સંઘર્ષ, દુખ અને વિકાશ
વિધાતાના ન્યાયને પડકારતા એક અહંકારી ખેડૂતની એવી રોમાંચક કથા, જે વાંચીને સમજાશે કે જીવનના અસલી ઘઉં સગવડોમાં નહીં પણ સંઘર્ષના વંટોળમાં જ પાકે છે!
એક સમયની વાત છે, જયારે પૃથ્વી ઉપર સતયુગ ચાલતો હતો.આ યુગમાં એક ગામમાં ‘કાળુભાઈ’ નામનો એક અહંકારી છતાં અત્યંત પુરુષાર્થી વૃદ્ધ ખેડૂત રહેતો હતો. કાળુભાઈ આખી જિંદગી પરસેવો પાડીને થાક્યો હતો, પણ ક્યારેય પોતાની મહેનત થી ખુશ ન હતો. તેને ઈશ્વર ના કાર્ય માં હંમેશા ત્રુટી જણાતી હતી.
એક દિવસ કાળુભાઈનો પિત્તો ગયો. તેણે સીધું પ્રભુ ને આહ્વાહન આપ્યું. પ્રભુ પ્રત્યક્ષ થયા. પ્રભુ ને જોઈ કાળુભાઈ ગર્વથી બોલ્યો, "હે પ્રભુ! તમે બ્રહ્માંડના સ્વામી હશો, પણ તમને ખેતીના ‘ખ’ ની ખબર નથી! તમારો આ પ્રકૃતિનો નિયમ, આ કાળઝાળ ઉનાળો, આ અણધાર્યો વરસાદ અને આ વિનાશક વાવાઝોડાં. આ કાતિલ ઠંડી... આ બધું તદ્દન નકામું છે! તમે માણસને દુઃખ અને સંઘર્ષ સિવાય કંઈ આપ્યું જ નથી."
ભગવાને મંદ સ્મિત સાથે પૂછ્યું, "તો બોલ કાળુભાઈ, તારી શું ઈચ્છા છે?"
કાળુભાઈએ છાતી ઠોકીને કહ્યું, "મને માત્ર એક વર્ષ માટે પ્રકૃતિનું સુકાન સોંપો. મારી મરજી મુજબ ઋતુઓ બદલાવા દો. પછી જુઓ, હું આ ધરતી પરથી ગરીબીનું નામનિશાન મિટાવી દઈશ!" ભગવાન ‘તથાસ્તુ’ કહીને અંતર્ધ્યાન થઈ ગયા.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ (પંચતંત્ર)
ઉદ્યોગ એટલે કે મહેનત કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, માત્ર મનના મનોરથો (ઈચ્છાઓ) કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં હરણો પોતે આવીને પ્રવેશી જતા નથી.
ઋતુચક્ર હવે કાળુભાઈના હાથમાં હતું. કાળુભાઈએ ખેતરમાં ઘઉંનો ઉત્તમ પાક વાવ્યો. જેવો તડકો જોઈએ એવો જ આપ્યો, જેટલું પાણી જોઈએ એટલું જ વરસાવ્યું. જ્યારે વાવાઝોડું કે ઝંઝાવત આવવાની તૈયારી થાય, ત્યારે કાળુભાઈ પવનને આદેશ આપીને રોકી દેતો. રાત્રે ખુબ ઠંડી પડતી જે ઘઉંના પાક માટે ખુબ જરૂરી હૈ તે પણ તે અટકાવી દીધી. ક્યાંય કોઈ અડચણ નહીં, કોઈ પડકાર નહીં. પ્રકૃતિ જાણે કાળુભાઈની દાસી બની ગઈ હતી!
આ જોઈ કાળુભાઈ હરખાઈ ગયો અને મનોમન બોલ્યો: "ઘીના ઠામમાં ઘી પડી રહ્યું!" બધું જ ધાર્યા પ્રમાણે ગોઠવાઈ ગયું હતું. ઘઉંના છોડ ઇતિહાસમાં ક્યારેય ન વધ્યા હોય એટલા ઊંચા અને લહેરાતા થઈ ગયા.
પરંતુ કાળુભાઈ આ ગૂઢ સત્યથી અજાણ હતો. તે તો માત્ર સુખની જ કામના કરતો રહ્યો. સમય પાકતાં લણણીનો દિવસ આવ્યો. આખું ગામ કાળુભાઈની ચમત્કારી ખેતી જોવા ભેગું થયું. સોના જેવી લહેરાતી ઘઉંની ડુંડીઓ જોઈને કાળુભાઈ અટ્ટહાસ્ય કરી ઊઠ્યો. તેણે ગર્વથી ઘઉંની એક ડુંડી તોડીને હાથમાં મસળી. પણ આ શું?!
ડુંડીની અંદર ઘઉંનો એક પણ દાણો નહોતો! આખી ડુંડી અંદરથી સાવ પોચી અને ખાલીખમ હતી! કાળુભાઈ સ્તબ્ધ થઈ ગયો. એક પછી એક બધી ડુંડીઓ ચેક કરી, બધી જ ખાલી! કાળુભાઈ માથું કૂટીને રડી પડ્યો. તેની મહેનત માટીમાં મળી ગઈ. "ભણ્યો પણ ગણ્યો નહીં" એવી તેની દશા થઈ. હવે તેને ભગવાન યાદ આવ્યા. ભગવાનને ખબર હતી કે કીધો કુભાર ગધેડે ન ચડે.
