Rols royal ane osho in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | રોલ્સ રોયસ, રણકાર અને રહસ્યમય ઓશો

Featured Books
Categories
Share

રોલ્સ રોયસ, રણકાર અને રહસ્યમય ઓશો

રોલ્સ રોયસ, રણકાર અને રહસ્યમય ઓશો

એક માણસ ઓશોને રોલ્સ રોયસ માટે પ્રશ્ન કરવા આવ્યો હતો… પરંતુ પાછો ફર્યો ત્યારે તેને પોતાની અંદરની ગરીબી દેખાઈ રહી હતી।
આ વાર્તા વૈભવની નથી — મનુષ્યના અહંકાર, ઈર્ષ્યા અને સત્યના અરીસાની છે।

અમેરિકાની ધરતી પર એક સમય એવો આવ્યો હતો કે જ્યાં હજારો લોકો એક ભારતીય સંન્યાસીના એક દર્શન માટે તરસતા હતા. એ સંન્યાસીનું નામ હતું  ओशो।

તેમના શબ્દોમાં એવી ચુંબકીય શક્તિ હતી કે લોકો પોતાના જીવનના બધા પ્રશ્નો ભૂલી જતા. અમેરિકાની ધરતી પર તેમણે એક નગર વસાવ્યું — રજનીશપુરમ।
વિશ્વ ચકિત હતું. કોઈ તેમને મહાન દાર્શનિક કહેતો, કોઈ વિવાદાસ્પદ સંત, તો કોઈ આધ્યાત્મિક ક્રાંતિનો પ્રણેતા.

પરંતુ લોકોના મનમાં એક પ્રશ્ન સળવળતો જ રહ્યો —
“એક સંન્યાસી પાસે રોલ્સ રોયસ જેવી વૈભવી ગાડીઓનો કાફલો કેમ?”

લોકો જ્ઞાન કરતાં વધુ ગાડીઓની ગણતરી કરતા હતા.

એ જ તો માનવસ્વભાવ છે.

“બીજાનું વૈભવ માણસને ઘણી વાર પોતાના દુઃખ કરતાં વધારે દુઃખી બનાવે છે.”

તે દિવસોમાં ઓશો પાસે અનેક રોલ્સ રોયસ કારો હતી. કોઈ કહે નવ્વાણું… કોઈ કહે સો.
પરંતુ આ ગાડીઓ કરતાં પણ વધુ કિંમતી તેમની વાણી હતી, જે માણસના મનના પરદા ઉતારી નાખતી હતી.

એક દિવસ ઓશોને એક વ્યક્તિનો પત્ર મળ્યો.

તે લખતો હતો:

“હું તમને મળવા માંગું છું. મને કેટલાક પ્રશ્નો પૂછવાના છે.”

ઓશો દરેક પત્રનો જવાબ આપતા. પછી ભલે કોઈ પણ હોય. તેમણે પણ તે વ્યક્તિને મળવાનો સમય આપ્યો.

નક્કી થયેલા દિવસે હજારો લોકો વચ્ચે તે વ્યક્તિ ઉપસ્થિત થયો.
ચર્ચા પૂર્ણ થયા પછી તે ઊભો થયો. આંખોમાં અહંકાર અને અવાજમાં આક્ષેપ ભરેલો.

તે બોલ્યો: “તમે પોતાને આધ્યાત્મિક ગુરુ કહો છો. જ્યાં લાખો લોકો ભૂખ્યા સુઈ જાય છે… જ્યાં ગરીબી, બેરોજગારી અને બેઘરપણું છે… ત્યાં તમારી પાસે રોલ્સ રોયસનો કાફલો છે!
શું આ ગરીબોની મજાક નથી?”

સભામાં સન્નાટો છવાઈ ગયો.

પ્રશ્ન ઓછો… આરોપ વધારે હતો.

ત્યારે ઓશો મૌન રહ્યા.

થોડી ક્ષણ પછી તેમણે શાંતિથી પૂછ્યું:

“તારા પ્રશ્નો પૂર્ણ થયા?”

તે વ્યક્તિએ ગર્વથી માથું હલાવ્યું.
તેને લાગ્યું — આજે ઓશો નિઃશબ્દ થઈ જશે.

 

ઓશોએ ધીમેથી બોલવાનું શરૂ કર્યું:

“સરકારો પ્રયત્ન કરે છે… સંસ્થાઓ પ્રયત્ન કરે છે… દાનીઓ પ્રયત્ન કરે છે… છતાં ગરીબી યથાવત છે.”

પછી તેમણે એક ગહન સ્મિત સાથે કહ્યું:

“કારણ કે દુનિયા સમસ્યાનું મૂળ શોધતી નથી… માત્ર દેખાવને દોષ આપે છે.”

