યુદ્ધનાં કારણે કેટલીક કલાત્મક સામગ્રી ગુમ થઇ જવા પામી હોવાને કારણે વર્ષો બાદ તેની કિંમતમાં ભારે વધારો થાય છે અને તે વસ્તુ એક કિંમતી ખજાના સમાન બની જતી હોય છે.તેમાંની કેટલીક વસ્તુઓ તો બ્લેક માર્કેટમાં પહોંચી જતી હોય છે કેટલીક પ્રાઇવેટ કલેકટરો પાસે પહોંચી જાય છે અને કેટલીક સંપુર્ણપણે નષ્ટ થઇ ગઇ હોય છે.અમેરિકાની નેશનલ આર્કાઇવ્ઝમાં ઇતિહાસનાં સૌથી કિંમતી દસ્તાવેજોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે પરિણામે આ સ્થળની સલામતી વ્યવસ્થા સૌથી વધારે જડબેસલાક છે પણ જેટલી સલામતી વ્યવસ્થા કડક હોય છે તેટલી વધારે તેના પર ચોરોની નજર પણ મંડાયેલી હોય છે અને તેઓ સલામતી વ્યવસ્થાને પણ ચકમો આપીને કિંમતી વસ્તુઓ ઉઠાવી જતા હોય છે એવા જ કોઇ ચોરે વિલ્બર અને ઓરવિલ રાઇટસ દ્વારા જેમાં પોતાના ઉડ્ડયન મશીનની વિગતો નોંધી હતી તે દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝમાંથી ઉડાવ્યા હતા અને તેની કોઇને લાંબો સમય સુધી જાણ પણ થઇ ન હતી.૨૦૦૩માં તેની જાણ થઇ પણ ત્યારબાદ પણ આ દસ્તાવેજો કોણે ચોર્યા હતા તેની જાણ થઇ નથી.આ પહેલા પણ આર્કાઇવ્ઝમાંથી ચંદ્રયાત્રા દરમિયાન અવકાશયાત્રીઓ દ્વારા લેવાયેલા ફોટોગ્રાફ ચોરી થયા હતા જો કે તેને તો પાછા મેળવાયા હતા આ ઉપરાંત હિડનબર્ગ ક્રેશ દરમિયાનની ઓડિયો ટેપ પણ ચોરી થઇ હતી.જો કે રાઇટબ્રધર્સનાં પેટન્ટ પેપર્સનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.
રાષ્ટ્રીય ખજાના સમાન વસ્તુઓની ચોરી માત્ર અમેરિકાની સમસ્યા નથી જાપાન પણ એ સમસ્યાની સામે ઝઝુમી રહ્યું છે.તેના સંગ્રહાલયમાંથી પણ ૧૦૯ જેટલી કિંમતી સામગ્રી ચોરાઇ ગઇ છે.આ સામગ્રીનો કોઇ જ એજન્સી પત્તો લગાવી શકી નથી.આ ચોરાયેલી સામગ્રીની યાદીમાં ૫૨ તલવારો, ૧૭ મુર્તિઓ અને દસ ચિત્રો સામેલ છે.આ યાદીમાં જે તલવાર સામેલ છે તે તો તેરમી સદીની તલવાર છે જેને કુનીમિત્સુ તરીકે ઓળખવામાં આવે છે.
