે. એ કોણ હતું? એ તો કોઈને ખબર નથી.
આજ પણ એ ઓરડાની દિવાલ પર એ લાલ શબ્દો ઉઘાડી આંખે દેખાય છે
"તારા મોતનું કાઉન્ટડાઉન પૂરું થઈ ગયું!"
અંતે એ ઘરમાં કોણ હત્યારું, કોણ પીડિત અને કોણ ભૂત – એ પ્રશ્નો આજે પણ હવામાં સંકેત બનીને ફરે છે.
દોસ્તો તમને શું લાગે છે આ આત્મહત્યા હતી કે પછી તેના સાસરિયાંવાળાનું કાવતરું જ્યોતિને મારવાનું. વાર્તા કેવી લાગી કૉમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જરૂરથી જણાવશો. વાચતા રહો , મસ્તમોલા જીવનને માણતાં રહો.
કપિલા પઢીયાર( કલ્પી)