વિશ્વમાં એવા અનેક સ્થળો, મકાનો, રાજમહેલો, ધનભંડારો, રત્નો અને પદાર્થો જોવા મળ્યા છે જેમને આપણે અભિશાપિત માનવા પડે છે. જેમણે પણ એ જગ્યાએ રહેવાનો કે એ વસ્તુઓને ભોગવવાનો પ્રયાસ કર્યો તે બધા ભયાનક દુર્દશાને પ્રાપ્ત થયા એવું જોવામાં આવ્યું છે. આ બધી ઘટનાઓને કેવળ સંયોગો કે યુગાનુયોગ તો ન જ મનાય.
કેસલ ઓફ મિરામર નામનો એક રાજમહેલ આવો જ અભિશાપિત રાજમહેલ છે ત્યાં રહેનારના સુખ-સંપત્તિ અને શાંતિ જ હણાઈ ગયા છે એવું નથી બલકે તેમને પોતાના જાનથી પણ હાથ ધોઈ નાખવા પડ્યા છે. કેવળ એકાદ બેની જ વાત હોય તો વાત જુદી હોઈ શકે પણ અહીં તો બધાની વાત એવી જ થઈ છે! એડ્રિઆટિક સમુદ્રના કિનારા પર ટ્રિએસ્ટ શહેરમાં રહેલો આ રાજમહેલ તેમાં વસનાર તમામના જાન લેતો રહ્યો છે.પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે ઓસ્ટ્રિયાના રાજા ફ્રાન્સ જોસેફે તેના નાના ભાઈ આર્ક ડ્યુક મેકમિલન માટે બનાવડાવ્યો હતો. તે ભારે દબદબાપૂર્વક મહેલમાં રહેવા ગયો હતો. તે વૈભવશાળી મહેલમાં કોઈ ચીજની કમી નહોતી છતાં આર્ક ડ્યુકને ત્યાં એક દિવસ પણ સુખ કે શાંતિ અનુભવાયા નહિ. તેને રાતે બરાબર ઊંઘ પણ આવતી નહિ. ધીમે ધીમે તેનું સ્વાસ્થ્ય પણ કથળવા લાગ્યું. છેવટે તેના ભાઈએ તેને સ્થાન બદલી નાંખવાની સલાહ આપી. તેણે તેને મેકિસકો પ્રદેશનો રાજા બનાવીને મોકલ્યો પરંતુ તે ત્યાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિએ તેની હત્યા કરી નાંખી. એના ઉત્તરાધિકારી તરીકે એ રાજમહેલ મળ્યો એની બહેન એલિઝાબેથને. તે ત્યાં ખૂબ મજાથી રહેવા મળશે એવું વિચારતી હતી. તે રાજકુમાર રૂડોલ્ફ અને તેની પત્ની પણ ત્યાં રહેવા સાથે લેતી આવી. તેમણે ત્યાં રહેવાનું શરૂ કર્યું તેના થોડા દિવસો બાદ કોઈએ રાજકુમાર રૂડોલ્ફ અને તેની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી. આના આઘાતમાં તે અત્યંત દુઃખી થઈ અને પાગલ જેવી બની ગઈ. તે મહેલમાં જ કોઈએ તેનું કાસળ કાઢી નાંખ્યું.આ ઘટનાચક્ર બન્યા બાદ ઘણાને તે મહેલ અભિશાપિત છે એવી શંકાઓ પડવા લાગી. રૂડોલ્ફનો કાકાનો દીકરો ત્યાં રહેવા માંગતો હતો પણ બધાએ તેને ત્યાં ન રહેવા સમજાવ્યો. તેણે તે મહેલ અભિશાપિત હોવાની વાત હસી કાઢી. તે આવા વહેમોમાં માનતો ન હતો. આર્કડ્યુક ફ્રાન્સિસ ફરનાન્ડિસે ત્યાં રહેવાનું શરૂ કર્યું. પણ દુર્ભાગ્ય તેનો શિકાર કરવા તૈયાર જ બેઠું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને ટ્રિએસ્ટ નગરની પાસે આવેલા સર્જાવા ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધનો દોરીસંચાર ફ્રાન્સિસના મૃત્યુથી થયો. તે રાજમહેલના તમામ નિવાસીઓ અને કર્મચારીઓની હત્યા પણ કરાઈ.તે પછી ઓસ્ટ્રિયા પર ઇટાલીનું આધિપત્ય આવ્યું. મુસોલિનીએ એના સૈનિક અધિકારી ડ્યુક એઓસ્ટાને રહેવા માટે તે મહેલ આપ્યો. પણ ત્યાં તેને સખત ભય અને ગમગીનીનો અનુભવ થવા લાગ્યો. તેણે મુસોલિનીને વિનંતી કરી કે તેને બીજે ક્યાંક મુકવામાં આવે. મુસોલિનીએ તેને ઇથોપિયાનો વાઇસરોય બનાવી ત્યાં જવાનો પ્રબંધ કર્યો પણ દુર્ભાગ્ય તેની રાહ જ જોતું હતું. રસ્તામાં જ બ્રિટિશ ઇસ્ટ આફ્રિકામાં તેને યુદ્ધકેદી બનાવી લેવામાં આવ્યો. ત્યાં તેના પર ક્રૂર યાતનાઓ ગુજારવામાં આવી અને છેવટે ગોળી મારીને મારી નાંખવામાં આવ્યો. અડધી સદીથી પણ ઓછા સમયમાં આ રાજમહેલમાં રહેનારા રાજકુમાર, શાસનકર્તાઓ, અધિકારીઓ અને કર્મચારીઓ અકાળે મોતને ભેટ્યા એને શું વહેમ કે અંધશ્રદ્ધા કહેવાય?