પેટિટી શહેરને ગુમ થયેલા શહેરોમાંનું એક માનવામાં આવે છે આ શહેર તેના ખજાનાને કારણે વધારે પ્રસિધ્ધ છે કહેવાય છે કે યુરોપિયોનોથી બચાવવા માટે ઇન્કાવાસીઓએ પોતાનો તમામ ખજાનો આ શહેરમાં છુપાવી દીધો હતો.આ શહેર પણ અલ ડોરેડો જેટલું જ પ્રસિદ્ધિ પામ્યુ છે.સંશોધકોને લાગે છે કે આ શહેર પેરૂનાં જંગલોમાં ક્યાંક આવેલું છે અને તેની શોધ આજે પણ યથાવત છે.૧૯૨૮માં કાર્ટિયરે એક નેકલેસ બનાવ્યું હતું આજે તે પટિયાલા નેકલેસ તરીકે જાણીતું છે જેની કિંમત આંકી શકાય તેમ નથી.આ નેકલેસ મહારાજા સર ભુપિન્દરસિંઘે તૈયાર કરાવ્યું હતું જેમાં પ્લેટિનમની પાંચ સેરો હતી અને તેમાં ૨૯૩૦ હીરા જડાયેલા હતા.તેમાં બર્મિઝ રૂબી અને અન્ય ઝવેરાતો પણ જડવામાં આવ્યા હતા.તેના કેન્દ્રમાં સાત વિશાળ હીરા જે ડી બિયર્સનાં હતા તે જડાયા હતા.આ કિંમતી નેકલેસ ૧૯૪૮માં ગુમ થઇ ગયું હતું.છેલ્લે આ નેકલેસ મહારાજા યાદવેન્દ્રએ પહેર્યો હતો.જો કે તે નેકલેસ પચાસ વર્ષ બાદ કાર્ટિયરનાં પ્રતિનિધિને મળ્યો હતો પણ તેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઇ ગઇ હતી.કહેવાય છે કે આ નેકલેસને મહારાજાના પરિવારજનોએ જ તોડીને વેચી નાંખ્યો હતો.આજે તેની કિંમત ઓછામાં ઓછી વીસથી ત્રીસ મિલિયન ડોલરની મનાય છે.
જહાજ એવા સ્થળોએ જ મોટાભાગે ડુબતા હોય છે જ્યાં કોઇની વધારે અવરજવર હોતી નથી કે તે સ્થળે પહોંચવું મુશ્કેલ હોય છે અને તે જહાજ ડુબ્યા બાદ ક્યારેક તો તેનો કાટમાળ શોધવામાં જ દાયકાઓ લાગી જતા હોય છે.જો કે કેટલાય જહાજોનાં તો દાયકાઓ બાદ પણ કોઇ સગડ મળતા નથી.મેહોગની શિપ આ પ્રકારનાં જહાજોમાં સામેલ છે કહેવાય છે કે ૧૫૨૨માં ઓસ્ટ્રેલિયામાં આ જહાજ જેના પર પોર્ટુગિઝોનો ખજાનો લદાયેલો હતો તે ગુમ થઇ ગયું હતું.આ જહાજનાં અવશેષો ૩૫૦ વર્ષ બાદ ૧૮૪૭માં મળ્યા હતા જો કે આ જહાજનાં અસ્તિત્વ અંગે કોઇ ક્યારેય પુરાવો રજુ કરી શક્યું નથી પણ કિંમતી ખજાનાની વાતને કારણે તે આજે પણ લિજેન્ડ મનાય છે.
વિકટોરિયામાં સંસદીય દંડને પ્રજાનાં અધિકારનું પ્રતિક માનવામાં આવતું હતું જે ૯ ઓકટોબર ૧૮૯૧માં નષ્ટ થયું હતું.સંસદનાં ઇજનેર થોમસ જેફરીને ઇમારતમાંથી તે વસ્તુ લઇને ભાગતો હોવાનું લોકોએ જોયું હતું. પોલીસને પણ તેના ઘરમાંથી ચોરી દરમિયાન વપરાયેલા હથિયારો મળી આવ્યા હતા.જો કે તેના વિરૂદ્ધ કોઇ મજબૂત પુરાવા નહી હોવાને કારણે તેને સજા થઇ શકી ન હતી.કેટલાકનો દાવો છે કે સંસદનાં સભ્યોએ જ તેને ત્યાંથી ઉઠાવીને મજાક કરવા ખાતર વેશ્યાલયમાં મુકી આવ્યા હતા.જો કે તે અંગેનાં પુરાવા પણ મળ્યા ન હતા.આ દંડ માટે ૫૦ હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયું હતું. જો કે આજ સુધી તેનો પત્તો લાગ્યો નથી.ઇંગ્લેન્ડનાં રાજપરિવારનાં મુગટને તેમાં જડાયેલા કિંમતી ઝવેરાતને કારણે આજે સૌથી વધારે કિંમતી મનાય છે.આ રાજમુગટનો ઉપયોગ માત્ર સત્તારોહણ દરમિયાન જ કરાય છે અન્ય સમયમાં તે લંડન ટાવરમાં કડક સુરક્ષા વ્યવસ્થામાં સાચવવામાં આવે છે.આ મુગટની સુરક્ષા માટે વિશેષ પ્રકારની ટ્રેનિંગ પામેલા ગાર્ડને તૈનાત કરાય છે.જો કે તેમ છતાં અનેક વખત તે મુગટનાં સ્થાને નકલી મુગટ મુકાયાની અને તેની ચોરી થયાની ઘટનાઓ બનતી જ રહી છે.૧૨૧૬માં કિંગ જહોન પોતાના રસાલા સાથે લિંકનશાયરનાં સમુદ્રમાં સફર કરતા હતા ત્યારે તેઓ ભરતીનો અંદાજો લગાવવામાં ચુક ખાઇ ગયા હતા અને તેમને પોતાનો સામાન ગુમાવવો પડ્યો હતો.આ સામાનમાં રાજમુગનાં ઝવેરાત હતા.રાજાને ચેપ લાગ્યો હતો અને તે થોડા સમયમાં જ મોતને ભેટ્યા હતા.આ ખજાનાની તલાશમાં આજે પણ આ ખતરનાક વિસ્તામાં લોકો આવતા રહે છે પણ તે હજી કોઇને હાથ લાગ્યો નથી.
