Visarayeli atihasik virasat in Gujarati Magazine by Sultan Singh books and stories PDF | વિસરાયેલી ઐતીહાસિક વિરાસત

Featured Books
Categories
Share

વિસરાયેલી ઐતીહાસિક વિરાસત

વિસરાયેલી વિરાસત

મહેસાણા શહેરની આન બાન અને શાન સમી પુરાતન સમયની ઐતિહાસિક વિરાસત જે અત્યારે વિનાશના આરે વેરાન પડી છે. ઐતિહાસિક પૌરાણિક અને ધીક્કારભાવથી પીડાતી અમુલ્ય વિરાસત એટલે કે બૌતેર કોઠાની વાવ. મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલી આ ઐતિહાસિક વાવ સૌથી જૂની, ઊંડી અને પ્રાચીનતમ મનાતી વાવ છે. જેનો ઇતિહાસ પણ લગભગ એની વિનાશ પામતી ઈમારત સાથે જ નાશ પામવાના આરે અડેલો છે.

આજના આ સમયમાં જ્યારે World heritage day જેવા દિવસોની વૈશ્વિક કક્ષાએ ઉજવણી થતી હોય ત્યારે આવા સ્થળો ઘણી વાર ધ્યાન બહાર રહી જતા હોય છે. દેશની કેન્દ્ર સરકાર દ્વારા અરબોની યોજનાઓ અમલમાં મુકાતી હોવા છતાં એનો જોઈતો ઉપયોગ જાણે થઇ શકતો નથી. આવા સમયે કર્મ, જ્ઞાન અને કલાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ મનાતા મહેસાણા જિલ્લામાં ઐતિહાસિક સ્થળોની જાળવણી પ્રત્યેનું દમ તોડતું અસ્તિત્વ ઘણા સવાલો ઉભા કરે છે. જ્યારે ભારતના પ્રધાનમંત્રી અને રાજ્યની સરકાર સ્વચ્છતા અભિયાનના નામે કરોડોનું પાણી કરતા હોય ત્યારે આવા અમુલ્ય વારસા પ્રત્યે બેદરકારી અને એમાં ખુલ્લેઆમ ખડકાતા કચરાના થડકલા સ્વચ્છતા અભીયાનના બાળમરણનું જાણે કે કારણ બની જાય છે. આપણા પૂર્વજોની સાંસ્કૃતિક વિરાસતો આજે આપણી અરુચીના કારણે ભગ્ન હાલતમાં ખંડેર રૂપે પડી છે. જેમાં એક મહેસાણાની બોત્તેર કોઠાની વાવ વિનાશના દ્વારે ઉભી છે અને કદાચ જીલ્લાના આવા કેટલાય સ્થાનો કે જેઓ પોતે સ્થાપત્ય ક્ષેત્રે સવિશેષ સ્થાન ધરાવતા હોવા છતાં સરંક્ષણના અભાવે ખંડેર અવસ્થામાં છે. ત્યારે અપણે સ્વાભાવિક પણે આ પ્રશ્ન થવો જ જોઈએ કે, શું આજ છે આપણા દેશની માનસીકતા અને સ્વચ્છતાનું અભિયાન? શું આ રીતે આપણે આપણો વરસો સાચવી શકીશું? ખરેખર જો આવા સ્થળો સંરક્ષિત કરવામાં અને વિકસાવવામાં આવે તો એને એક ઉત્તમ પર્યટન સ્થળ તરીકે વિકસાવી શકાય છે.