ત્યારબાદ તેમણે તે વ્યક્તિ તરફ જોયું.

“તમે તમારા પત્રમાં લખ્યું હતું કે હું મારી રોલ્સ રોયસ વેચી દઉં તો ગરીબોને ઘણો લાભ થાય.”

ઓશોએ પૂછ્યું:

“ચાલો માનીએ કે બધું વેચી દઉં… પછી?”

“દેશમાં કરોડો ગરીબો છે. દરેકના ભાગે કેટલું આવશે? પાંચ પૈસા પણ નહીં.”

સભામાં હળવો ખડખડાટ થયો.

ઓશો આગળ બોલ્યા:

“જ્યારે હું પગપાળા ચાલતો હતો, ત્યારે પણ ગરીબો એટલાં જ હતા. આજે રોલ્સ રોયસમાં ચાલું છું, ત્યારે પણ એટલાં જ છે.”

પછી તેમની વાણી વીજળી બની.

“तृष्णा न जीर्णा वयमेव जीर्णाः।” — ભર્તૃહરિ
ઇચ્છાઓ ક્યારેય વૃદ્ધ થતી નથી; વૃદ્ધ તો માણસ પોતે થઈ જાય છે.

ઓશોએ કહ્યું:

“તમારું હૃદય ગરીબો માટે કરુણાથી નથી ભરેલું…
તે તો આ કારો પ્રત્યેની ઈર્ષ્યાથી ભરાયેલું છે.”

 

ઓશોએ અચાનક પ્રશ્ન કર્યો:

“તમે શું કર્યું ગરીબો માટે?”

“તમારી કાર વેચી? તમારું ઘર દાન કર્યું? તમારું વૈભવ છોડ્યું?”

તે વ્યક્તિ નિઃશબ્દ હતો.

સભામાં ગાઢ મૌન ઉતર્યું.

ઓશો આગળ બોલ્યા:

“લોકોને બીજાનું વૈભવ ખુંચે છે, પરંતુ પોતાનું સુખ છોડવું નથી.”

“परद्रव्येषु लोभो यः स दुःखस्य कारणम्।” — ચાણક્ય નીતિ
બીજાની સંપત્તિ પ્રત્યેનો લોભ અને ઈર્ષ્યા જ દુઃખનું મૂળ છે.

 

ધનથી નહીં, વિચારોથી માણસ ગરીબ બને,
ઈર્ષ્યાના અગ્નિમાં અંતર આત્મા સડે।
જેને પરનું સુખ પણ કંટક સમાન લાગે,
તેના જીવનમાં શાંતિ કદી ન જાગે॥

 

ઓશોએ અંતિમ પ્રહાર કર્યો:

“તમે અહીં સુધી વિમાનમાં આવ્યા છો. તે પૈસા પણ કોઈ ગરીબને આપી શકતા હતા.”

“તમારા કપડાં… તમારી ઘડિયાળ… બધું દાન કેમ નથી કરતા?”

તે માણસનો ચહેરો ઉતરી ગયો.

કારણ કે સત્ય કડવું હોય છે.

“બીજાને ઉપદેશ આપવો સહેલો, પોતાને બદલવું અઘરું.”

ઓશો શાંત હતા… પરંતુ તેમની શાંતિમાં જ તોફાન હતું.

ત્યારે તેમણે ભગવદ ગીતાનો એક શ્લોક સંભળાવ્યો:

“उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।” — શ્રીમદ ભગવદ ગીતા
માણસે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ; પોતાને અધોગતિમાં ન ધકેલવો જોઈએ.

ઓશોએ કહ્યું: “જ્યાં સુધી માણસ પોતાની જવાબદારી બીજાના ખભા પર મૂકતો રહેશે, ત્યાં સુધી ગરીબી અને દુઃખ સમાપ્ત નહીં થાય.”

તે વ્યક્તિ હવે ત્યાં ઊભો રહી શક્યો નહીં.

તે ધીમે ધીમે પાછળ વળ્યો… અને ભીડમાં ગાયબ થઈ ગયો.

પરંતુ એ દિવસે હજારો લોકો સમજી ગયા કે ગરીબી માત્ર ખિસ્સામાં નથી હોતી…

ક્યારેક ગરીબી મનમાં પણ વસે છે.

 

ઓશો પાસે રોલ્સ રોયસ હતી, પરંતુ તેઓ તેના ગુલામ નહોતા.
જગત પાસે ઈર્ષ્યા હતી… અને તે જ તેનું બંધન હતું.

“मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः।”— અમૃતબિંદુ ઉપનિષદ
મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ તેનું મન જ છે.