મોગલ બાદશાહ શાહજહાંનો રત્ન પ્રેમ વિશ્વવિખ્યાત છે. એણે જગતભરમાં ખ્યાતનામ કોહિનૂર હીરો ગ્વાલિયર નરેશ પાસેથી મેળવ્યો હતો. મોરની આકૃતિવાળું એક અત્યંત કીમતી સિંહાસન તેણે પોતાના માટે બનાવડાવ્યું હતું. તેણે તેનું નામ ‘તખ્ત તાઉસ’ રાખ્યું હતું. તે સમયે તેની કિંમત ૧૨ કરોડ રૂપિયા હતી તે સ્વર્ણજડિત આસનમાં અસંખ્ય રત્નો પણ હતા. તેમાં પન્નાથી જડેલાં પાંચ થાંભલાઓ હતા. શાહજહાઁ પછી તે સિંહાસન ઔરંગઝેબ પાસે આવ્યું અને તે પછી મુહમ્મદશાહ પાસે આવ્યું. ઇરાનના રાજા નાદિર શાહે કાબુલ જીતી લીધા પછી ભારત પર ચડાઈ કરી અને મુહમ્મદશાહને હરાવી દીધો. નાદિર શાહે તેની પુષ્કળ સંપત્તિ લૂંટી લીધી. તેમાં પેલો ‘તખ્ત તાઉસ’ પણ હતો. તેને લઈને તે જઈ રહ્યો હતો ત્યારે કેટલાક લૂંટારાઓએ તેને લૂંટી લીધો અને તેની હત્યા કરી નાંખી. લૂંટારાઓએ ‘તખ્ત તાઉસ’ના ટુકડા કરી તેને પણ વહેંચી લીધો. ઘણા સમય બાદ નાદિરશાહના વંશજોએ લૂંટારાને પકડી લીધા અને બધી સંપત્તિ પાછી લઈ લીધી તેમાં પેલા તખ્ત તાઉસના ટુકડા પણ હતા. જોકે ઘણા કીમતી રત્નો તેમાંથી ગાયબ થઈ ગયા હતા. છતાં તે સિંહાસનને ફરીથી જોડીને પહેલા જેવું બનાવવામાં આવ્યું.અઢારમી સદીમાં તે સિંહાસન અંગ્રેજોના હાથમાં આવ્યું. તેને પૂર્ણ ગુપ્તતા સાથે લંકાના ત્રિકોણમાલી બંદરેથી એક જહાજ પર ચડાવી ઇંગ્લેન્ડ રવાના કરવામાં આવ્યું પણ તે જહાજ સહીસલામત ઇંગ્લેન્ડ પહોંચી ન શક્યું. ૪ ઓગસ્ટ ૧૭૮૨ના રોજ પૂર્વ આફ્રિકાના સમુદ્રમાં શિલાઓ સાથે અથડાઈને તૂટી ગયું અને દરિયામાં ડૂબી ગયું. સાથે તે પેલું સિંહાસન પણ લેતું ગયું જેની કિંમત તે સમયમાં ૨૦ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી! એ પછી સમુદ્ર તળમાંથી તેને શોધવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. ઇ.સ. ૧૯૬૨માં કેટલાક રત્નો અને સુવર્ણના ટુકડા ત્યાંથી શોધવામાં આવ્યા જેણે એવો નિર્દેશ કર્યો કે તે જગ્યાએ હજુ ઘણા રત્નો વેરવિખેર પડેલા છે. કદાચ તખ્ત તાઉસના મોટા અંશો પણ મળી આવે.અકબરનો વિશ્વાસુ સેનાપતિ અબુલ ફઝલ હૈદરાબાદની લૂંટનું ધન લઈને દિલ્લી પાછો જઈ રહ્યો હતો. તેની પાસે ૨૩ કરોડ જેટલી રોકડ અને લગભગ એટલી જ કિંમતના રત્નભંડાર હતો. રસ્તામાં ઓરછાના રાજાએ એને પકડીને મારી નાંખ્યો અને બધી સંપત્તિ લૂંટી લીધી. ઓરછાના અભિલેખોમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કહેવાય છે કે તે બઘું ધન પણ ક્યાંક દટાયેલું છે જે હજુ કોઈને મળ્યું નથી. શાહજહાઁને જ્યારે એ ખબર પડી કે તેનો પુત્ર ઔરંગઝેબ વિશ્વાસપાત્ર રહ્યો નથી ત્યારે તેણે તેના ખજાનાનો ઘણો ભાગ બાજુના જંગલોમાં સંતાડી દીધો. એક તામ્રપત્રમાં આનું વર્ણન કેથી લિપિમાં જોવા મળે છે. જેના પરથી ખ્યાલ આવે છે કે નવસો દેશોમાં તેણે તે ઝવેરાત, રત્નો, સોનું, ચાંદી વ. છૂપાવ્યા હતા.