Gita – Your question is answered by Shri Krishna - 6 in Gujarati Moral Stories by Hardik Galiya books and stories PDF | ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 6

Featured Books
Categories
Share

ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 6

હાર્દિક: નમસ્કાર મારા વહાલા મિત્રો! કેમ છો બધા? સ્વાગત છે તમારા ફેવરિટ પોડકાસ્ટ ‘ગીતા: સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ માં. હું છું તમારો હોસ્ટ, દોસ્ત અને આધ્યાત્મિક સફરનો સાથી - હાર્દિક.

     મિત્રો, અત્યાર સુધી આપણે બહુ હેવી-હેવી વાતો કરી. પહેલા એપિસોડમાં અર્જુનના ડિપ્રેશનની વાત કરી. પછી આત્મા અને શરીરનું સાયન્સ સમજ્યા. ત્રીજામાં કર્મયોગ (કામ કરો પણ રિઝલ્ટનું ટેન્શન ન લો) અને ચોથામાં સ્વધર્મની વાત કરી. ગયા એપિસોડમાં તો આપણે આપણા વાંદરા જેવા 'મન' નું ઓપરેશન પણ કરી નાખ્યું! ધ્યાનની વાતો કરી, સાક્ષી ભાવની પ્રેક્ટિસ કરી.

       .....પણ આ બધું સાંભળીને મારા કેટલાક શ્રોતાઓએ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા:

      "હાર્દિકભાઈ, આ ધ્યાન કરવું, સાક્ષી ભાવ રાખવો, મનને કંટ્રોલ કરવું... આ બધું બહુ અઘરું લાગે છે યાર! અમે તો સંસારી માણસ, આખો દિવસ ઓફિસ, બોસ, ટ્રાફિક અને ઈએમઆઈ (EMI) ના ચક્કરમાં હોઈએ છીએ. અમારું મગજ એટલું ચાલતું જ નથી. તો શું અમારા જેવા સામાન્ય માણસો માટે ભગવાન નથી? કોઈ શોર્ટકટ ખરો?"

      મિત્રો, જો તમારો પણ આ જ સવાલ હોય, તો આજનો એપિસોડ તમારા માટે જ છે. 

      આજે આપણે વાત કરવાના છીએ એક એવા શોર્ટકટની, જેમાં મગજ લડાવવાનું નથી, ખાલી દિલ લગાવવાનું છે!

      તો ચાલો, આ 'પ્રેમના માર્ગ' ને સમજવા માટે આપણે બોલાવીએ આપણા હસતા-રમતા જ્ઞાની ગુરુ... શાસ્ત્રીજીને! પ્રણામ શાસ્ત્રીજી!

શાસ્ત્રીજી: કલ્યાણમસ્તુ હાર્દિક! જય શ્રી કૃષ્ણ. સૌ શ્રોતા મિત્રોને મારા હૃદયપૂર્વક વંદન.

હાર્દિક: શાસ્ત્રીજી, આજે મારે શ્રોતાઓના પક્ષે રહીને એક સીધો સવાલ કરવો છે. ગીતાના બારમા અધ્યાયમાં અર્જુન પોતે પણ એક સવાલ પૂછે છે ને? કે ભગવાનને પામવાનો શ્રેષ્ઠ રસ્તો કયો? જ્ઞાનનો કે ભક્તિનો? ભગવાન શું જવાબ આપે છે?

શાસ્ત્રીજી: હાર્દિક, અર્જુનનો આ સવાલ આખી માનવજાત માટે બહુ મોટો આશીર્વાદ બની ગયો. અર્જુને બારમા અધ્યાયની શરૂઆતમાં જ પૂછ્યું:

      "હે કૃષ્ણ, જે લોકો નિરાકાર (Formless) પરમાત્માનું ધ્યાન ધરે છે, અને જે લોકો તમારા સગુણ સ્વરૂપ (Physical Form) ની પ્રેમથી ભક્તિ કરે છે - આ બેમાંથી કોણ ચડિયાતું?"

      ભગવાન કૃષ્ણ બહુ સ્પષ્ટ જવાબ આપે છે. એ કહે છે:"જે મારું ધ્યાન ધરે છે એ પણ મને જ પામે છે, પણ જે લોકો શરીરધારી છે (જેમને દેહનું અભિમાન છે), એમના માટે નિરાકારનું ધ્યાન કરવું બહુ કષ્ટદાયક છે. પણ જેઓ પોતાના તમામ કર્મો મને અર્પણ કરીને, અનન્ય પ્રેમથી મારું સ્મરણ કરે છે, એમના માટે હું સંસાર-સાગરમાંથી સૌથી ઝડપથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું."