ભગવાન કાળુભાઈ સમક્ષ આવ્યા કાળુભાઈ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો અને આક્રંદ કરતાં પૂછ્યું, "હે દયાળુ! આવો અન્યાય કેમ? મેં છોડને બધી જ અનુકૂળતા આપી, તો પણ આ પાક કેમ નિષ્ફળ ગયો? છોડ ઉચા લહેરાતા પણ તેમાં એક પણ દાણો કેમ નથી આવ્યો ?"
પ્રભુએ હળવાશથી કાળુભાઈના ખભે હાથ મૂક્યો અને ગંભીર અવાજે કહ્યું: "હે કાળુભાઈ! આ કોઈ અન્યાય નથી, આ તો પ્રકૃતિનો અમોઘ નિયમ છે. તે છોડને માત્ર સુખ આપ્યું, પણ કોઈ પડકાર ન આપ્યો. તે વાવાઝોડાં રોકી દીધા, તે વીજળીના કડાકા બંધ કરી દીધા, તે આકરા તડકાની તપસ્યા છીનવી લીધી. ઘઉંને જોઈતી ઠંડી અટકાવી દીધી. સંઘર્ષ વિના છોડ અંદરથી સાવ ખાલી અને નિર્જીવ બની ગયા. ઝંઝાવતો જ વનસ્પતિના આત્માને ઢંઢોળે છે અને તેને ફળદ્રુપ બનાવે છે.
પ્રકૃતિ, જીવ પ્રાણી માત્ર સંઘર્ષ થી મજબુત બને છે. હું ધારત તો આજે દાણો રોપ્યો ને કાલે ખેતર ઉભું થઇ ગયું હોત તો jivan નો આંનદ ન રહેત.
આજે તે ખેતર ખેડ્યું. પાક ત્રણ મહિને તૈય્યાર થાય તે રાહ જોવા ઘર બાંધ્યું. આટલા મોટા ખેતરના કામ કાજ માટે ઘણા લોકો ની જરૂર પડે એટલે તે પરિવાર બનાવ્યો. જયારે પાક તૈય્યાર થયો ત્યારે તને કેટલી ખુશી હતી અને અત્યારે જો.”
शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतमूर्धनि ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ॥
રસ્તો ધીમે ધીમે કપાય છે, ગોદડી (વસ્ત્ર) ધીમે ધીમે સીવાય છે, પર્વત પર ધીમે ધીમે ચડાય છે, વિદ્યા પણ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય છે અને ધન પણ ધીમે ધીમે કમાવાય છે – આ પાંચ વસ્તુઓ હંમેશા ધીરજપૂર્વક અને ધીમે ધીમે જ સિદ્ધ થાય છે.
કાળુભાઈને જ્ઞાન લાધ્યું કે જીવનમાં દુઃખ, અડચણો અને સંઘર્ષો એ કોઈ શ્રાપ નથી, પણ આત્માને મજબૂત કરવાનું અમૃત છે. "કસોટી વિના કોઈ ઉત્તીર્ણ થતું નથી" તે સત્ય તેને સમજાયું.
સુખના સાગરમાં ડૂબીને માણસ પોચો થઈ જાય છે,
દુઃખના અંગારા પર ચાલીને જ એ કંચન થાય છે;
જો ના આવે ઝંઝાવતો આ જીવનની મધરાતે,
તો માનવનો આત્મા અંદરથી સાવ કોરો રહી જાય છે.
ભગવાન સ્મિત સાથે અંતર્ધ્યાન થઈ ગયા અને કાળુભાઈ હવે બદલાઈ ચૂક્યો હતો. તે સમજી ગયો કે સુખનો ખરો આનંદ અને વિકાશ સંઘર્ષ માં જ છે. સંઘર્ષ એ કોઈ દુખ નથી. જો રાત ન હોય તો દિવસનું કોઈ મૂલ્ય નથી.
विपदः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्गुरो ।
भवतो दर्शनं यत्स्यादपुनर्भवदर्शनम् ॥ શ્રીમદ ભાગવત 1-8
માતા કુંતી ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે જ્યારે આપણી પર મુશ્કેલીઓ હતી (લાક્ષાગૃહ, વનવાસ, યુદ્ધ), ત્યારે તમે દરેક ક્ષણે અમારી સાથે હતા. આજે જ્યારે પાંડવો જીતી ગયા છે અને સુખ આવ્યું છે, ત્યારે તમે અમને છોડીને દ્વારકા જઈ રહ્યા છો. આવા વૈભવ અને સુખ કરતાં તો એ દુઃખ ઘણું સારું હતું, જેમાં તમે અમારી નજર સામે રહેતા હતા. સુખમાં માણસ ભગવાનને ભૂલી જાય છે, પણ દુઃખ માણસને ઈશ્વરની સૌથી નજીક લાવે છે.