કેટલી શરમની વાત છે મહેસાણા માટે કે જ્યારે તેઓ અન્ય સ્થળે આવેલી વાવો જોવા પૈસા ખર્ચીને જતા હોય છે. ત્યારે પોતાના શહેરમાં જે વાવનું નિર્માણ આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલ થયું હોવાનું મનાય છે એવા વારસા વિષે કોઈને જાણ સુધ્ધા નથી. એટલે સુધી કે એમાં કચરાનો નિકાલ કરવા આવતા લોકો પોતે પણ એ નથી જણતા હોય કે એ લોકો જ્યા કચરો ફેંકીને ચાલ્યા જાય છે એ જગ્યાનો ઇતિહાસ શું છે. એટલે સુધી કે મારી વાત કરું તો આજ સુધી હું પોતે પણ આ સ્થળ અંગે અજાણ હતો. પણ મારો ઐતિહાસિક સ્થળો પ્રત્યેનો પ્રેમ મને અહીં પણ ખેંચી જ લાવ્યો. પણ જ્યારે મેં અહીં આવીને પ્રત્યક્ષ મુલાકાત લીધી ત્યારે મને એક વાત સમજાઈ ગઈ કે કદાચ આ વાવની સરકાર તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોમાંથી અપવાદ ઘણી ભુલાવી દેવામાં આવી છે. અભાગી અને વિનાશના આરે સમયના કાંટા આંગળી ના વેઢે ગણતી આ વિરાસત કદાચ આજથી દસ વર્ષ પછી સંપૂર્ણપણે કચરાપેટીમાં તબદીલ થઇ જશે તો એમાં નવાઈ નથી. જેમ આપણે કહી શકીએ કે પુરાતન ખાતા દ્વારા એની નોધ નથી લેવાતી એજ રીતે સ્થાનિક લોકો દ્વારા પણ એની કોઈ ખાસ દરકાર કરવામાં નથી જ આવતી. વાવમાં ખડકાતો કચરો લગભગ ૯૫ ટકા એની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકો દ્વારા ઠલવાય છે. તાજુબ ની વાત એ છે કે આસપાસ રહેતા લોકો માટે એ વિરાસત નહિ પણ હવે કચરા પેટી જ બની ચુકી છે. જ્યા ચોરી છુપે કચરાની થેલીઓ સરકાવીને લોકો નીકળી જાય છે.

મહેસાણાના પરા વિસ્તારમાં મુક્તિધામ એટલે કે સ્મસાનની સામે જ આ વાવ આવેલી છે. પણ એની હાલત એટલી ખરાબ છે કે એના માટે પ્રાચીન, ઐતિહાસિક, વિરાસત, વારસો, વગેરે જેવા શબ્દો હાસ્યના તણખા જેવા જ લાગે છે. થોડીક માહિતી આપણે હવે એના વિષે જાણીશું.

૭૨ કોઠાની વાવનું બાંધકામ

બોત્તેર કોઠાની વાવનું સંપૂર્ણ બાંધકામ કઈક આ પ્રકારે છે.

૭૨ કોઠાની વાવ ઇટેરી વાવ તરીકે પણ ઓળખાય છે. જે ૧૧ મજલા હોવાનું એના અવશેષો અને લોકવાયકા પરથી માનવામાં આવે છે. [જેના સમયની માર અને બેદરકારીના પરિણામે પ્રથમ ત્રણ મજલા જોઈ શકાતા હતા પરંતુ સતત કચરાના નિકાલ અને અંદર ફેલાતી ગંદગીના પરિણામે હવે માત્ર બે મજલા જોઈ શકાય છે.] પશ્ચીમાભિમુખ વાવના પ્રવેશથી બીજા છેડે એક બીજાથી જોડાયેલા બે કુવાની રચના છે. જેનો ઉપયોગ કદાચ પાણી ભરવા માટે જ કરાતો હશે. વાવની અંદરના ભાગે રામણા અને કુતમાં આવેલ અર્ધસ્તંભો તથા બે સ્તંભો જોડતી કમાન રેતીય પથ્થરની છે. વાવનું અંદરનું બાંધકામ જોતા એમાં ગાયકવાડે સમય દરમિયાન સુધારા વધારા થયેલા જોવા મળે છે. વાવના બાંધકામમાં માત્ર ઈંટ અને ચુનાનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાવનું બાંધકામ જોતા આ મુઘલ શહેનશાહ બાબરના સમયમાં બંધાઈ હોવાનું માનવામાં આવે છે.

જ્યારે અત્યારે એની સ્થિતિ જોતા એને કચરાપેટી હોવા સિવાય કઈ માની શકાય એમ નથી જે ખરેખર અફસોસની વાત છે.