હાર્દિક: એટલે કે ભક્તિનો રસ્તો વધારે સહેલો અને ફાસ્ટ છે? પણ સાહેબ, એક ઉદાહરણ આપીને સમજાવો ને. આ જ્ઞાનયોગ અને ભક્તિયોગ વચ્ચે ફરક શું?

શાસ્ત્રીજી: ચોક્કસ! આપણા શાસ્ત્રોમાં બે બહુ સુંદર ઉદાહરણ છે:

૧. મર્કટ ન્યાય (વાંદરાનો નિયમ) અને 

૨. માર્જાર ન્યાય (બિલાડીનો નિયમ).

ધ્યાનથી સાંભળજો. વાંદરીનું બચ્ચું જ્યારે પોતાની મા સાથે જાય, ત્યારે બચ્ચાએ માને કસીને પકડી રાખવી પડે છે. જો બચ્ચું પકડ ઢીલી કરે, તો એ નીચે પડી જાય. મા કૂદકા મારે, પણ પકડી રાખવાની જવાબદારી બચ્ચાની!આ છે જ્ઞાનયોગ અને ધ્યાનયોગ. તમારે સતત સાવધાન રહેવું પડે, તમારી ઈન્દ્રિયો પર કંટ્રોલ રાખવો પડે. જો તમારી પકડ છૂટી, તો પતન નિશ્ચિત છે.

      હવે બિલાડીનું બચ્ચું જુઓ. બિલાડીનું બચ્ચું માને પકડતું નથી. એ ખાલી "મ્યાઉં" કરે છે, અને મા પોતે પોતાના મોઢામાં બચ્ચાને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત મૂકી આવે છે. બચ્ચાને કોઈ ટેન્શન જ નહીં! આ છે ભક્તિયોગ. ભક્ત ખાલી ભગવાનને પ્રેમથી પોકારે છે. પછી એને પકડી રાખવાની, સાચવવાની અને સંસાર રૂપી ખાઈમાંથી પાર ઉતારવાની પૂરી જવાબદારી ભગવાન પોતે લઈ લે છે!

હાર્દિક: વાહ શાસ્ત્રીજી વાહ! શું ગજબનું ઉદાહરણ આપ્યું! એટલે કે ભક્તિયોગમાં આપણે ખાલી બિલાડીના બચ્ચાની જેમ ભગવાન પર પૂરો ભરોસો મૂકી દેવાનો?

શાસ્ત્રીજી: એકદમ સાચું. આને કહેવાય 'શરણાગતિ' (Surrender).

હાર્દિક: પણ સાહેબ, આજનો મોડર્ન માણસ ભક્તિને કંઈક અલગ જ સમજે છે. લોકો પૂજા કરે છે, ઉપવાસ કરે છે, ૧૦૮ નાળિયેર વધેરે છે અને પછી ભગવાન સામે એક લાંબુ લિસ્ટ મૂકી દે છે - "પ્રભુ, દીકરાને નોકરી અપાવી દેજો, પાડોશી કરતા મોટી ગાડી અપાવી દેજો, મારી ફાઈલ પાસ કરાવી દેજો!"

તો શું આ ભક્તિ છે?

શાસ્ત્રીજી: (હસીને) હાર્દિક, આ ભક્તિ નથી, આ 'બિઝનેસ ડીલ' (વેપાર) છે!

જ્યાં માંગણી છે, ત્યાં ભક્તિ નથી હોતી.આજકાલ લોકો ભગવાનને 'એટીએમ (ATM) મશીન' સમજી બેઠા છે. નાળિયેર નાખો અને મન્નત બહાર આવે!સાચી ભક્તિમાં કોઈ શરત નથી હોતી. ભક્તિ એટલે 'પ્રેમ'. અને પ્રેમમાં ક્યારેય માંગવાનું ના હોય, ખાલી આપવાનું હોય.

કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે:

"પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ |" (૯.૨૬)

(જે કોઈ ભક્ત મને પ્રેમથી એક પાંદડું, ફૂલ, ફળ કે ખાલી પાણી પણ અર્પણ કરે છે, હું એ પ્રેમથી આપેલી ભેટને પ્રગટ થઈને સ્વીકારું છું.)

      ભગવાન તમારી ૫૬ ભોગની થાળીના ભૂખ્યા નથી, એ તમારા 'ભાવ' ના ભૂખ્યા છે. શબરીએ કોઈ હવન નહોતો કર્યો, એણે તો એંઠા બોર ખવડાવ્યા હતા, છતાં રામ દોડીને આવ્યા. કારણ કે ત્યાં ડીલ નહોતી, દિલ હતું!

હાર્દિક: ગજબ! એટલે કે જો હું રોજ બે કલાક પૂજા કરું, પણ મારા મનમાં કોઈના માટે ઈર્ષ્યા હોય કે મારે ભગવાન પાસેથી કંઈક કઢાવવું હોય, તો એ પૂજા ઝીરો?