ન્યુયોર્કનો માફિયા સરદાર આર્થર ડચ તેના કૃત્યોને કારણે તો કુખ્યાત બન્યો જ હતો પણ તેનાં ખજાનાને કારણે વધારે જાણીતો બન્યો છે.તેણે એક બોકસમાં તેની તમામ વસ્તુઓ ભરી હતી અને તેને કોઇ અજાણ્યા સ્થળે દાટી દીધી હતી આ ખજાનો લગભગ વીસ મિલિયન ડોલરનો હોવાનું કહેવાય છે જો કે તેણે આ ખજાનો કયાં દાટયો હતો તેની જાણકારી તેના સિવાય કોઇને ન હતી.તેણે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તેને દાટી દીધો હતો અને ત્યારબાદ તે જેલ ગયો હતો અને જેલમાંથી છુટ્યા બાદ તે આ ખજાના વડે જ પોતાનું નવું જીવન આરંભ કરવા માંગતો હતો પણ તે તેના ખજાના સુધી પહોંચે તે પહેલા જ તેના કોઇ શત્રુએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેણે દાટેલો ખજાનો હજી પણ કોઇ તેને લેવા આવે તેની રાહ જોઇને ક્યાંક દટાયેલો પડ્યો છે.
કહેવાય છે કે ૧૮૪૦માં એરિઝોનાનાં પહાડી વિસ્તારમાં સોનાની ખાણ મળી આવી હતી જેમાં કામ કરનાર એક પરિવારે તે સોનુ લઇને મેક્સિકો જવાનો પ્રયાસ કર્યો હતો પણ તે અપાચેનાં હાથમાં લાગ્યા હતા જેણે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.જો કે તે હત્યાકાંડમાં એક કે બે બચી જવા પામ્યા હતા અને તે મેક્સિકો પહોંચ્યા હતા.ત્યારથી આ સોનાની ખાણ લોકો માટે શોધનો વિષય બની છે કેટલાકે દાવો પણ કર્યો હતો કે તેમને આ ખાણ ક્યાં આવેલ છે તેની જાણકારી છે.૧૮૭૦માં જર્મન શરણાર્થી જેકોબ જેને લોકો ધ ડચમેન તરીકે ઓળખતા હતા તેણે દાવો કર્યો હતો કે તે એ પરિવારનાં વારસદારોને ઓળખે છે જે પેલી ખાણમાં કામ કરતા હતા.આ ખાણ અંગે ડચમેને ૧૮૯૧માં તેની સંભાળ રાખનાર જુલિયા થોમસને જણાવ્યું હતું. જો કે તેને જે માહિતી આપવામાં આવી હતી તેના આધારે તે એ ખાણને શોધી શકી ન હતી.જો કે તે ઉપરાંત પણ ઘણાંએ કિસ્મત અજમાવી હતી પણ તે સોનાની ખાણ કોઇને હાથ લાગી નથી.
નેશનલ આર્કાઇવ્ઝમાંથી જુન ૧૯૪૫માં બે પેપર ચોરાયા હતા જે આર્મી એર કોપે તૈયાર કર્યા હતા.આ પેપરમાં હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બમારાની વિગતો આલેખાયેલી હતી.તેમાં આ બંને વિસ્તારોનાં ફોટોગ્રાફ અને મહત્વનાં સ્થળો અંકિત કરાયા હતા.આ દસ્તાવેજોને પરત મેળવવા માટે ટાસ્કફોર્સની રચના કરાઇ હતી જો કે તે મળ્યા ન હતા.