સામાન્ય રીતે વાવનો ઇતિહાસ અને એના અંગેની ચિત્રાત્મક માહિતી તપાસતા તમે સ્પષ્ટ પણે જોઈ શકશો કે આ વાવ અન્ય વાવની તુલનામાં સંપૂર્ણ રીતે અલગ છે. ખુબજ ઓછા પ્રમાણમાં શીલ્પ અને સ્થાપત્ય કૃતિ વગેરે કોતરણી કામ એની બનાવટ તેમજ એની અલગતા છતી કરે છે. જેના પાછળનું કારણ એ સમયમાં એની ઉપયોગીતા જ હોઈ શકે છે. સામાન્ય રીતે દરેક સ્થાપત્ય એની ઉપયોગિતાના આધારે જ નિર્માણ પામેલું જોવા મળે છે. દરેક વાવના અનુસંધાને આ વાવાનો ઢાંચો તદ્દન અલગ છે. આ વાવ માત્ર પાણી ભરવાના ઉદેશ્ય પુરતી સીમિત ના હોઈ પોતાની માલમત્તા છુપાવવાનો આશય પણ જોઈ શકાય છે. અને આ વાવ સામાન્ય વ્યક્તિની નજરે ના પડી શકે એવા પ્રકારે બનાવવામાં આવી છે. આ વાવનું બાંધકામ લંબચોરસ આકાર જેવું છે તેમજ ૧૧ મજલા ઊંડી પણ છે. પણ અત્યારે માત્ર બે મજલા સિવાયના મજલા સમયની માર અને ગંદકીના વાર સાથે જમીન દોસ્ત થઇ ગયા છે. આજથી પાંચ વર્ષ પહેલા જે વાવાનો ત્રીજો મજલો પણ સંપૂર્ણ જોઈ શકાતો હતો એ અત્યારે માત્ર અંદાજી કે કલ્પી જ શકાય છે. કદાચ ભવિષ્ય માટે કચરાના ઢગ ઠાલવવાનું કેન્દ્ર આ વાવ જરૂર બનશે એ વાત સ્વીકારવી એની હાલત જોતા અઘરી બને તેમ નથી.

૭૨ કોઠાની વાવનો ઇતિહાસ

સામાન્ય રીતે આ વાવાનો ઇતિહાસ પણ ઈમારતના જેમ સમયના માર સાથે નષ્ટ થતો ગયો છે. એમાં એક આરસપારની તકતી સિવાય કોઇજ આધાર ભૂત સત્ય લોકવાયકાઓ સીવાય અસ્તિત્વમાં નથી. જે તકતી વાવમાં પ્રવેશ કરતા જ પ્રથમ મજલા પર લગાડાયેલી છે. જેમાં સફેદ પથ્થર પર કોતરણી દ્વારા ફારસી અને પાલી ભાષામાં કોતરાયેલુ લખાણ છે. છતાં એની લોક વાયકાઓ પ્રમાણે એનો ઇતિહાસ કઈક આ પ્રકારે પણ દર્શાવાય છે.

લગભગ ૧૮મી સદીમાં જ્યારે દિલ્લીમાં મુઘલ સામ્રાજ્યનું શાસન હતું ત્યારે શહેનશાહ બાબરના સમયમાં આ વાવનું બાંધકામ ચુના અને ઈંટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે શહેરના પરા વિસ્તારમાં છે જેના મૂળ ૧૧ મજલા છે જેમાંથી અત્યારે માત્ર ૨ મજલા આપણે અત્યારે પણ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. સમયનો માર અને આસપાસના લોકોની બેદરકારી તેમજ સરકારની આંખ અને કાન આડા હાથ કરવાની નીતિ સામે પડતો માર આ સ્થળે ભોગવવો પડ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનના બાળમરણ સમી આ વાવની બિસ્માર હાલત ઐતિહાસિક વારસા પ્રત્યેની આપણી બેદરકારીના પરિણામે પુરાતન ખાતા અને રાજકીય સરકારના ધ્યાનમાં આ મુદ્દો ક્યારેય ચડતો જ નથી.