શાસ્ત્રીજી: બિલકુલ. અને ભક્તિ ખાલી મંદિર પૂરતી સીમિત નથી. ભક્તિ એ તમારી આખી લાઈફસ્ટાઈલ બની જવી જોઈએ.

જ્યારે તમે ઓફિસમાં કામ કરો, ત્યારે એમ વિચારો કે "આ કામ હું મારા બોસ માટે નહીં, મારા કૃષ્ણ માટે કરું છું. તો મારે એ બેસ્ટ જ કરવું જોઈએ."

જ્યારે તમે કોઈ ભૂખ્યાને જમાડો, ત્યારે એમ માનો કે "હું ભગવાનને જમાડી રહ્યો છું."તમારું દરેક કર્મ જ્યારે ભગવાનને સમર્પિત થઈ જાય, ત્યારે તમારું જીવન જ એક પૂજા બની જાય છે.

હાર્દિક: શાસ્ત્રીજી, આજના સમયમાં લોકો બહુ એન્ઝાયટી (Anxiety) અને ઓવરથિંકિંગ ના શિકાર છે. "ભવિષ્યમાં શું થશે?", "કરિયરનું શું થશે?", "રિલેશનશિપનું શું થશે?" - આ સતત ભય સતાવ્યા કરે છે.

આ ભક્તિયોગ અને શરણાગતિ આજના યુવાનોને આ ચિંતામાંથી કેવી રીતે બહાર કાઢી શકે?

શાસ્ત્રીજી: હાર્દિક, એન્ઝાયટીનું સૌથી મોટું કારણ શું છે ખબર છે?'ઈલ્યુઝન ઓફ કંટ્રોલ' (Illusion of Control - બધું મારા કંટ્રોલમાં છે એવો ભ્રમ).

માણસને એમ છે કે જો હું બધું પ્લાનિંગ કરીશ, તો બધું મારા હિસાબે જ ચાલશે. અને જ્યારે એવું નથી થતું, ત્યારે એ તૂટી જાય છે.

     ભક્તિયોગ એક દિવ્ય જીપીએસ (GPS) જેવું છે.ધારો કે તારે એક અજાણ્યા શહેરમાં જવું છે. તું તારી ગાડીનું સ્ટીયરિંગ પકડી રાખે છે, પણ રસ્તો તને ખબર નથી. તું ગૂંચવાય છે, ટેન્શનમાં આવે છે. પછી તું શું કરે? તું ગૂગલ મેપ્સ (GPS) ઓન કરે છે, ડેસ્ટિનેશન નાખે છે અને પછી એ અવાજ પર પૂરો ભરોસો મૂકી દે છે. "Take a left, take a right" - તું સવાલો નથી કરતો, તું ખાલી ફોલો કરે છે.

     શરણાગતિ એટલે જીવનનું સ્ટીયરિંગ ભગવાનના હાથમાં સોંપી દેવું.

     ભક્ત એમ વિચારે છે કે: "પ્રભુ, મેં મારી મહેનત પૂરી કરી લીધી છે. હવે રિઝલ્ટ જે પણ આવશે, એ તારો પ્રસાદ સમજીને સ્વીકારી લઈશ. કારણ કે મને ખબર છે કે મારું ધાર્યું થાય તો હું ખુશ, પણ જો મારું ધાર્યું ના થાય, તો એ તારી મરજી છે, એટલે એ મારા માટે 'બેસ્ટ' જ હશે!"

    જ્યારે આ ભાવ દિલમાં આવી જાય ને હાર્દિક, ત્યારે એન્ઝાયટીનું નામોનિશાન મટી જાય છે. તમે એકદમ રિલેક્સ થઈ જાવ છો.

હાર્દિક: ઓહ હો! "મારું ધાર્યું થાય તો સારું, અને ના થાય તો વધારે સારું કારણ કે એમાં ભગવાનનું ધાર્યું થાય છે!"

    શાસ્ત્રીજી, આ એક વાક્ય જો કોઈ જીવનમાં ઉતારી લે, તો એને ક્યારેય કોઈ સાઇકિયાટ્રિસ્ટ (Psychiatrist) પાસે જવાની જરૂર જ ના પડે.તો ભગવાને ભક્તના લક્ષણો કેવા કહ્યા છે? સાચો ભક્ત કોણ છે?

શાસ્ત્રીજી: બારમા અધ્યાયના અંતમાં કૃષ્ણ સાચા ભક્તના લક્ષણો આપે છે. એ કહે છે:

"અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ |" (૧૨.૧૩)

(જે કોઈ પણ જીવનો દ્વેષ નથી કરતો, જે બધાનો મિત્ર છે, જેનામાં કરુણા છે, જે અહંકાર મુક્ત છે, અને જે સુખ-દુઃખમાં સમાન રહે છે... એ ભક્ત મને અતિપ્રિય છે.)