બીજી પ્રચલિત લોકવાયકા પણ એના ઇતિહાસ અંગે માહિતી આપે છે. જેના આધારે એને બોત્તેર કોઠાની વાવ ઉપરાંત ‘લાખા વણઝારાની વાવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મુજબ આ વાવનું બાંધકામ બાબરના શાસનકાળ દરમિયાન ૧૮મી સદીમાં વણઝારાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય પોતાની પાસે રહેલી અમુલ્ય સંપતિ મુઘલ સિપાઈ લુંટી ન લે એના હેતુથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે વણઝારા લોકો પ્રાચીન સમયમાં પૈસાદાર અને અમીર ગણાતા હતા અને એમની પાસે લાખોની માલ-મત્તા પણ સાથે જ હોતી. કદાચ મુઘલ સામ્રાજ્ય પોતાના ખજાના ભરવા આવા વેપારી વણજારા લોકોને જ લુંટતા હશે. અને એના પરિણામે જ એમના ખજાના છલકાતા હશે. આજ પ્રકારે વણજારા સમુદાય જ્યારે મહેસાણા પાસેથી પદયાત્રા દ્વારા અન્ય સ્થળે જઈ રહ્યા હતા ત્યારે એમણે મળેલી બાતમીના આધારે મુઘલ બાદશાહ એમને લુંટવા આગળ સેના સાથે ઉભા હતા. જેના કારણે વણજારા લોકોએ પોતાની સંપતિ બચાવવા માટે મહેસાણાના એ સમયના નિર્જન વિસ્તારમાં આ વાવનું નિર્માણ કાર્ય કર્યું હતું. એમણે આ વાવમાં પોતાની સંપતિ છુપાવી એક તકતી પર એમણે ગુપ્ત સંદેશો પણ અંકિત કરાવ્યો અને પછી પાછા ફરતી વખતે સંપતિ પછી મેળવવાના હેતુ સાથે એ લોકો આગળ વધી ગયા. પણ માનવામાં આવે છે કે મુઘલ શાસનમાં સીપાઈઓ ના હાથે અથવા તો માર્યા ગયા અથવા કેદ થયા પણ ક્યારેય પાછા નથી ફર્યા બસ એમનો વરસો અહીં મુકતા ગયા હતા. જે અત્યારે પણ આપણી વિરાસત તરીકે નજર સમક્ષ હયાત છે.

કેટલાક સવાલો

અતીતના અંધારામાં અને વાવના પેટાળમાં દફન એના ઈતિહાસને લગતા કેટલાક સવાલો જે કદાચ દરેકના રુચિનું કારણ જરૂર બની શકે છે. ઘણું નવું જે ઇતિહાસના પન્ના અને આવી અમુલ્ય વિરાસતના પેટાળમાં દફન થઈને રહી જાય છે.

૭૨ કોઠાની વાવને લાગતા અવાજ કેટલાક રહસ્યમયી સવાલો.

૧. વાવનું બાંધકામ જોતા એ વાત સ્પષ્ટ છે કે એનો મુખ્ય હેતુ પાણી ભરવા પુરતો માર્યાદિત ના હતો. પણ એની અંત ભાગમાં એકબીજા સાથે જોડાયેલા બે કુવાના નિર્માણ નું તાત્પર્ય શું હોઈ શકે.

૨. જો ખરેખર મુઘલ સામ્રાજ્યના સમયમાં સીપાહીઓથી બચવા માટે આખો વણઝારા સમૂહ અહીં રોકાયો હોય તો એમનો વરસો, અવશેષો અથવા સંપતિ કે ઓજારો જરૂર નીચેના મજલાઓમાં હોવા દફન હોવો જ જોઈએ.

૩. સંપતિ છુપાવવાના હેતુથી આ વાવા રચાઈ હોય તો આ વાવમાં એવા ગુપ્ત ભાગોનું બાંધકામ પણ જરૂર અસ્તિત્વ ધરાવતા હશે જેમાં વણજારા સમુદાયો દ્વારા પોતાની સંપતિને છુપાવીને મૂકી હશે. અને એની રક્ષા માટે સુરક્ષા પ્રણાલી પણ જરૂર હશે.

૪. મોટા પાયા પર વણજારા સમૂહ મુઘલ સીપહીઓથી બચવા અહીં આશ્રય લીધો હોય તો એમની પાસે બચાવના સાધનો હતા અથવા એનો અભાવ એમણે અહીં છુપાઈ જવા મજબુર કરતો હશે. પણ એમના રોકવા માટેની સગવડો પણ જરૂર વાવમાં અથવા એની આસપાસ ગોઠવાઈ હોવી જોઈએ.

૫. આ વાવનું બાંધકામ જોતા એનું બાંધકામ ખુબજ જટિલ હશે અને એને બાંધતા લાંબો સમય પણ પસાર થયો જ હશે અને એમાં કેટલાક મજુરો અને મોટા પ્રમાણમાં કાચો માલ પણ વપરાયો હશે. એ ક્યાંથી અને કેવી રીતે મંગાવાયો હોઈ શકે એ પણ એક રહસ્ય જ છે.

૬. જે વણજારા સમુદાયે સંપતિ સાચવવા આટલી ભવ્ય વાવનું નિર્માણ કર્યું હોય એમની પાસે કેટલા મોટા પ્રમાણમાં સંપતિણો જથ્થો હશે અને એમણે એની સુરક્ષા માટે સુરક્ષા પ્રણાલી અંગે પણ જરૂર ગહન વિચારો કાર્ય જ હશે. એ સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારે હોઈ શકે.

૭. જો એ તકતી પર ખજાનાનું રહસ્ય હતું તો કેમ વણજારા આટલા નિર્ભય બની આગળ વધ્યા હશે. એમણે પોતાની સંપતિની જાળવણી અંગે ગહન વ્યવસ્થા જરૂર કરી શકે. કદાચ એમાં લખાયેલા શબ્દો કોડવર્ડ્સ હશે જેને એમના અથવા એમના જેવા સિવાય તોડી શકવા મુશ્કેલ હશે.

૮. એમાં જડેલી તકતીમાં માત્ર એક તકતી [જે ફારસી અને પાલી ભાષામાં છે, જેનો મધ્ય ભાગ પણ નાશ કરવામાં આવેલો છે.] સિવાય કોઇજ તકતી હયાત નથી [ઉપરના બે મજલમાં] શક્ય છે એને એમના દ્વારા અથવા મુઘલ સિપાહીઓ દ્વારા તોડી પાડવામાં આવી હોય. અને શક્ય છે એને અત્યારના થોડાક સમય પહેલા બેદરકારી વશ પણ નાશ કરાયો હોય.

આવા કેટલાય અગણિત પ્રશ્નો આજે કચરાના ઢગલા અને ગંદા પાણીના તળિયા નીચે વેરાન થયેલી આ વાવના પેટાળમાં દફન થઇ ગયા છે. ભવ્ય ઇતિહાસ, વારસો અને કદાચિત અમુલ્ય ખજાનો [જો મોઘલ સિપાઈ અથવા અન્ય લોકો દ્વારા એને પ્રાચીન સમયમાં અથવા એના પછીના સમયમાં લુંટી ન લેવાયો હોય તો] પણ હોઈ શકે એવા રહસ્યો પોતાના પેટાળમાં લઇ આ વાવા વિનસના આરે પડી છે.

એક અછાંદસ કવિતા

સભ્યતાની વાત ન કરો સાહેબ,

દેશના ઐતિહાસિક વારસાઓ તરફ ધિક્કાર ભાવ જોયા છે...

ચોખ્ખાઈ થઈ જૂની વાત શાનની,

દેશની અણમોલ વિરાસત પર ગંદકી ફેલાવતાય જોયા છે...

જાળવણી કરવાની તો ક્ષમતા નથી,

છતાંય કચરાના ઢગ ચોરીછુપે દૂરથી છટકાવતા જોયા છે...

સંરક્ષણની વાત સાવ જ છોડો સાહેબ,

સરકારને પણ જોતી નજરે આંખ આડા હાથ કરતા જોયા છે...

ભલે વારસો અણમોલ સદીઓ જૂનો,

પુરાતન ખાતા અને જનતાને એનો વિનાશ કરતા જોયા છે...

મહેસાણાની શાન બૌત્તેર કોઠાની વાવ,

એજ વાવને ધરોહરી શાનથી વેરાન કરતા લોકોને જોયા છે...

ભલે નથી સમજ સભ્યતાની અહિં,

પણ માણસાઈની વિભાવનાને પણ શરમસાર કરતા જોયા છે...

~ સુલતાન સિંહ 'જીવન' (૬:૨૩, ૨ સપ્ટેમ્બર ૨૦૧૬)

નોધ :- કાલે મહેસાણા શહેર સ્થિત સૌથી પુરાણી ઐતિહાસિક વાવ ની બદતર હાલત જોયા બાદ અનુભવેલી લાગણીઓ...

એક વિનંતી

આપણી આસપાસ રહેલા આવા સ્થળો પ્રત્યે જરૂર જાણકારી મેળવો અને શક્ય હોય તો એના પ્રત્યે સ્થાનિક સરકારનું ધ્યાન દોરાય તેવા પ્રયત્નો પણ જરૂર કરો. અને થોડીક માહિતી મળે તો મને પણ મોકલશો મને આવા ઐતિહાસિક સ્થળો વિષે જાણવું ગમશે.

આભાર.

ડોક્યુમેન્ટરી મુવી

આવા જ વિષયને ધ્યાનમાં રાખી હું એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવા જઈ રહ્યો છું. જે થોડાક સમયમાં મારી યુટ્યુબ ચેનલ પર આપ જોઈ શકસો વધુ માહિતી માટે મારા બ્લોગની મુલાકાત લઇ શકો છો.