      જોજે હાર્દિક, કૃષ્ણએ એમ નથી કહ્યું કે "જે આખો દિવસ માળા જપે છે કે શ્લોકો બોલે છે એ મને પ્રિય છે." એમણે ભક્તના સ્વભાવ ની વાત કરી છે. જો તમારા દિલમાં પ્રેમ અને માફ કરવાની ભાવના છે, તો તમે દુનિયાના સૌથી મોટા ભક્ત છો.

હાર્દિક: વાહ! કેટલી સુંદર અને સરળ વાત!

તો મિત્રો, આજના એપિસોડનો નિચોડ આ રહ્યો:

૧. માર્જાર ન્યાય: જ્ઞાન અને ધ્યાનના રસ્તા પર તમારે તમારી જાતને સાચવવી પડે છે, પણ ભક્તિના માર્ગ પર ભગવાન તમને સાચવે છે. બિલાડીના બચ્ચાની જેમ સમર્પણ કરો.

૨. ભક્તિ એ વેપાર નથી: ભગવાન પાસે લિસ્ટ લઈને ના જાવ. એ તમારી શ્રદ્ધા અને પ્રેમના ભૂખ્યા છે.

૩. એન્ઝાયટીનો ઈલાજ શરણાગતિ: તમારી મહેનત કરો અને બાકીનું બધું એ દિવ્ય જીપીએસ (GPS) પર છોડી દો. રિલેક્સ થઈ જાવ!

હાર્દિક: શાસ્ત્રીજી, આટલા સુંદર એપિસોડ પછી અમારા શ્રોતાઓ માટે આજનું કોઈ મીઠું 'હોમવર્ક'?

શાસ્ત્રીજી: બિલકુલ! આજે શ્રોતા મિત્રોએ એક બહુ જ નાનકડો પણ દિલને સ્પર્શી જાય એવો પ્રયોગ કરવાનો છે.

આજનું ટાસ્ક છે: "માગ્યા વગરની પ્રાર્થના" (A Prayer of Pure Gratitude).

આજે રાત્રે સૂતા પહેલા, કે સવારે ઉઠીને, માત્ર ૫ મિનિટ ભગવાનની સામે (કે આંખો બંધ કરીને) બેસો.

આજે કંઈ જ માંગવાનું નથી! "મારું આ કામ કરી આપજે" એવું એક પણ વાક્ય બોલવાનું નથી.

તમારે માત્ર ભગવાનનો 'આભાર' (Thank You) માનવાનો છે.

"પ્રભુ, આ સરસ મજાના શરીર માટે આભાર."

"મારા પરિવાર માટે આભાર."

"આજે મને બે ટંક જમવા મળ્યું, એના માટે તારો આભાર."

ભગવાનને એક 'મિત્ર' માનીને એમની સાથે ખાલી પ્રેમથી વાત કરો.

તમે જોશો કે જ્યારે તમે માંગવાનું બંધ કરશો અને આભાર માનવાનું શરૂ કરશો, ત્યારે તમારા હૃદયમાં એવી શાંતિ છવાઈ જશે જે તમે ક્યારેય અનુભવી નહીં હોય.

હાર્દિક: વાહ શાસ્ત્રીજી! આજ સુધી આપણે મંદિરમાં જઈને ખાલી માંગ-માંગ જ કર્યું છે. આજે થેન્ક-યુ કહેવાનો વારો છે. હું તો પાક્કું આ પ્રેક્ટિસ કરીશ.

મિત્રો, તમે પણ આ 'માગ્યા વગરની પ્રાર્થના' કરજો અને જોજો તમારું દિલ કેટલું હળવું થઈ જાય છે.

આવતા અઠવાડિયે આપણે એક એવા અધ્યાય તરફ જઈ રહ્યા છીએ જે મહાભારતનો સૌથી મોટો 'ક્લાઈમેક્સ' છે.

જ્યારે અર્જુનની ભક્તિ અને શરણાગતિ જોઈને ભગવાન કૃષ્ણ એને એક એવું દ્રશ્ય બતાવે છે, જે જોઈને અર્જુનના હોશ ઉડી જાય છે!

વાત કરીશું - વિરાટ સ્વરૂપ દર્શન અને અહંકારના નાશની.

આપણું અસ્તિત્વ આ બ્રહ્માંડમાં કેટલું નાનકડું છે, એ જાણીશું.

ત્યાં સુધી... બધું જાતે કંટ્રોલ કરવાનું છોડી દો, એના પર ભરોસો રાખો અને દિલથી બોલો...

જય શ્રી કૃષ્ણ!

શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ!